________________
મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૦૧માં પ્રથમ વાક્ય છે કે “એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે.” તે વિચારીએ તો જડ પદાર્થો જડના નિયમ પ્રવર્તે છે અને ચેતન પદાર્થો ચેતનના ધર્મ (નિયમ) પ્રમાણે પ્રવર્તે છે. તમે ચૂલો ચેતાવી તપેલીમાં આંધણ મૂકી ચોખાદાળ ચઢતા સુધી લગાડો છો તો ખીચડી થાય છે. તેવી રીતે દુનિયાનાં બધાં કાર્યો બધા સંસારી જીવો કરે છે. સંસારી જીવ કામ કરવાના ભાવ કરે છે અને તેને અનુસરીને તેનું વીર્ય કે શક્તિ પ્રવર્તે છે, તે પ્રમાણે જડ પદાર્થો પોતાના નિયમની મર્યાદા પ્રમાણે પ્રવર્તે છે. વધારે લાગે તો ખીચડી બળી જાય અને ન લાગે તો કાચી રહે. દુનિયામાં થતાં કાર્યોનો કંઇક ખુલાસો થવા આ દૃષ્ટાંત છે. પ્રશ્ન થાય કે પૃથ્વી, અગ્નિ વગેરે કોણે રચ્યાં ? તેનું સમાધાન કે પૃથ્વીના કણો જેની કાયા છે એવા જીવો, એવાં કર્મ બાંધવાથી ત્યાં ઉત્પન્ન થાય છે, તે પૃથ્વીકાયરૂપ દેહ છોડી બીજે જન્મે છે અને વળી બીજા વનસ્પતિ આદિ જીવો જેમણે, તેવાં જ કર્મ બાંધ્યાં હોય તે પાછા પૃથ્વીરૂપ શરીર ધારણ કરે છે. આમ અનંત જીવો પૃથ્વી, અગ્નિ, પાણી, વાયુ આદિ શરીરો ધારણ કરી રહ્યા છે, મરે છે, જન્મે છે છતાં પૃથ્વી તેની તે આપણને દેખાય છે. તેવી જ સ્થિતિ સૂર્ય, ચંદ્ર, તારા વગેરેની સમજવી. આ સંબંધી ઘણા પ્રશ્નો ઊઠે પણ સમાગમ વિના, માત્ર પત્રથી તેનું સમાધાન થવા સંભવ નથી. છતાં વિચારાય તેટલા પ્રશ્નો વિચારવા, નોંધી રાખવા અને અવસરે તેનો ખુલાસો મેળવી નિઃશંક થવાની જરૂર છેજી. આ પ્રશ્નનો બીજો ભાગ “આ બધું એમ જ કેમ થયા કરે છે?' તેનો કંઈક ખુલાસો ઉપરના લખાણથી થશે; છતાં જુદો ખુલાસો લખું છું: રાત્રિ, દિવસ, ઋતુ, ચોમાસું આદિ વિજ્ઞાનના પ્રશ્નો વિદ્વાનોએ બહુ વિચાર્યા છે. નિશાળની વાંચનમાળામાં પણ તેવા પાઠ મૂકેલા છે. પૃથ્વી, ચંદ્ર આદિની ગતિના નિયમોને અનુસરીને બધા ફેરફારો થયા કરે છે તથા પવનના પ્રવાહોને અનુસરી વરાળનાં વાદળાં અને વરસાદ, જંગલ આદિ અનુકૂળ સ્થળોએ વધારે અને ઉન્ડ પ્રદેશોમાં ઓછો થાય છે, તેનું વર્ણન આ ટૂંકા પત્રમાં થઈ શકે તેમ નથી; પણ ઈશ્વરને નહીં માનનારા વિજ્ઞાનશાસ્ત્રીઓએ તેનાં કારણો બુદ્ધિને સંતોષ આપે તેવા આપ્યાં છે. બધાનો સાર એ છે કે અમુક-અમુક નિયમોને અનુસરીને દુનિયામાં બધું પ્રવર્તન થયા કરે છે. વળી એમ પણ પ્રશ્ન ઊઠે કે રાજા, રંક, રોગી, નિરોગી, પાપી, પુણ્યવંત વગેરેની વ્યવસ્થા કે હિસાબ કોણ રાખે છે? તેનો ઉત્તર પણ કર્મના નિયમો વિચારવાથી મળી આવે છે. જેવા ભાવો જીવ કરે છે તેવા પ્રકારના જડ પરમાણુઓનો યોગ જીવ સાથે સંબંધમાં આવે છે. તે કાળે કરીને, બીજ જેમ વાવવાથી ફળ આપે છે તેમ, પરભવમાં પોતાના નિયમને અનુસરીને ફળ આપે છે. જીવ દેહ છોડીને જાય છે ત્યારે કર્મનો બનેલો સૂક્ષ્મ દેહ, રથની પેઠે, જ્યાં તે કર્મ ફળવાન થવાનાં હોય તેવી જગ્યાએ (ગર્ભ આદિમાં) લઈ જાય છે. ત્યાં સ્ત્રી, પુરુષ આદિ જેવાં કર્મ બાંધ્યાં હોય તેવો દેહ, બીજમાંથી છોડ થાય તેમ પ્રગટે છે. ક્રમે કરીને વધે છે અને જેટલું આયુષ્ય હોય તેટલા વખત સુધી