________________
(૧૧૨)
તમારા તરફથી આશિષ અને અનુકૂળતા મળશે એમ મનમાં ખાતરી છે, પણ વખતે નાનાભાઈ ઉપરનો સાંસારિક મોહ, આજ સુધી દબાઈ રહેલો, તમને ઘેરી લે અને મને સંસારમાં બાંધી રાખવા આગ્રહ કરો; પણ મારા સ્વભાવ સંબંધી તમે જાણો છો કે એક વખત નિશ્ચય કરેલો ફરવો મુશ્કેલ છે. એમ તમે બે પ્રસંગે તો જાણ્યું છે : એક સોસાયટીમાં જોડાવા સંબંધીનો અને બીજો લગ્નપ્રસંગનો એ બંને પ્રસંગોમાં તમને ખોટું લગાડવું પડેલું તેમ આ શુભ કામમાં કરવું ન પડે માટે લંબાણથી આ પત્ર લખી કાલાવાલા કર્યા છે. આ કામ શુભ છે એવું તો આજ સુધી તમે ધર્મના વાતાવરણમાં એટલે ભગત કુટુંબમાં રહ્યા છો એટલે અંતરમાં સમજ્યા જ હશો; પણ મોહને લઇને રડવું વખતે આવશે, છતાં કાલે સવારે હું મરી જાઉં તો આ બધું તમારે સાચવવાનું તો છે જ અને મારે વહેલું મરી લેવું છે એટલે જે ચિંતા મર્યા પછી થવાની તે પહેલેથી થવાની હોય તેટલી થઇ જાય અને એ વહેલું પતી જાય. પછી જે વર્ષ બચ્યાં તેટલાં મારા આત્માની કહો, આશ્રમની કહો કે જગતની કહો, પણ જેમાં સર્વની સાચી સેવા સમાય તેવી ફરજ બજાવવા માટે હું ઘરબાર છોડી અણગાર થવા ઇચ્છું છું. આ કાર્ય કરવામાં મારા મન સાથે કોઈ પણ પ્રકારની લાલસા મેં સંઘરી રાખી નથી. સંત, મહંત કે ગાદીપતિ થવાની ગંધ પણ મારી ઇચ્છામાં નથી, પણ સર્વનો સેવક અને આત્માર્થી થવાની ઇચ્છા ઘણા કાળથી બાંધી રાખી છે તેવા થવું છે. તેમ જ નથી હું સોસાયટીના કામની મુશ્કેલીથી કે કામના દબાણથી કંટાળ્યો કે નથી સોસાયટીવાળાઓએ મને કાઢી મૂકવાનો વિચાર કર્યો કે જેથી મારે બીજું કોઈ સ્થળ શોધવું પડે. જો તેમ હોય તો આજે બસો-પાંચસો રૂપિયા મહિને મળે તેવી નોકરી હું શોધી શકું એટલી મારામાં મને શ્રદ્ધા અને શક્તિ જણાય છે. પણ તે બધાં ગુલામ કે નોકર બનવાનાં અને બનાવવાનાં સાધન સમજાયાથી, સ્વતંત્ર જીવન સમજવું, સ્વતંત્ર થવું અને સ્વતંત્ર થવા ઇચ્છનારને દેખેલો માર્ગ યથાશક્તિ આંગળી ચીંધી બતાવવા તૈયાર થવું એટલું જ કામ કંઈક મારાથી બની શકે તો આટલા ટૂંકા જીવનમાં તે ઓછું નથી, એમ અત્યારે લાગે છે. જે વસ્તુ માલ વગરની લાગે છે તેમાં ને તેમાં જ ગોચલા ગણવા અને તેના તે વિચારોમાં ગૂંચાયા કરવું તે હવે અસહ્ય લાગે છે. તેમાં જીવવું તે સાક્ષાતુ મરણ દેખાય છે. જેને માટે જીવવું છે તે જો ન બને તો હાલતાચાલતા મડદા જેવી સ્થિતિમાં જીવવા જેવું જ છે, ખરાબમાં ખરાબ કેદ જેવું છે, કોઈ કોથળામાં પાંચશેરી વાલી માર મારે તે મૂંગે મોઢે સહન કરવા જેવું છે. આજ સુધી તમને કંઈ નથી કહ્યું, તેના બે કારણો હતાં : (૧) મારે મારી પોતાની ખાતરી કરવાની હતી કે હું કંટાળીને સંસારથી છૂટો થવા ઇચ્છું છું કે માત્ર શુભ જીવનને માટે છૂટો થઉં છું? (૨) બબુ નાનો હતો તે વખતે તેની સંભાળ માટે વધારે મહેનત લેવી પડે અને નાનપણમાં પડેલા સંસ્કારો આખી જિંદગી સુધી કામ કરે છે તેથી તે અઘરું કામ ગણીને કોઈને તે કામ સોંપતા મન પાછું પડેલું. હવે તે પોતાની સંભાળ મોટે ભાગે પોતે લઈ શકે, છૂટો ગમે ત્યાં રમતો ફરે તેટલી ઉંમરનો હોવાથી સંભાળ રાખનારને ઘણી ચિંતાનું કારણ નથી; તેમ જ સારું વાંચન અને સાધારણ સારા કુટુંબમાં રહેવાનું તને મળે તેમાંથી યથાપ્રારબ્ધ તેને આગળ વધવાના સાધનો મળી આવે એવો સંભવ છે. અહીં પણ તેને મારી જરૂર નથી અને હું કંઈ તેને માટે કરી નાખતો નથી, તેમ જ જે કામ માટે હું તેને અને સર્વને છોડું છું તે સમજવા જેટલી ઉંમરે તેને તે પ્રસંગ પણ આગળ વધવામાં નિમિત્તભૂત થાય તેવો સંભવ છે. સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે સૌ આગળ વધવાનાં, ધંધે લાગવાનાં અને કમાવાનાં સાધનો મેળવી રહે છે અને