Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૨૭
૫૦૯ પરિણામો, શંકાઓ ઇત્યાદિ અવરોધો શમી જતાં સાધકનું ચિત્ત નિર્મળ થાય છે અને તે સાધનામાં એકાગ્ર થાય છે. શાસ્ત્રના બોધના આધારે સુવિચારશ્રેણીમાં આત્મસ્વરૂપનો નિર્ણય તેમજ એ નિર્ણયનું ઘોલન થાય છે; આત્મભાવનાના અવિરત પુરુષાર્થથી ભાવભાસન થાય છે અને કોઈ ધન્ય પળે ચિત્તનો લય થતાં સહજાત્મસ્વરૂપનું સ્પર્શન - વેદન થઈ આત્માનંદ પ્રગટે છે.
શ્રુતના નિર્દેશ મુજબ પ્રગતિ કરીને સ્વરૂપનો અનુભવ કરવો એ શ્રુતાભ્યાસનું ધ્યેય છે. એ ધ્યેયની દિશામાં પગ ઉપાડ્યા વિના માત્ર લોકરંજન અર્થે કે માનસિક સંતોષ અર્થે શાસ્ત્રોના શબ્દો રટ્યા કરવામાં, ખંડન-મંડનના બૌદ્ધિક આટાપાટા ખેલતા રહેવામાં કે ભેદ-પ્રભેદ અને ભાંગા ગણતા રહેવામાં જ જીવન પૂરું કરવું ન ઘટે. આર્ત-રૌદ્રધ્યાનથી મુક્ત થઈ સ્વરૂપસ્થિરતા સધાય એ જ શ્રુતાભ્યાસનું લક્ષ્ય હોવું ઘટે. શ્રુતાભ્યાસ પાછળનો મૂળ આશય ભુલાઈ જવાથી જીવ કલ્યાણના હેતુ એવા પરમાર્થબોધને રહી શકતો નથી.
કર્મસંયોગથી જીવની કેવી કેવી અવસ્થા થઈ છે, ચતુર્ગતિરૂપ સંસારમાં કેવું કેવું ભવભ્રમણ કર્યું છે તેનું અને તેનાં કારણોનું શાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. સ્વસ્વરૂપની સમજણ વિના ચારે ગતિમાં ભ્રમણ કરવું પડે છે એ વાત મુખ્ય રાખી, ગૌણપણે દેવાદિ ચતુર્ગતિનું સ્વરૂપ વર્ણવ્યું છે. શુદ્ધ સ્વરૂપને ભૂલીને કર્મકૃત ભાવોમાં તણાઈ જવારૂપ વિભાવભાવે પરિણમવાથી જે જે કર્મકૃત અવસ્થાઓ ઉત્પન થઈ છે તેનું વર્ણન કરવાનો પ્રધાન હેતુ તો શુદ્ધ આત્મસ્વરૂપની ઓળખાણ કરાવવાનો તથા તેના વિસ્મરણનું ફળ જણાવવાનો છે. ચારે ગતિઓનાં સ્વરૂપનું વર્ણન તથા પરિભ્રમણની પીડા દર્શાવવાનું પ્રયોજન સમ્યગ્દર્શનની પ્રાપ્તિની ભાવના કરાવવાનું જ છે. મતાર્થી જીવ જ્ઞાનીઓના એવા ઈષ્ટ ઉદ્દેશને ગ્રહણ કરવાને બદલે દેવાદિ ગતિનાં વર્ણન તથા ત્યાં પ્રાપ્ત થતાં સુખ-દુઃખ સંબંધી ઝીણામાં ઝીણી વાતોને કંઠસ્થ કરવામાં, તસંબંધી ચર્ચા કરવામાં જીવન વ્યતીત કરે છે અને પ્રયોજનભૂત પરમાર્થ આશય પ્રત્યે લક્ષ કરતો નથી. શ્રી કાનજીસ્વામી કહે છે કે –
શાસ્ત્રમાં ચાર ગતિના ભંગ આવે છે તે યથાર્થ છે. તેમાં દેવનું તથા નારકીનું આયુષ્ય નાનામાં નાનું દસ હજાર વર્ષ ને વધુમાં વધુ ૩૩ સાગરોપમનું હોય છે. વળી દેવલોકમાં આટલાં વિમાન છે, નરકમાં આમ છે વગેરે અનેક વર્ણન શાસ્ત્રમાં છે, તે ત્રિકાળ સર્વજ્ઞના જ્ઞાનમાં દેખાયેલું છે, તે સાક્ષાત્ જ્ઞાનથી જાણેલ લોકનું વર્ણન, ૧- જુઓ : શ્રી ચિદાનંદજીરચિત, પદ ૬, કડી ૨ (‘પદ્યાવલી', પૃ.૧૪)
નય અરુ ભંગ નિખેપ વિચારત, પૂરવધર થાકે ગુણહેરી; વિકલ્પ કરત થાગ નવિ પામે, નિર્વિકલ્પનેં હોત ભયેરી.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org