________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
છઠ્ઠો અધિકાર
[૧૭૯
પરંતુ કેવળ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે, વળી તેથી પુણ્યબંધ પણ થતો નથી, પાપબંધ જ થાય છે. એ કુદેવો કોઈને ધનાદિક આપતા કે ખૂંચવી લેતા જોવામાં આવતા નથી, તેથી એ બાહ્યકારણ પણ નથી, તો એની માન્યતા શા માટે કરવામાં આવે છે? જ્યારે અત્યંત ભ્રમબુદ્ધિ થાય, જીવાદિતત્ત્વોના શ્રદ્ધાન-જ્ઞાનનો અંશ પણ ન હોય, તથા રાગ-દ્વેષની અત્યંત તીવ્રતા હોય ત્યારે જ જે કારણ નથી, તેને પણ ઇષ્ટ-અનિષ્ટનું કારણ માને છે ત્યારે કુદેવોની માન્યતા થાય છે.
એ પ્રમાણે તીવ્ર મિથ્યાત્વાદિભાવ થતાં, મોક્ષમાર્ગ અતિ દુર્લભ થઈ જાય છે. હવે આગળ કુગુરુના શ્રદ્ધાનાદિકનો નિષેધ કરીએ છીએ:
કુગુરુના શ્રદ્ધાનાદિકનો નિષેધ
જે જીવ વિષય-કષાયાદિક અધર્મરૂપ તો પરિણમે છે, અને માનાદિકથી પોતાને ધર્માત્મા મનાવે છે, ધર્માત્માયોગ્ય નમસ્કારાદિ ક્રિયા કરાવે છે, કિંચિત્ ધર્મનું કોઈ અંગ ધારી મહાન ધર્માત્મા કહેવડાવે છે, તથા મહાન ધર્માત્મા યોગ્ય ક્રિયા કરાવે છે, એ પ્રમાણે ધર્મના આશ્રયવડ પોતાને મહાન મનાવે છે, તે બધા કુગુરુ જાણવા. કારણ કે ધર્મપદ્ધતિમાં તો વિષય-કષાયાદિ છૂટતાં જેવો ધર્મ ધારે, તેવું જ પોતાનું પદ માનવું યોગ્ય છે.
કુળઅપેક્ષા ગુરુપણાનો નિષેધ
ત્યાં કોઈ તો કુળવડે પોતાને ગુરુ માને છે. તેમાં કેટલાક બ્રાહ્મણાદિક તો કહે છે કેઅમારું કુળ જ ઉચ્ચ છે, તેથી અમે સર્વના ગુરુ છીએ.” પણ કુળની ઉચ્ચતા તો ધર્મસાધનથી છે. જો કોઈ ઉચ્ચકુળમાં ઊપજીને હીન આચરણ કરે, તો તેને ઉચ્ચ કેવી રીતે માનીએ? જો કુળમાં ઊપજવાથી જ ઉચ્ચપણું રહે, તો માંસભક્ષણાદિ કરવા છતાં પણ તેને ઉચ્ચ જ માનો, પણ એમ બને નહિ. ભારતગ્રંથમાં પણ અનેક પ્રકારના બ્રાહ્મણો કહે છે, ત્યાં “જે બ્રાહ્મણ થઈ ચાંડાલકાર્ય કરે, તેને ચાંડાલબ્રાહ્મણ કહેવા,” એમ કહ્યું છે. જો કુળથી જ ઉચ્ચપણું રહે, તો એવી હીનસંજ્ઞા શા માટે આપી ? વળી
વૈષ્ણવશાસ્ત્રોમાં એવું પણ કહ્યું છે કે “વેદવ્યાસાદિક માછલી આદિથી ઊપજ્યાં.” તો ત્યાં કુળનો અનુક્રમ કેવી રીતે રહ્યો? તથા મૂળ ઉત્પત્તિ તો બ્રહ્માથી કહે છે, તેથી સર્વનું એક જ કુળ છે, ભિન્ન કુળ કયાં રહ્યું? વળી ઉચ્ચકુળની સ્ત્રીને નીચકુળના પુરુષથી તથા નીચકુળની સ્ત્રીને ઉચ્ચકુળના પુરુષથી સંગમ થતાં સંતતિ થતી જોવામાં આવે છે, ત્યાં ઉચ્ચ-નીચ કુળનું પ્રમાણ કયાં રહ્યું?
પ્રશ્ન:- જો એમ છે, તો ઉચ્ચ-નીચ કુળનો વિભાગ શા માટે માનો છો ? ઉત્તર:- લૌકિક કાર્યમાં તો અસત્ય પ્રવૃત્તિ પણ સંભવે, પરંતુ ધર્મકાર્યમાં તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com