________________
૧૦૩
ચોમાસામાં રેતીમાં બેસીને દેરાં કે ક્યારા પાળીઓની રમત કરે, ઘર કરે પણ મેં ! રસને તે બધી છોકરાંની રમત માટે ખોટી થવું ગમતું નથી. કાલે સવારે છોકરાંએ કરેલા આકાર રસ્તામાં જતાં-આવતાં ઢોરથી વટાઇ જવાના છે, તે મોટા માણસો જાણે છે, પણ છોકરાંને ર તો તે રોજ ત્યાં મોટા માણસના ઘરની પેઠે રહેશે એમ લાગે છે અને વખતે સાંજ પડે તો બધું ઢાંકીન ઊઠ અને કાલે સવારે આવીને ૨મીશું એમ પણ ધારે. જો કોઇ બીજો છોકરો તેનું બનાવેલું દેરું ભાંગી નાખે તો તે બનાવનારને મોત જેટલું ખોટું લાગે અને રોવા બેસે, પણ તેવા રોવાથી માબાપના મનને ખોટું નથી લાગતું. ઊલટું તે તો કહે કે એમાં શું રડે છે ? એ તો સવાર સુધી રહેવાનું નથી, કાલ થતાં પહેલાં એ તો વટાઇને ક્યાંય ભાંગી જશે; પણ બાળક નાનું હોય તો તેની સમજમાં તે નથી આવતું અને સમજણું હોય તો વહેલું સમજીને રડતું બંધ થાય છે.
જેને ખરો ધર્મ સમજાય છે, તેને આમ સંસાર અસાર-ખોટો લાગે છે અને તેનામાં ખરો વૈરાગ્ય-ઉદાસીનતા-સમતા દેખાય છે. તેની આંખ, વચન અને ચેષ્ટા ઉપરથી પણ મુમુક્ષુને માલૂમ પડે કે આ પુરુષ ધર્માત્મા છે. એવા પુરુષને એક ઘડી પણ બીજાં કામ માટે ખોટી થવું તો માથું વાઢી નાખ્યા જેવું લાગે છે. નાગરની ન્યાતમાં હરવા-ફરવાનું અને જાન-જમણવાર તજીને નરસિંહ મહેતા સાધુની સંગતમાં અને ભજનમાં જ વખત ગાળતા; તેવી જ રીતે મીરાંબાઇ રાજમહેલનાં સુખ છોડી ભિખારીની પેઠે ભટકીને દહાડા કાઢતાં, પણ કોઇ દિવસ ભગવાનનું ભજન અને સાધુની સંગત છોડવાનું તેમને સ્વપ્ને પણ મન થયું નથી. ઊલટું તે સુખ, રાજના સુખ કરતાં ઉત્તમ છે એવું અનુભવીને, લોકોને ભગવાન ઉપર પ્રેમ થાય અને સંસાર ઉપરથી ભાવ ઊઠી જાય તેવાં ભજન બનાવી, ભક્તિનો માર્ગ બતાવતાં ગયાં છે. આ કાંઇ તેમણે વગર સમજ્યે કર્યું નથી, થોડા દહાડા માટે કર્યું નથી, પણ સાચી સમજણ આવ્યા પછી આખો જન્મારો તેમાં જ ગાળ્યો છે; પણ ખાખરની ખિસકોલીને સાકરનો સ્વાદ ન સમજાય તેમ સંસારી માણસોને તો તે વખતે મીરાં અને નરસિંહ મહેતાની નિંદા અને ટીખળી કરવાનું જ સૂઝતું. મીરાંને તો ઝેર આપીને મારી નાખવા કુંભારાણાએ ઉપાય લીધેલા તે આપણે સાંભળ્યું છે; પણ ધન્ય છે તેમને કે કોઇ દિવસ મા૨ના૨નું પણ તેમણે ભૂંડું ઇચ્છયું નથી; તો કોઇને ખોટો માર્ગ બતાવવા તેમની ઇચ્છા તો થાય જ કેમ ?
આપણને એમ થાય કે એવાં ભગતડાં થઇ જવામાં શો માલ છે ? પણ જો જરા વિચાર કરીએ તો સમજાય કે જેને મોક્ષ જોઇએ છે, તેને ખાઇ-પીને લહેર કર્યો મોક્ષ મળે નહીં. કોદરા ખરીદીએ તો કોદરાની કિંમત આપવી પડે અને કમોદની ડાંગર ખરીદીએ તો તેના પ્રમાણમાં વિશેષ કિંમત આપવી પડે. અફીણ ઓગાળીને પીધા પછી અમર થવાની ઇચ્છા રાખીએ તો તે કાંઇ બને ? સંસાર સેવવો હોય તો સંસારનું વૈતરું કરવું પડે, અને મોક્ષની વૃઢ ઇચ્છા હોય તો મોક્ષ માટે પુરુષાર્થ કરવો પડે. જગતના અને ભગતના કે સંસારના અને મોક્ષના માર્ગ જુદા જ - ઊલટા જ હોય છે, તેથી કોઇ કાળે તેમને મેળ ખાતો નથી. જેમ એકને સંસાર વધારવો હોય અને બીજાને સંસાર ટૂંકો કરવો હોય તો તે બંનેને ક્યાંથી મેળ ખાય ? બંનેનાં તડ જુદાં હોય છે, તેથી જ આપણને આ સાચા સાધુઓ ગમતા નથી. આપણને મોક્ષ જોઇતો નથી અને તેમને મોક્ષે લઇ જવા છે એટલે તે આપણા વિરોધી જણાય છે.
આપણા જેવા જ ખાનદાન કુટુંબના તે ગૃહસ્થ હતા અને પૂર્વના સંસ્કારે વૈરાગ્ય ઊપજતાં તેમણે ઘર છોડી સાધુપણું લીધું, અને સાધુઓમાં પણ તે ખંભાતમાં ગાદીપતિ - આચાર્ય ગણાતા, તે છોડી દઇ