Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૮૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ખાતર, ખુશામત કરવા ખાતર કે લાચારીથી પળાઈ હોય તો તેને જ્ઞાનીઓ દયા ગણતા નથી. અલબત્ત ઓઘસંજ્ઞાથી પણ કોઈ વ્યક્તિમાં જીવરક્ષાના સંસ્કાર પડતા હોય તો તેને અનિષ્ટ તો નહીં જ કહી શકાય. બાલજીવોને અહિંસાના માર્ગે ચડાવવા માટે એ જરૂરી પણ છે, પરંતુ એવી ઓળસંજ્ઞામાં ઇતિશ્રી માની લેવાય નહીં.
બીજા જીવોમાં પોતાતુલ્ય આત્મા વિલસી રહ્યો છે એવા ભાનપૂર્વકની આત્મીયતા તથા વત્સલતા એ દયાનો મૂળ સોત હોવો ઘટે. સાચી દયાનું મૂળ ભય આદિમાં નહીં પણ પ્રેમમાં છે. પ્રેમ હોય ત્યાં પ્રેમપાત્રને લેશમાત્ર દુઃખ ન થાય એ રીતે જીવવાની કાળજી સ્વાભાવિક રહે છે. અન્યનાં હિત-સુખ અર્થે જાતે થોડી અગવડ વેઠી લેવાની વૃત્તિપૂર્વકનો જીવનવ્યવહાર એ દયાની સહજ ફળશ્રુતિ છે. આત્માર્થી જીવ કષ્ટ વેઠીને પણ અન્યનું હિત સાધવામાં પ્રવૃત્ત થાય છે. તે એવા કોમળ પરિણામવાળો હોય છે કે પોતાના નિમિત્તે કોઈ જીવને દુઃખ ન થાય તેની કાળજી રાખે છે અને અન્ય કોઈ કારણે કોઈ દુ:ખી થતું હોય તો તેનું દુઃખ દૂર કરવામાં પણ તે પ્રયત્નશીલ રહે છે.
આના ઉપરથી ફલિત થાય છે કે ધર્મનો પ્રારંભ પરાર્થભાવના બીજમાંથી થાય છે. બીજાનાં સુખ-દુ:ખ પ્રત્યે સભાનતા રહે એવી કોમળતા તે મોક્ષમાર્ગે પ્રથમ પગથિયું છે. જેમ જેમ જીવ આધ્યાત્મિક માર્ગે આગળ વધતો જાય છે, તેમ તેમ તેની વૃત્તિપ્રવૃત્તિ, તેના વિચાર-પ્રવર્તન બીજાને પીડાકારક ન થતાં સુખકર બનતાં જાય છે. બીજાના સુખનો વિચાર જ્યાં ઊગ્યો ન હોય ત્યાં ધર્મનો પ્રારંભ જ થયો ક્યાંથી ગણાય? ચિત્ત પરાર્થવૃત્તિથી વાસિત હોય તો જ શુદ્ધિનો અવકાશ રહે છે. અન્ય જીવ પ્રત્યેની પરોપકારની ભાવના પણ અંતે સ્વ-ઉપકારમાં પરિણમે છે. ચિત્તની વિશુદ્ધિ ઉત્તરોત્તર વૃદ્ધિગત થઈ મુક્તિ પ્રત્યે દોરી જાય છે.
આમ, ઉપર કહ્યાં તે ચાર લક્ષણો જ્યારે આત્મામાં પરિણામ પામ્યા હોય ત્યારે જ ત્યાં આત્માર્થ હોય છે. આવો લક્ષણસંપન જીવ આત્માર્થનું નિવાસસ્થાન છે, અર્થાત્ આ લક્ષણો હોય ત્યાં આત્માર્થીપણું પ્રગટે છે. જેને કષાયની ઉપશાંતતા થઈ છે, જેને માત્ર મોક્ષ સિવાય બીજી કોઈ અભિલાષા વર્તતી નથી, જેને ભવ પ્રત્યે અંતરંગ વૈરાગ્ય ઊપજ્યો છે અને જેને સર્વ પ્રાણી પ્રત્યે અનુકંપા વર્તે છે એવો આત્માર્થી - મુમુક્ષુ જીવ જ મોક્ષમાર્ગનો સાચો અધિકારી છે.
આ પ્રકારે શ્રીમદે પ્રસ્તુત ગાથામાં આત્માર્થીનાં ચાર લક્ષણો બતાવી તે પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી છે. શાસ્ત્રમાં સમ્યગ્દર્શનનાં શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એમ લક્ષણો બતાવાયાં છે. “અધ્યાત્મસાર'ના સમકિત અધિકારમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે કે શમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપાએ કરીને શોભિત એવા આસ્તિક્યને નિરંતર ધારણ કરનારા ભવ્ય જીવોનું સમકિત સ્થિરતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org