Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ સારસંગ્રહ
૧૭૩
ઓછા હોય છે. અને મધ્યમ કષાયવાળા જીવો વધારે હોય છે. તેથી જ યવમધ્ય=આઠ સમયના કાળવાળાં રસસ્થાનોને બાંધનારા જીવો ઘણા હોય છે. અને ક્રમશઃ બન્ને બાજુ પછી પછીનાં રસસ્થાનોને બાંધનારા જીવો ઓછા ઓછા હોય છે. આ અનંતરોપનિધા છે. પરંપરોપનિધાએ વિચારીએ તો જઘન્ય ચાર સમયગાળા પહેલા રસસ્થાનને બાંધનારા જીવો અલ્પ હોય છે. અને ત્યાંથી અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ રસસ્થાનો ઓળંગી પછીના રસસ્થાનને બાંધનારા જીવો બમણા હોય છે. ત્યાંથી પુનઃ તેટલી જ સંખ્યા પ્રમાણ રસસ્થાનો ઓળંગી-ઓળંગી પછીના રસસ્થાનને બાંધનારા જીવો બમણા હોય છે. એમ થવમધ્યસ્થાનો સુધી અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ રસસ્થાનો ઓળંગી-ઓળંગી પછી પછીનાં રસસ્થાનોને બાંધનારા જીવો બમણાબમણા હોય છે. અને યવમધ્યનાં રસસ્થાનોની અપેક્ષાએ ઉપરના બે સમયવાળા સર્વોત્કૃષ્ટ અન્તિમ રસસ્થાન સુધી અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ રસસ્થાનો ઓળંગી-ઓળંગી પછીપછીનાં રસસ્થાનોને બાંધનારા જીવો અર્ધા-અર્ધા હોય છે.
આવાં દ્વિગુણહાનિનાં સ્થાનો ત્રસ જીવોમાં આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે અને ત્રસના એક દ્વિગુણહાનિનાં વચ્ચે રહેલાં સ્થાનો તેઓના દ્વિગુણહાનિ સ્થાનોથી અસંખ્ય ગુણ છે અને ત્રસોના એક દ્વિગુણ હાનિના વચમાં રહેલ સ્થાનોથી પણ સ્થાવર પ્રાયોગ્ય સ્થાનોમાં દ્વિગુણહાનિ સ્થાનો અસંખ્યાતગુણા છે. અર્થાત્ સ્થાવર જીવોમાં દ્વિગુણ હાનિનાં સ્થાનો ઘણાં છે. અને તેનાથી એક દ્વિગુણ હાનિનાં વચ્ચે રહેલાં સ્થાનો ઓછાં છે.
અહીં સ્વાભાવિક એવી શંકા થાય કે ત્રસ જીવો નિરંતર આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્યાત સમય જેટલાં સ્થાનોને જ બાંધે છે. ત્યારપછી એક, બે યાવત અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ સ્થાનો વચ્ચે ખાલી હોય છે. ત્યારબાદ વળી અંતર વિના અમુક સ્થાનો લાઇનસર બાંધે છે. અને ત્યારપછી વળી કેટલાંયેક સ્થાનોને નથી પણ બાંધતા, તેમજ કોઈ પણ એક સ્થાનને એકીસાથે આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા જ જીવો બાંધે
છે. જ્યારે અહીં તો અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ સ્થાનો ઓળંગી ઓળંગી પછી પછીના ' સ્થાનમાં આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલી વખત દ્વિગુણહાનિ સ્થાનો બતાવ્યાં, પરંતુ નિરંતર આવલિકાના અસંખ્યાતમા ભાગથી વધારે સ્થાનો બંધાતાં જ નથી. અને તેથી એક પણ દ્વિગુણહાનિ સ્થાન થઈ શકે જ નહિ. તેમજ વિવક્ષિત સ્થાનથી પછીના સ્થાનને બાંધનાર એક એક જીવ અધિક ગણીએ તોપણ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ સ્થાનો સુધી જતાં જીવો પણ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ થાય, અર્થાત્ એક સ્થાનને બાંધનાર ત્રસ જીવો અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ થઈ જાય. પરંતુ કોઈ પણ એક સ્થાનને ઉત્કૃષ્ટથી પણ આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા જ જીવો બાંધે છે, એમ કહ્યું છે. તો તેના ઉત્તરમાં સમજવાનું કે તમોએ કહી તે વાત બરાબર છે, હંમેશ માટે આટલાં સ્થાનોને આટલા ત્રસ જીવો બાંધનારા હોતા નથી. પરંતુ અહીં દ્વિગુણ હાનિ સ્થાનો ત્રિકાળવર્તી જીવોની અપેક્ષાએ બતાવેલ છે. એટલે પ્રથમ સ્થાનને બાંધનારો ઉત્કૃષ્ટથી જેટલા જીવો હોય છે, તેનાથી અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પછીના સ્થાનને જ્યારે જીવો બાંધતા હોય ત્યારે ઉત્કૃષ્ટથી પહેલા સ્થાનને બાંધનારા જીવો કરતાં બમણા હોય છે.