________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વિતીય અધિકાર
[ ૪૫
પણ થોડું જ દઈ શકે, ઘણો લાભ ઇચ્છે પણ થોડો જ લાભ થાય. જ્ઞાનાદિક શક્તિ પ્રગટ થાય છે ત્યાં પણ અનેક બાહ્ય કારણની જરૂર પડે છે. એ પ્રમાણે ઘાતિ કર્મોના ઉદયથી આત્માની અનેક અવસ્થા થાય છે.
વેદનીયકર્મોદયજન્ય અવસ્થા
અઘાતિ કર્મોમાં વેદનીયકર્મના ઉદયથી શરીરમાં બાહ્ય સુખ-દુઃખનાં કારણો નિપજે છે. શરીરમાં અરોગીપણું, રોગીપણું, શક્તિવાનપણું, દુર્બળપણું ઇત્યાદિ તથા ક્ષુધા, તૃષા, રોગ, ખેદ, પીડા ઇત્યાદિ સુખ-દુ:ખનાં કારણો મળી આવે છે. શરીરથી બહાર પણ મનગમતાં ઋતુપવનાદિક વા ઈષ્ટ સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ તથા અણગમતાં ઋતુ-પવનાદિક વા અનિષ્ઠ સ્ત્રી, પુત્ર, શત્રુ, દારિદ્રય, વધ, બંધનાદિક સુખ-દુઃખના કારણો મળી આવે છે. એ બાહ્યકારણો કહ્યાં તેમાં કોઈ કારણ તો એવાં છે કે જેના નિમિત્તથી શરીરની અવસ્થા જ સુખ-દુ:ખના કારણ હોય છે, અને એ જ સુખ-દુ:ખનું કારણ થાય છે. વળી કોઈ કારણ એવાં છે કે પોતે જ સુખ-દુ:ખનું કારણ થાય છે. એ પ્રમાણે કારણોનું મળવું વેદનીયકર્મના ઉદયથી થાય છે. ત્યાં સાતાવેદનીયના ઉદયથી સુખનાં કારણો મળી આવે છે તથા અસતાવેદનીયના ઉદયથી દુઃખનાં કારણો મળી આવે છે અહીં એમ સમજવા યોગ્ય છે કે એ કારણો જ કાંઈ સુખ-દુ:ખ ઉપજાવતાં નથી, પણ મોહકર્મના ઉદયથી આત્મા પોતે જ સુખ-દુઃખ માને છે. વેદનીયકર્મના ઉદયને અને મોહનીયકર્મના ઉદયને એવો જ સંબંધ છે કે જયારે સાતાવેદનીયજન્ય બાહ્ય કારણ મળે ત્યારે તો સુખ માનવારૂપ મોહકર્મનો ઉદય થાય છે તથા જયારે અસતાવેદનીયજન્ય બાહ્ય કારણ મળે ત્યારે દુઃખમાનવારૂપ મોહકર્મનો ઉદય થાય છે. વળી તે જ કારણ કોઈને સુખનું તથા કોઈને દુઃખનું કારણ થાય છે. જેમ કોઈને સાતાવેદનીયના ઉદયથી મળેલું જે વસ્ત્ર સુખનું કારણ થાય છે તેવું જ વસ્ત્ર કોઈને અસાતાદેવનીયના ઉદયથી મળતાં દુ:ખનું કારણ થાય છે. માટે બાહ્ય વસ્તુ તો સુખ-દુઃખનું નિમિત્ત માત્ર છે, સુખ-દુ:ખ થાય છે તે મોહના નિમિત્તથી થાય છે. નિર્મોહી મુનિજનોને અનેક ઋદ્ધિ આદિ તથા પરિષહ આદિ કારણો મળવા છતાં પણ સુખ-દુઃખ ઉપજતું નથી. તથા મોહી જીવને કારણે મળો વા ન મળો તોપણ પોતાના સંકલ્પથી જ સુખદુઃખ થયા કરે છે. તેમાં પણ તીવ્ર મોહીને જે કારણો મળતાં તીવ્ર સુખ-દુઃખ થાય છે તે જ કારણો મળતાં મંદ મોહીને મંદ સુખ-દુ:ખ થાય છે. માટે સુખ-દુ:ખ થવાનું કારણ મૂળ બળવાન કારણ મોહકર્મનો ઉદય છે. અન્ય વસ્તુ બળવાન કારણ નથી, પરંતુ અન્ય વસ્તુને અને મોહી જીવના પરિણામોને નિમિત્ત-નૈમિત્તિકની મુખ્યતા હોય છે. જે વડે મોહી જીવ અન્ય વસ્તુને જ સુખ-દુઃખનું કારણ માને છે. એ પ્રમાણે વેદનીયકર્મના ઉદયથી સુખ-દુઃખના કારણો નિપજે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com