Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૪૧
૭૨૭
કરતા હોય; છતાં તેમની ચેતના તો તે બધાથી જળકમળવત્ અલિપ્ત રહે છે. તેમના અભિપ્રાયમાં તો એમ જ વર્તે છે કે ક્યારે આ બધું છોડી, મુનિ થઈને સ્વરૂપમાં ગુપ્ત થઈ જાઉં. અભિપ્રાય સવળો રહેતો હોવાથી તેમને અલ્પ રાગ હોય છે, પરિણામે સંસાર પણ અલ્પ હોય છે. તેમને સંસારપ્રવૃત્તિ હોવા છતાં તેઓ છૂટતા જાય છે.
સ્વરૂપની પ્રાપ્તિ પછી જ્ઞાનીનું બાહ્ય જીવન તરત જ બદલાઈ જાય એવો કોઈ નિયમ નથી, પરંતુ તેમનું અંતરંગ જીવન અવશ્ય પરિવર્તન પામે છે. તેમનું બાહ્ય જીવન કર્મ અનુસાર હોવા છતાં તેમનું અંતરંગ જીવન સ્વરૂપકેન્દ્રિત હોય છે. આત્મજ્ઞાનનું કોઈ અચિંત્ય માહાભ્ય છે. તેના આધારે તેઓ સંસારમાં રહેતા હોવા છતાં નિર્લેપ રહી શકે છે. તેમને ઉદય અનુસાર જે કાર્યો કરવાં પડે છે તેમાં તેઓ લેવાતા નથી. જ્ઞાની બહારથી તો સઘળું કરે છે, પણ અંતરથી વિરક્ત રહે છે. આ નિર્લેપ દશા પેઢીના મુનીમના દૃષ્ટાંતથી સારી રીતે સમજી શકાશે. મુનીમ રોજ પેઢીનું નામું લખે છે. હિસાબના ચોપડા બનાવે છે. ખૂબ ચોકસાઈથી સરવૈયું કાઢે છે. ગણતરીમાં ભૂલ નથી પડતી. ખૂબ શાંતિથી એ કામ કરે છે. સરવૈયાના અંતે જો નફો દેખાય તો તેને આનંદ નથી થતો અથવા નુકસાન નીકળે તો તે અફસોસ પણ નથી કરતો, કારણ કે મુનિમ પેઢીને પોતાની નથી માનતો. તેને તો માત્ર પગાર સાથે સંબંધ છે. તેને ફક્ત નામું લખવાનું છે, તેથી નફા-નુકસાનની તેને ચિંતા નથી થતી. નફા-નુકસાન બાબતમાં સ્થિતપ્રજ્ઞતા છે. પૂરું કામ અને પૂરી તટસ્થતા; પૂરી એકાગ્રતા અને પૂરી અલિપ્તતા; પૂરી ચોકસાઈ અને પૂરી ઉદાસીનતા; જાન લગાડીને કામ કરે અને તોપણ મન શાંત રહે; પૂરી બુદ્ધિ વાપરીને કામ કરે છતાં બુદ્ધિ તો સ્થિર જ રહે; કારણ કે કામ છે પણ કામના નથી! નફા-નુકસાનથી મને લાભ-નુકસાન થશે એવી માન્યતા નથી, તેથી નિર્લેપ રહે છે. તેવી જ રીતે જ્ઞાનીની બધા પ્રકારની બાહ્ય પ્રવૃત્તિ - બોલવું, ચાલવું ઇત્યાદિ આત્માના ઉપયોગપૂર્વક થતી હોય છે. પરમાં સ્વામીપણું નહીં હોવાથી તેમની મન-વચન-કાયાની પ્રવૃત્તિ બંધનકારક થતી નથી. ચૈતન્ય સાથેનું તેમનું અનુસંધાન રહેતું હોવાથી તેમની વર્તના અનાસક્ત ભાવે હોય છે.
જ્ઞાની છ ખંડના ચક્રવર્તી રાજા હોય, હીરાના સિંહાસન ઉપર બેઠા હોય, અબજો રૂપિયાનો મુગટ પહેર્યો હોય, ૯૬,૦૦૦ રાણીઓ સાથે ભોગ ભોગવતા હોય; છતાં તેમાં તેમને રુચિ નથી, પ્રેમ નથી. તેઓ વિષયમાં સુખ છે એમ માનીને ભોગ ભોગવતા નથી. આત્માના આનંદ સિવાય કશે પણ તેમને ગોઠતું નથી. ભોગપ્રસંગે તેમની દૃષ્ટિ તે ઉદયપ્રસંગમાં લીન ન થતાં સદૈવ ચૈતન્ય તરફ જ રહે છે. ગમે તે સંજોગોમાં તેમની દૃષ્ટિ તો ધ્રુવ જ્ઞાયકતત્ત્વ ઉપર જ રહે છે. તેઓ પોતાના ત્રિકાળી ચૈતન્યસ્વભાવમાં જ રહે છે, શુભાશુભ ભાવમાં જોડાતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org