Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ
માયા આદિમાં સંક્રમાવે છે. બે આવલિકા શેષ રહે ત્યારે આગાલનો વિચ્છેદ થાય છે. કેવળ ઉદીરણા જ પ્રવર્તે છે. તે પણ એક આવલિકા પર્યંત જ થાય છે. તે ઉદીરણાવલિકાના છેલ્લે સમયે બંધ અને ઉદય પણ દૂર થાય છે. ત્રણે સાથે જ દૂર થાય છે. તે વખતે પ્રથમસ્થિતિની એક આવલિકા બાકી રહે છે.
h23
જે સમયે માનનો બંધવિચ્છેદ થાય છે તે સમયે સંજ્વલન માન, માયા અને લોભનો સ્થિતિબંધ બે માસ થાય છે. અને શેષ કર્મોનો સંખ્યાતા વર્ષનો થાય છે. અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ માન સર્વથા શાંત થાય છે અને સંજ્વલનમાનનું પ્રથમસ્થિતિની છેલ્લી એક આવલિકા તથા સમયોન બે આવલિકાકાળમાં બંધાયેલું દલિક છોડીને શેષ સઘળું શાંત થાય છે. પ્રથમસ્થિતિની આવલિકાને સ્તિબુકસંક્રમ વડે માયામાં સંક્રમાવી અનુભવે છે, અને સમયોન બે આવલિકાકાળમાં બંધાયેલા દળને તેટલા જ કાળે પુરુષવેદના ક્રમે ઉપશમાવે છે, અને સંક્રમાવે છે.
માનનો ઉદયવિચ્છેદ થયા પછી સંજ્વલનમાયાની દ્વિતીયસ્થિતિમાંથી દલિક ખેંચીને પ્રથમસ્થિતિ કરે છે અને વેદે છે. તે પ્રથમસ્થિતિના પ્રથમસમયે માયા અને લોભનો બે માસ સ્થિતિબંધ થાય છે, અને શેષ કર્મોનો સંખ્યાતા વર્ષનો થાય છે. તે જ સમયથી આરંભી ત્રણે માયાને એક સાથે ઉપશમાવવાનો આરંભ કરે છે.
સંજ્વલન માયાની પ્રથમ સ્થિતિ સમયોન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણીય માયાને સંજ્વલનમાયામાં સંક્રમાવતો નથી, કારણ તેની પતદ્મહતા નષ્ટ થાય છે. પરંતુ સંજ્વલન લોભમાં સંક્રમાવે છે. બે આવલિકા શેષ રહે ત્યારે આગાલ બંધ પડે છે, કેવળ એક આવલિકા પર્યંત ઉદીરણા પ્રવર્તે છે. તે ઉદીરણાવલિકાના ચરમસમયે સંજ્વલન માયા અને લોભનો સ્થિતિબંધ એક માસનો થાય છે, અને શેષ કર્મોનો સંખ્યાતા વર્ષનો થાય છે. અને તે જ સમયે સંજ્વલન માયાના બંધ, ઉદય અને ઉદીરણાનો વિચ્છેદ થાય છે. અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ માયા સર્વથા શાંત થાય છે. અને સંજ્વલનમાયાંનું પ્રથમસ્થિતિની એક આવલિકા અને સમયોન બે આવલિકા કાળમાં બંધાયેલા દલિકને છોડીને શેષ સઘળું શાંત થાય છે. અવશિષ્ટ પ્રથમસ્થિતિની છેલ્લી આવલિકાને સંજ્વલન લોભમાં સ્તિબુકસંક્રમ વડે સંક્રમાવી ભોગવે છે. સમયોન બે આવલિકા કાળમાં બંધાયેલા દલિકને તેટલા જ કાળે પુરુષવેદના ક્રમ પ્રમાણે ઉપશમાવે છે, અને સંજ્વલન લોભમાં સંક્રમાવે છે.
ત્યારપછીના સમયે એટલે કે જે સમયે માયાનો ઉદયવિચ્છેદ થયો તે પછીના સમયે સંજ્વલન લોભની દ્વિતીય સ્થિતિમાંથી દલિક ખેંચીને પ્રથમસ્થિતિ કરે છે અને અનુભવે છે. આવી રીતે ક્રોધનો ઉદયવિચ્છેદ થયા પછી માનનો ઉદય, તેનો ઉદયવિચ્છેદ થયા પછી માયાનો ઉદય, અને તેનો ઉદયવિચ્છેદ થયા પછી લોભનો ઉદય થાય છે, અને તે દરેકની પ્રથમસ્થિતિની જે છેલ્લી-છેલ્લી આવલિકા શેષ રહે છે તે પછી-પછીમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવી અનુભવે છે. ૭૨
હવે સંજવલન ક્રોધાદિનો પોતપોતાના ઉદયના ચરમસમયે જેટલો સ્થિતિબંધ પૂર્વે ટીકામાં કહ્યો છે તેને સૂત્રકાર પોતે જ આ નીચેની ગાથામાં બતાવે છે.