Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૨૭
૫૧૭
નથી, પરંતુ બાહ્ય વેષ રાગાદિ ભાવ ઘટાડવામાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધે ઉપકારી છે, તેથી બાહ્ય વેષનો નિષેધ કરવા યોગ્ય નથી. બાહ્ય વેષના આગ્રહના ત્યાગનો ઉપદેશ જીવને બાહ્ય વેષ છોડાવવા માટે નહીં, પરંતુ તેને પરિણામલક્ષી બનાવવા માટે આપવામાં આવે છે. બાહ્ય વેષાદિ વ્યવહારનો નિષેધ હોઈ જ ન શકે. મતાર્થ શરીરલક્ષી છે, માત્ર વેષ ગ્રહણ કરી લેવામાં ઇતિશ્રી માને છે. તે તેનાથી ઉપર ઊઠી આત્મનિરીક્ષણ કરે, પરિણામોની જાગૃતિ રાખે અને સ્વસન્મુખ થાય તે અર્થે તેને આગ્રહત્યાગનો ઉપદેશ આપવામાં આવે છે. આ ' સાચી સમજણ ગ્રહણ કરવાથી લાભ જ થાય છે, નુકસાન નથી થતું. જેમ અગ્નિથી દાઝી જવાય એવું સમજાયા પછી લાભ જ થાય, નુકસાન થઈ જ ન શકે; તેમ સાચી સમજણથી જીવનાં પરિણામ સ્વલક્ષી બને છે, બાહ્ય વેષમાં કૃતકૃત્યતા માનવાનું બંધ થાય છે. આત્મલક્ષવિહોણા મતાર્થીને બાહ્ય વેષનો અહંકાર હોય છે, પરંતુ સાચી સમજણથી પરિણામ સવળાં થતાં અહંકાર નિર્મૂળ કરવા પ્રત્યે જાગૃતિ આવે છે. તેને સમજાય છે કે ભાવલિંગ એ જ મોક્ષનું કારણ છે અને દ્રવ્યલિંગ તો અપ્રધાન - ગૌણ સાધન છે, તેથી દ્રવ્યલિંગનો આગ્રહ તજવા યોગ્ય છે.
આમ, લિંગકૃત આગ્રહથી નિરપેક્ષ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષનું કારણ છે. જે આત્મા પરમાર્થથી યથોક્ત મોક્ષમાર્ગને સાધે છે, આત્મામાં પરિણમાવે છે, તે જ મોક્ષને પામે છે. બાહ્ય વેષ-વ્યવહાર દેહના આધારે છે, તેથી વેષમાં આગ્રહ કરનારને દેહભાવના રહ્યા કરે છે, માટે દેહાશ્રિત એવા બાહ્ય વેષનો આગ્રહ કાર્યકારી નથી. આત્માભિમુખ વલણના અભાવે મતાર્થી જીવ આ તથ્યને સમજતો નહીં હોવાથી તે સ્વપક્ષના બાહ્ય વેષને જ મુક્તિનું કારણ માને છે અને આ મિથ્યા માન્યતાનો આગ્રહ રાખવો એ મતાર્થીનું પ્રગટ લક્ષણ છે.
શ્રીમદે આ ગાથામાં દર્શાવેલા મતાર્થીપણાના બન્ને પ્રકારો ઉપરથી સ્પષ્ટ થાય છે કે સાધનાના પંથ ઉપર માત્ર દેવાદિ ગતિના ભાંગાઓ મુખપાઠ કરવાથી કાર્યસિદ્ધિ થતી નથી, પરંતુ તેનાં રહસ્યને જીવનમાં આત્મસાત્ કરવાથી જ લાભ થાય છે. તેવી જ રીતે મતનો કે વેષનો આગ્રહ કરવાથી પણ કાર્યસિદ્ધિ થતી નથી. જ્ઞાનીઓ મતાર્થી જીવને આ બન્ને પ્રકારો તજવાની પ્રેરણા આપતાં કહે છે કે ‘હે જીવ! તારા હૃદયમાં મતાર્થીપણાનું શલ્ય હોવાથી તું દેવાદિ ગતિના ભાંગાની જાણકારીમાં, મતના તથા વેષના આગ્રહમાં અટકી જાય છે અને તેથી તું આત્માને સાધવા માટેનો ઉદ્યમ કરી શકતો નથી. તું આ દેવાદિ ગતિના ભાંગાને શ્રુતજ્ઞાન માની ન અટક અને મત તથા વેષના આગ્રહનો સત્વરે ત્યાગ કર. ‘એક આત્માનો આનંદ જ મારે જોઈએ છે' એમ ખરેખરી અભિલાષા પ્રગટાવી, તારો ઉદ્યમ આત્મા તરફ વાળ તો કોઈ ધન્ય પળે તને આત્માનો અનુભવ થશે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org