________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૦ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
બની જ રહે છે. વળી કોઈ આકુળતા મટાડવાનો બાહ્ય ઉપાય કરે પણ પ્રથમ તો કાર્યસિદ્ધ થાય નહિ, કદાચિત્ જો ભવિતવ્યયોગથી તે કાર્ય સિદ્ધ થઈ જાય તો તે જ ક્ષણે અન્ય આકુળતા મટાડવાના ઉપાયમાં લાગે છે; એ પ્રમાણે આકુળતા મટાડવાની પણ આકુળતા નિરંતર રહ્યા કરે છે. જો એવી આકુળતા ન રહે તો નવા નવા વિષય-સેવનાદિ કાર્યોમાં તે શામાટે પ્રવર્તે છે? માટે સંસારઅવસ્થામાં પુણ્યના ઉદયથી ઇન્દ્ર-અહમિન્દ્રાદિ પદ પામે તોપણ તેને નિરાકુળતા થતી નથી પણ દુઃખી જ રહે છે; માટે સંસારઅવસ્થા હિતકારી નથી.
બીજાં, મોક્ષ અવસ્થામાં કોઈ પણ પ્રકારની આકુળતા રહી નથી, માટે ત્યાં આકુળતા મટાડવાના ઉપાય કરવાનું પણ પ્રયોજન નથી અને સદાકાળ શાંતરસ વડે તે સુખી રહે છે માટે મોક્ષ અવસ્થા જ હિતકારી છે. પહેલાં પણ સંસાર-અવસ્થાના દુ:ખનું તથા મોક્ષ અવસ્થાના સુખનું વિશેષ વર્ણન કર્યું છે તે માત્ર આ જ પ્રયોજન અર્થે કર્યું છે, તેને પણ વિચારી મોક્ષને હિતરૂપ જાણી એક મોક્ષનો ઉપાય કરવો એ જ સર્વ ઉપદેશનું તાત્પર્ય છે.
પુરુષાર્થથી જ મોક્ષપ્રાપ્તિ
પ્રશ્ન:- મોક્ષનો ઉપાય કાળલબ્ધિ આવતાં ભવિતવ્યાનુસાર બને છે કે મોહાદિકનો ઉપશમાદિક થતાં બને છે, કે પોતાના પુરુષાર્થથી ઉધમ કરતાં બને છે? તે કહો. જો પહેલાં બેઉ કારણો મળતાં બને છે તો તમે અમને ઉપદેશ શામાટે આપો છો? તથા જો પુરુષાર્થથી બને છે તો સર્વ ઉપદેશ સાંભળે છે છતાં તેમાં કોઈ ઉપાય કરી શકે છે તથા કોઈ નથી કરી શક્તા તેનું શું કારણ?
ઉત્તરઃ- એક કાર્ય થવામાં અનેક કારણો મળે છે. મોક્ષનો ઉપાય બને છે ત્યાં તો પૂર્વોક્ત ત્રણ કારણો મળે છે તથા નથી બનતો ત્યાં એ ત્રણે કારણો નથી મળતાં; પૂર્વોક્ત ત્રણ કારણ કહ્યાં તેમાં કાળલબ્ધિ વા હોનહાર (ભવિતવ્ય) તો કોઈ વસ્તુ નથી, જે કાળમાં કાર્ય બને છે તે જ કાળલબ્ધિ તથા જે કાર્ય થયું તે જ હોનહાર. તથા જે કર્મના ઉપશમાદિક છે તે તો પુદ્ગલની શક્તિ છે, તેનો ર્તા-હર્તા આત્મા નથી, તથા પુરુષાર્થથી ઉદ્યમ કરે છે તે આ આત્માનું કાર્ય છે માટે આત્માને પુરુષાર્થથી ઉદ્યમ કરવાનો ઉપદેશ દે છે.
હવે આ આત્મા જ કારણથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉધમ કરે ત્યાં તો અન્ય કારણો અવશ્ય મળે જ અને કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થાય જ, તથા જે કારણથી કાર્યસિદ્ધિ થાય અથવા ન પણ થાય તે કારણરૂપ ઉધમ કરે ત્યાં અન્ય કારણ મળે તો કાર્યસિદ્ધિ થાય, ન મળે તો ન થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com