________________
૯૨૫) મહાપુરુષોની એવી માન્યતા છે કે મિથ્યાત્વસહિત, સ્વર્ગનાં સુખ અને ભોગવિલાસ હોય, તે ભૂંડા છે; પણ સમ્યક્ત્વસહિત નરકની અસહ્ય વેદનીય હોય તો પણ તે સારી છે, કારણ કે સમ્યત્વરૂપી સમજણથી કર્મનું સ્વરૂપ સમજાય છે કે તે છૂટવા માટે આવ્યા છે. તેને સમભાવે સહન કરવાથી ફરી ભોગવવાં નહીં પડે અને તેની મુદત પૂરી થયે, તે ઊભા રહેવાનાં પણ નથી. માત્ર જ્યાં સુધી એ પાપકર્મનો ઉદય છે, ત્યાં સુધી તે આત્મવીર્ય વધારવાનું નિમિત્ત હોવાથી, શિથિલ કરી નાખનાર પુણ્યકર્મ કરતાં પણ, તે બહુ ઉપયોગી છે; એવી સમજણથી શ્રી ગજસુકુમાર જેવા નાની ઉંમરમાં પણ મહાત્માપણું પામી, મોક્ષે ગયા છે. મરણની વેદના આગળ આ વેદના કંઈ ગણતરીમાં નથી અને જેને સહન કરવાની ટેવ પડશે, તે સમાધિમરણ માટે તૈયારી કરે છે, એ ચોક્કસ છે એમ વિચારી, સમભાવ, સહનશીલતા, ચિત્તપ્રસન્નતા, નિરાકુળપણું, ધીરજ, શાંતિ આદિ ખમી ખૂંદવાના ગુણને વધારવા પુરુષાર્થ કર્તવ્ય છે. કોઇનું દુઃખ કોઇથી લઈ શકાતું નથી; માટે “આ કાળજી રાખતા નથી કે આ સેવા કરતા નથી' એવું લાવી, ચીડિયો સ્વભાવ થવા દેવો ઘટતો નથી. જે થાય તે જોયા કરવું, એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આત્માનો ધર્મ જાણવું અને દેખવું એ છે, તે સદાય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે જે વેદના થાય છે, તે દેહનો ધર્મ છે અને પૂર્વે બાંધેલાં એવાં જડ કર્મનો વિપાક દેખાય છે, તેમાં ચેતનના ભાવ તણાઈ ન જાય, ‘આમ થાય તો સારું, આમ ન થાય તો સારું' એવા વિકલ્પોમાં જીવ ચઢી ન જાય અને માત્ર સ્મરણમાં રહે અને આત્મા ચૈતન્યસ્વરૂપ શુદ્ધ છે, નિર્વિકલ્પ દ્રષ્ટારૂપ છે, તે વારંવાર ધ્યાનમાં રહે માટે પરમકૃપાળુ દેવાધિદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું શરણું વારંવાર સ્મૃતિમાં લાવી, તેમની સમજ, તેમની સહનશીલતા, તેમની નિષ્કારણ કરુણાને વારંવાર સ્તવવાથી પણ કલ્યાણ થાય છેજી. સાસાંરિક સર્વ સંબંધો તરફથી વૃત્તિ દૂર કરી, આત્મકલ્યાણની જ ઈચ્છા કર્તવ્ય છે'. આત્મા એકલો છે, અને નિશ્ચયથી તે અસંગ છે, અજર છે, અમર છે, શાશ્વત છે, પરમાનંદસ્વરૂપ છે; તે રોગી નથી, દુ:ખી નથી, રાગી નથી, દ્વેષી નથી. આવી આત્મભાવનાથી જ્ઞાની, મૃત્યુને પણ મહોત્સવરૂપ માને છે, સંકટમાં સંતોષી રહે છે, ઉપાધિમાં પણ નિરુપાધિક રહે છે, શોકના પ્રસંગમાં પણ આનંદી રહે છે. આત્માનું સુખ જ્ઞાનીઓએ જોયું છે, અનુભવ્યું છે, ઉપદેશ્ય છે - તેની જ ભાવના કર્તવ્ય છે. તેના સુખ આગળ ચક્રવર્તીનાં સુખ પણ તરણાતુલ્ય છે અને મરણાંતિક વેદના પણ તે સુખનું હરણ કરી શકતી
નથી. (બી-૩, પૃ.૬૬, આંક ૫૪) D આપના પિતાશ્રીની શરીરસેવા ઉપરાંત સ્મરણ સંભળાવવાની ભાવસેવામાં પણ, તત્પર રહેવા વિનંતી છેજી. માંદગીના પ્રસંગોમાં માંદા માણસની વૃત્તિ ઘર-કુટુંબ આદિમાં ન રહે તેવી વૈરાગ્યની વાત પોતાથી થાય તો તે, નહીં તો સમાધિસોપાન આદિમાંથી અનિત્યાદિ બાર ભાવના વાંચી સંભળાવવાથી દેહ, સંસાર, અને ભોગ પ્રત્યે વૈરાગ્ય ઊપજે અને પરમકૃપાળુદેવનું શરણ વૃઢ થાય, તેમ કર્તવ્ય છે. આપણને પણ તે પ્રસંગ વૈરાગ્યપ્રેરક બને છે. માટે બને તેટલા સારા સંસ્કારોમાં તેમનું ચિત્ત રહે, તેમ કરવા ભલામણ છેજી.