Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૮
૩૬૯ છૂટવાની ભાવના જાગી છે. હવે જો માનાદિ શત્રુઓને નહીં પડકારું, તેની સામે પરાક્રમ નહીં બતાવું તો પછી ક્યારે કરીશ? જ્યાં સદ્ગુરુનું શરણ નહીં મળે એવી કોઈ ગતિમાં ચાલ્યો જઈશ તો તે માનાદિના પ્રકોપનો ભોગ બનીને તીવ્ર દુઃખમાં ફસાઈ જઈશ. માટે આ અવતારમાં સદ્ગુરુના શરણમાં રહીને એવું કાર્ય કરું કે આ માનાદિનો વિનાશ થાય અને ભવદુઃખ સદા માટે ટળે. સદ્ગુરુનો અનુગ્રહ તો વરસી જ રહ્યો છે. તેમની કૃપાદૃષ્ટિથી અંતરમાં જે પ્રકાશ થયો છે તેના કારણે તે માનાદિ શત્રુઓને પણ સંદેહ ઉત્પન્ન થાય છે કે કદાચ છોડવાનો વખત આવે! અલબત્ત તેની પાસે મહાબળવાન સૈન્ય હોવાથી તે સહેલાઈથી નીકળવા તૈયાર થતો નથી, પરંતુ હું મારી શિથિલતા છોડી, સદ્ગુરુના શરણનું વિશેષ વિશેષ અનુસંધાન કરીશ તો સદ્ગુરુની કૃપાથી આ કાર્ય અવશ્ય થશે જ. તેથી આજે, અત્યારે જ, હું તેની સામે યુદ્ધનો પ્રારંભ કરું છું અને તેને પૂર્ણ પરાજિત કરી અવ્યાબાધ સુખની પ્રાપ્તિ હું અવશ્ય કરીશ.'
આમ, પોતે સદ્દગુરુના શરણે હોવાથી માનાદિ શત્રુઓનો નાશ થશે જ એવો આત્માર્થી જીવને વિશ્વાસ આવે છે. ચૈતન્યપદને પ્રાપ્ત કરાવનારો સદ્ગુરુનો પરમ હિતોપદેશ પામીને માનાદિની નિવૃત્તિ કરી, આત્માને ઊંચે ને ઊંચે લઈ જવો એ જ હવે તેને કર્તવ્યરૂપ લાગે છે. ‘સદ્દગુરુએ જે વિચાર્યું છે, જે કર્યું છે અને જે કહ્યું છે તે જ ખરું છે' એમ માની તેમને અનુસરીને જ વર્તે છે. જે જે પ્રકારે માનાદિનો નાશ થાય, તે તે પ્રકારે પ્રવર્તવાની સદ્ગુરુની આજ્ઞા તે માથે ચડાવે છે. સદ્દગુરુના આશ્રયે તે મન, વચન અને કાયાના યોગ પ્રવર્તાવે છે. તેમની આજ્ઞાને જ સર્વસ્વ માની પ્રત્યેક પળે આજ્ઞારાધનનું જ લક્ષ રાખે છે અને તેને જ દૃઢપણે અંતરમાં ધારણ કરે છે.
માનાદિ શત્રુઓના નાશ માટે આત્માર્થી જીવ સદ્ગુરુના શરણે રહી, સદ્ગુરુના માર્ગદર્શન અનુસાર પોતાના દોષ ઓળખી, તેને દૂર કરવા કમર કસે છે. સદ્ગુરુ દ્વારા તેને પોતાના દોષો પકડાય છે અને તે દોષો કાઢવાનો અચૂક ઉપાય પણ પ્રાપ્ત થાય છે. સદ્ગુરુ પાસે અનેક ચમત્કારી તરકીબો હોય છે કે જેથી શિષ્યને તેના દોષનું ભાન થાય અને અલ્પ પ્રયાસે તેમાંથી મુક્ત થઈ શકે. તેઓ તેને દોષ ટાળવાની પ્રેરણા અને શક્તિ આપે છે. ક્યારેક તો તેને ઉપાલંભ પણ આપે છે. સુશિષ્ય તો તે ટકોરને પોતાના અપૂર્વ હિતનું કારણ સમજી તે દોષને કાઢવાના પ્રયત્નમાં જોડાય છે. જેમ સૂર્યનાં કઠોર કિરણો પણ કમળની કળીને પ્રફુલ્લિત કરી દે છે, તેમ સદ્ગુરુનાં કઠોર વચનો પણ તેના મનને પ્રફુલ્લિત - આનંદિત કરે છે. ૧ ૧- જુઓ : આચાર્યશ્રી ગુણભદ્રજીવિરચિત, ‘આત્માનુશાસન', શ્લોક ૧૪૨
'विकाशयन्ति भव्यस्य मनोमुकुलमंशवः । रवेरिवारविन्दस्य कठोराश्च गुरूक्तयः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org