________________
તો જાણે આખી લાઇબ્રેરી જ એમના ચિત્તમાં છે. આ ઘટનાએ એમના મનમાં ઘણી સંવેદના પેદા કરી. આને પરિણામે ‘અપંગનાં ઓજસ’ નામના પુસ્તકની ‘બિરાદરી’ પછી છેક બે વર્ષે રચના કરી. આ પુસ્તકમાં અંધ અને અપંગ માનવીઓએ સાહસ, દઢતા અને મનોબળના સહારે શારીરિક બળની મહત્તા ધરાવનારા રમતગમતના ક્ષેત્રે મેળવેલી આશ્ચર્યજનક સિદ્ધિઓનું આલેખન કર્યું. અંધ, અપંગ કે અશક્ત માનવીમાં પડેલી વિરાટ શક્તિ સમાજની ઉપેક્ષા, અપમાન કે અવગણનાને કારણે સુષુપ્ત પડી રહે છે. સમાજ આવા અપંગ લોકો તરફ અને તેમનામાં પડેલી અખૂટ શક્તિ તરફ જાગ્રત બને અને આવી અપંગ વ્યક્તિઓ નિરાધાર, લાચાર કે નિઃસહાય જીવન ગુજારવાને બદલે પોતાનાં હિંમત અને ખમીરથી ગોરવભર્યું જીવન સર્જી શકે તે ઉદ્દેશને લક્ષમાં રાખીને આ પુસ્તકનું સર્જન કર્યું.
આ પુસ્તકના ‘આવકાર’માં ગુજરાતના મહાન સંત પૂ. મોટાએ બિરદાવતાં લખ્યું :
“ભાઈશ્રી કુમારપાળભાઈની કલમમાં વ્યક્ત થવાની કોઈક કળા તો છે, તેનાં અનુભવદર્શન તો ‘ગુજરાત સમાચાર'ના એમના લેખો દ્વારા થાય છે જ, તેમ છતાં આ પુસ્તકની લેખનશૈલી સરળ, સોમ્ય અને પ્રસંગકથાઓને સાનુકૂળ છે. દિલને સાહસનાં અને માનવીને અશક્યને શક્ય કરવાનાં પ્રેરણાભર્યાં પાત્રોનાં ચરિત્રને આલેખતાં આલેખતાં એમણે જે હથોટી પ્રગટ કરી છે તે પરથી હજી ભવિષ્યમાં આવા પ્રકારના સાહિત્યનું દર્શન એમના તરફથી વધારે ને વધારે સમાજને થયા કરશે, એવી શ્રદ્ધા સાથે વિરમું છું. શ્રી કુમારપાળભાઈને આવા સાહિત્યસર્જન માટે હૃદયના ભાવથી મુબારકબાદી આપું છું.’’
ભારતમાં અપંગો માટેના રમતોત્સવના પ્રેરણાદાતા વિખ્યાત માનવતાવાદી ક્રિકેટર શ્રી વિજય મર્ચન્ટે પુસ્તકના આમુખમાં લખ્યું, ‘આવા જિંદાદિલ અપંગોના જીવનસંઘર્ષ તરફ આપણા સમાજનું ધ્યાન ખેંચવા બદલ શ્રી કુમારપાળ દેસાઈના આપણે ખરેખર ઋણી છીએ. મને ખાતરી છે કે શ્રી કુમા૨પાળ દેસાઈનું આ પુસ્તક ઉચિત આવકાર પામશે જ, કારણ કે આ પ્રકારનું પુસ્તકલેખન પણ અપંગોની એક મોટી સેવા જ છે.’’ જ્યારે નવચેતનના તંત્રી સ્વ. ચાંપશીભાઈ ઉદ્દેશીએ આને સાહિત્ય તરીકે ઓળખાવીને આ પ્રકારનું પુસ્તક અંગ્રેજી ભાષામાં પણ પ્રગટ થયું નથી તેમ જણાવ્યું. આ પુસ્તક કેટલાય અપંગોનાં જીવનમાં નવો ઉત્સાહ જગાડનારું બન્યું. સાત અંધ યુવાનો આફ્રિકાના કિલિમાંજારોના ૧૯,૩૪૦ ફૂટ ઊંચા સર્વોચ્ચ શિખર કીબો સર કરી આવ્યા એની કથા વાંચીને સુરેન્દ્રનગરના ત્રણ અંધ યુવકો કોઈના સાથ વિના ગિરનાર ચઢી આવ્યા. મુખ્યત્વે અંધ જનોની બનેલી લાયન્સ ક્લબ ઑફ વસ્ત્રાપુરે પુસ્તકના લેખકને આવું ઉત્કૃષ્ટ પુસ્તક લખવા માટે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી કે. કે. વિશ્વનાથનના હસ્તે એવૉર્ડ એનાયત કર્યો. ઘણી સંસ્થાઓએ આ પુસ્તકને પાઠ્યપુસ્તક તરીકે સ્વીકાર્યું એટલુ જ નહીં, એનું બ્રેઇલ લિપિમાં રૂપાંતર
52
બાળસાહિત્યના સર્જક