Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨
૨૮૫ જિનેશ્વર ભગવાનમાં વીતરાગતા, સર્વજ્ઞતા અને પરમ હિતોપદેશકતા હોય છે. તેઓ જન્મ, જરા, તૃષા, સુધા, વિસ્મય, અરતિ, ખેદ, રોગ, શોક, મદ, મોહ, ભય, નિદ્રા, ચિંતા, સ્વેદ, રાગ, દ્વેષ અને મરણ એ અઢાર દૂષણરહિત વીતરાગ હોય છે. તેઓ કૃતકૃત્ય થયા છે, એટલે કે તેમને કાંઈ કરવાનું બાકી રહ્યું નથી. તેઓ ન તો કોઈને સુખી કરે છે, ન તો કોઈને દુઃખી કરે છે. તેઓ તો પોતાના સ્વરૂપમાં લીન રહે છે. અચિંત્ય સામર્થ્યયોગે મોહનીયાદિ ચાર ઘાતી કર્મોનો સંહાર કરી, પૂર્ણ જ્ઞાન
જ્યોતિ પ્રગટાવી તેઓ પરમ જ્ઞાની થયા છે. લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાનથી તેઓ સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણે છે. તેઓ એક સમયમાં એકસાથે અનંત દ્રવ્ય, અનંત ક્ષેત્ર, અનંત કાળ તથા અનંત ભાવોને હસ્તામલકવતું પ્રત્યક્ષ જાણે છે. જગતમાં જેટલા શેય પદાર્થો છે, તે સર્વના અનંતા ગુણો છે અને તે ગુણોની ત્રણે કાળની અનંત પર્યાયો છે; તે બધાંનું અનંત, અવિનશ્વર, અતીન્દ્રિય જ્ઞાન તેમને યુગપ (એકીસાથે) હોય છે. વળી, તેઓ કર્મચીખથી અકળાતાં પામર પ્રાણીઓને પરમ શાંતિ બક્ષવા મેઘધારાવાણીથી શુદ્ધાત્માનો બોધ આપે છે. આત્માનું હિત સાચા સુખની પ્રાપ્તિમાં છે અને સાચું નિરાકુળ સુખ આત્માની મુક્તિમાં છે, માટે તેમના ઉપદેશમાં મુક્તિના માર્ગનું કથન આવે છે. તેથી તેઓ હિતોપદેશી છે. આમ, જિનદેવમાં વીતરાગતા, સર્વજ્ઞતા અને પરમ હિતોપદેશકપણું હોય છે. ૧
જિન પરમાત્મા જ્ઞાનાનંદથી પૂર્ણ છે, પવિત્ર છે, સર્વ કર્મની ઉપાધિથી મુક્ત છે. તેઓ અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય આદિ અતીન્દ્રિય ગુણરત્નોના સમૂહનું નિવાસસ્થાન છે. તેમનું સ્વરૂપ પરમ શુદ્ધ, પવિત્ર, અકષાયી, નીરાગી, નિર્વિકારી અને સહજાનંદી છે. નિત્ય, નિરંજન, જ્ઞાનમય, પરમાનંદસ્વભાવવાળા, શાંત તથા શિવસ્વરૂપ એવા જિન ભગવાનનું શુદ્ધ, સહજ, પરમપદ જેવું જ સ્વરૂપ સર્વ જીવનું છે. મૂળ સ્વરૂપે જિન પરમાત્મા અને જીવમાં ભેદ નથી, પણ વર્તમાનમાં જિન ભગવાનનું આ પરમાત્મપદ વ્યક્ત છે - પ્રગટ છે, જ્યારે અન્ય સંસારી જીવનું તે પદ કર્મોથી આવરિત છે. તે કર્મકલંક ટાળી શકાય છે અને તે ટાળવાથી જીવ પોતાનું પરમાત્મપદ જિન ભગવાનની જેમ પ્રગટ, વ્યક્ત, પ્રકાશિત કરી શકે છે.
જિનેશ્વર ભગવાનની અલૌકિક દશા તેમના સ્વભાવમાંથી પ્રગટેલી છે. નિજ જ્ઞાયકદ્રવ્યમાં શ્રદ્ધા અને સ્થિરતા કરી તેમણે કેવળજ્ઞાન પ્રગટ કર્યું છે. તેમના આવા અદ્ભુત સ્વરૂપની સમજણ જીવને શ્રી સદ્ગુરુના ઉપદેશ દ્વારા મળે છે. કરુણાપૂર્વક ૧- જુઓ : આચાર્યશ્રી સમતભદ્રસૂરિજીકૃત, રત્નકરંડ શ્રાવકાચાર', શ્લોક ૫
'आप्तेनोत्सन्नदोषेण सर्वज्ञेनागमेशिना । भवितव्यं नियोगेन नान्यथा ह्याप्तता भवेत् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org