________________
૩૫૩
અરીસામાં સામેના પદાર્થ જણાય, પણ અરીસો અરીસારૂપ જ છે; તેમ ભલે ગમે તે મનમાં આવે, તોપણ આત્મા આત્મારૂપ જ છે. બીજું બધું પહેલાંના કર્મના ઉદયરૂપ ભલે આવે – તે બધું જવાનું છે, પણ આત્માનો કદી નાશ થનાર નથી - તેમાં માથું મારવા જેવું, ઇષ્ટ-અનિષ્ટપણું માની હર્ષ-શોક કરવા જેવું નથી.
આટલી ઉંમર થતાં સુધીમાં અનેક સંકલ્પ-વિકલ્પ થઇ ગયા, પણ કોઇ રહ્યા નથી, બધા ગયા; તો નાશવંત વસ્તુની ફિકર શી કરવી ? એની મેળે જ જે નાશ પામવાના છે, તેથી મૂંઝાવું શું ? ફિકરના ફાકા મારી જવા જેવું છે.
સ્મરણનો અભ્યાસ વિશેષ રાખવો. સંકલ્પ-વિકલ્પ આવે કે સ્મરણનું હથિયાર વાપરવું અને માનવું કે ઠીક થયું કે મારે સ્મરણમાં જતું રહેવાનું નિમિત્ત બન્યું, નહીં તો પ્રમાદ થાત. સદ્ગુરુએ મંત્ર આપ્યો છે તે આત્મા જ આપ્યો છે. તે પ્રગટ થવા માટે પ્રેમની જરૂર છે. પ્રેમમાં બધું આવી ગયું. હરતાં-ફરતાં, બેસતાં-ઊઠતાં એક આત્મા જ જોવો, બેટ્ટો હોય તે બીજું જુએ. આવો દૃઢ અભ્યાસ થઇ જાય તેને, પછી જે ઉદયમાં આવે તે, કંઇ હાનિ કરતું નથી, મરવા આવે છે; પછી તેને કંઇ ફિકર નથી.’’ (ઉપદેશામૃત પૃ.૩૩૯)
આવો અભ્યાસ થઇ ગયા પહેલાં માની બેસવું ઘટતું નથી કે મને હવે કર્મ નહીં બંધાય. આ અભ્યાસનો ક્રમ બતાવ્યો છે તેની સાથે સદાચાર, આત્માની ઝૂરણા, પ્રેમભક્તિ વગેરેની જરૂર છે અને તેટલી યોગ્યતા આવ્યે, તે અભ્યાસ ફળીભૂત થાય છેજી. જ્યારે-ત્યારે, આ, જીવને જ કરવું પડશે. કહેનાર કહી છૂટે અને વહેનાર વહી છૂટે, એમ તેઓશ્રી સ્પષ્ટ કહેતા, તે સત્ય છેજી. (બો-૩, પૃ.૩૧૨, આંક ૩૦૦)
D સંકલ્પ-વિકલ્પ જીવને દુઃખમાં દોરનાર છે. સંકલ્પ-વિકલ્પથી ઊંઘ પણ ન આવે. અલ્પ પણ સંકલ્પ અથવા નિયાણું જીવ કરે તો દુ:ખમાં લઇ જાય. નરકે પણ લઇ જાય. કંઇ પણ સંકલ્પ-વિકલ્પ ન કરે તો નિર્વિકલ્પ થાય.
મન, ઇન્દ્રિયો રોકે તો આત્મા આત્મારૂપે રહે છે. મનને રોકે તો પોતાનું ખરું સ્વરૂપ સમજાય. સંકલ્પ-વિકલ્પ રોક્યે સિદ્ધના સુખનો અનુભવ થાય છે. કષાયની ઉપશાંતતા વગેરે સાથે સદ્ગુરુનો બોધ હોય ત્યારે સંકલ્પ-વિકલ્પ રોકાય છે. પરમકૃપાળુદેવ તરફ મન જાય તો બીજે ન જાય, તેથી સંકલ્પ-વિકલ્પ ન થાય. (બો-૧, પૃ.૧૬૧, આંક ૩૨)
ઇચ્છા
॥ દુ:ખ એટલે મનમાં આકુળતા થાય તે. એ થવાનું કારણ ઇચ્છા છે. જગતમાં ઇચ્છા છે, તેટલું દુઃખ છે. જીવ ઇચ્છા વગર રહેતો નથી; એક મટે તો બીજી. જેટલી ઇચ્છા થાય તેટલી પૂરી થાય, એવું તો કંઇ ન હોય.
દેવ પણ દુ:ખી છે. પુણ્યવાન પણ સુખી નથી. વધારે ઇચ્છા થાય તો દુઃખી જ છે. જેટલી ઓછી ઇચ્છા તેટલો સુખી.
મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ એ ઇચ્છા થવાનાં કારણો છે. માટે સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યસંયમ કરવાં, તો ઇચ્છા મટી સુખ થાય. (બો-૧, પૃ.૧૩૬, આંક ૧૧)