________________
(૩૨૯)
તમારા માતાપિતા પ્રત્યે કેમ વર્તવું તે સંબંધી તમને ગૂંચવણ રહે છે, તેના ઉત્તરમાં જણાવવાનું કે તેમની સલાહ આપણું હિત કરવાની ભાવનાથી હોય છે. માત્ર તેમની સમજમાં ફેર હોવાથી જુદારૂપે લાગે. જો આપણા ભાવો સ્પષ્ટ તે સમજે તો આપણને દુઃખી કરવાનો વિચાર તેમને નથી હોતો, તેથી આપણે કરીએ છીએ તે જ કરવા તે કહે; પણ તેવી સમજ તેમની થાય ત્યાં સુધી આપણે મુશ્કેલી વેઠવાની રહી. તેમને દેહનો મોહ હોય છે તેથી દેહને માટે કાળજી રાખવા કહે. મૌન રાખવાથી તો તેમના વિચારો ફરે એવી અત્યારે તમારી દશા નથી, તેથી તેમના કાનમાં જ્ઞાનીપુરુષનાં વચનો પડતાં રહે તેવું કંઈક કરવું ઘટે; એટલે તમારે કે તેમને પસંદ પડે તેવા કોઇએ એકાદ કલાક તેમની આગળ વાંચન કરવાનું રાખ્યું હોય તો સ્વજનો તરફની ફરજ બજાવવા પૂરતો સંતોષ પણ તમને રહે અને તેમને પણ સારું શું છે તેનો વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થાય. હાલ તો તમને ઇચ્છા હોય તો મોક્ષમાળાનો એક પાઠ વાંચી તેનો ભાવાર્થ, તેમની સાથે વાત કરવાનો પ્રસંગ બને ત્યારે જણાવવો, કે બાર ભાવના સમાધિસોપાનમાં છે તેમાંથી થોડું-થોડું વાંચી વાતચીતના પ્રસંગોમાં તે ભાવો રેડતા રહેવા યોગ્ય છેજી; અને તેમને એમ થાય કે તમે બે ઘડી વાંચો તો અમે સાંભળીએ, તો પૂ. ....નાં માતુશ્રી, તમારાં માતુશ્રી, તમારાં ભાભી વગેરેને અનુકૂળ નવરાશનો વખત હોય ત્યારે કલાક, તે ગામમાં રહેવું બને ત્યાં સુધી ખોટી થાઓ તો તેમને રસ પડે તો પછી જેને વાંચતાં આવડતું હોય તેની પાસે પછી વંચાવવાનું તે ચાલુ પણ રાખે. શરીર સાચવવાની વાત કરે તો આપણે જણાવવું કે શરીર પાડી નાખવાના નિર્ણય ઉપર હું આવ્યો નથી, દવા કરવા માટે તો આવ્યો છું; ભક્તિથી શરીર બગડતું હોય તો અગાસમાં બધાંનાં બગડવાં જોઇએ, શરીરને આધારે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન આ ભવમાં કરી લેવાનો વિચાર છે; તેથી તમે કહો છો તેવી સંભાળ તો હું વગર કહ્યું લઉં છું; પણ બાંધેલાં કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી તે પણ સાંભળ્યું છે; તેથી મને વિશેષ લાગતું નથી અને તમે શરીર સુકાતું દેખી શોક કરો છો. આપણાથી બને તેટલું કરીએ, પછી જે થવાનું હશે તે થશે. માટે હવે મને શરીર ન જાણશો; મારા આત્માનું કલ્યાણ થાય તેવી આશિષ આપની પાસે માગું છું અને મારા અંતરની ઈચ્છા એવી છે કે હવે આત્મા ઓળખવા તથા તેનું હિત સાધવા ભણી તમારી વિશેષ કાળજી થશે તો મને સંતોષ રહેશે. ગમે તે રીતે પણ દેહભાવ ઓછો થાય અને આત્માનો વિચાર થાય, તેનું હિત કરવા જ્ઞાનીઓએ કહ્યું હોય તે આપણે સાંભળીએ, વિચારીએ, ઠીક લાગે અને બની શકે તેટલું વર્તનમાં મૂકીએ તો આપણે છીએ ત્યાંથી ઊંચી દશામાં આવીએ - એવી વાતો, વાંચન, ભજન દ્વારા તેમની સમજ ફરવાનો સંભવ છેજી. નરસિંહ મહેતાનાં, પરમકૃપાળુદેવનાં, આનંદઘનજી આદિનાં સામાન્ય પદો ગાઈ બતાવવાથી પણ ભાવો પલટાવી શકાય તેમ છેજી.
“પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ; હવે દ્રષ્ટિ થઇ આત્મમાં, ગયો દેહથી નેહ.''
(બી-૩, પૃ.૪૦૩, આંક ૪૧૦)