Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૨૭
ક્ષપકશ્રેણિનું સ્વરૂપ
અંતર્મુહૂર્ત પ્રમાણ અપૂર્વસ્પર્ધક થવાની ક્રિયા પૂર્ણ થાય એટલે કિટ્ટિકરણાદ્ધામાં પ્રવેશે છે. એટલે કે કિટ્ટિ કરવાની ક્રિયા શરૂ કરે છે. કિટ્ટિ કરવાની ક્રિયા શરૂ કરતો આત્મા સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ એ ચારેના બીજી સ્થિતિમાં રહેલ દળની કિટ્ટિ કરે છે. તે કિટ્ટિઓ જો કે વાસ્તવિક રીતે અનંત છે, તોપણ ક્રોધની ત્રણ, માનની ત્રણ, માયાની ત્રણ અને લોભની ત્રણ એમ ચારે કષાયની મળી સ્થૂળ જાતિભેદની અપેક્ષાએ બાર કલ્પાય છે.
અહીં જઘન્ય રસવાળી કિટ્ટિ પહેલી, કંઈક ચડતા રસવાળી બીજી, એમ અનંત કિટ્ટિની ચડતા ચડતા ક્રમે સ્થાપના સ્થાપવી, તેમાં જઘન્યથી અમુક સંખ્યા પર્યંતની કિટ્ટિઓનો ‘પહેલીમાં’ સમાવેશ કર્યો, ત્યારપછીની અમુક સંખ્યાવાળી કિક્રિઓનો ‘બીજીમાં' સમાવેશ કર્યો, ત્યારપછીની છેલ્લી કિટ્ટિ સુધીનો ‘ત્રીજીમાં’ સમાવેશ કર્યો છે. મતલબ કે ક્રોધાદિની સઘળી કિટ્ટિઓનો ત્રણ ત્રણ ભાગમાં સમાવેશ કર્યો છે. એટલે દરેકની ત્રણ ત્રણ કિટ્ટિઓ કલ્પાય છે, એમ કહેવામાં આવ્યું છે.
(પ્રથમ સંજ્ઞાવાળી કિટ્ટિઓને પહેલાં અનુભવે છે, દ્વિતીય સંજ્ઞાવાળી કિટ્ટિઓને ત્યારપછી અનુભવે છે, અને તૃતીય સંજ્ઞાવાળી કિટ્ટિઓને તે પછી અનુભવે છે. આ પ્રમાણે અનુભવે છે, એટલે અનંત કિટ્ટિઓનો ત્રણમાં સમાવેશ કર્યો હોય એમ સમજાય છે.)
ક્રોધના ઉદયે શ્રેણિ આરંભનાર આ પ્રમાણે બાર કિટ્ટિઓ કરે છે. જો માનના ઉદય ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય તો સ્ત્રીવેદના ઉદયે શ્રેણિ આરંભનાર પુરુષવેદનો જે રીતે ક્ષય કરે છે તે રીતે ક્રોધનો નાશ કરે છે, એટલે તેની કિટ્ટિઓ થતી નથી. પરંતુ માનની ત્રણ, માયાની ત્રણ અને લોભની ત્રણ કુલ નવ કિટ્ટિઓ જ થાય છે. માયાના ઉદયે જો ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય તો ક્રોધ અને માન એ બંનેનો તો પૂર્વોક્ત રીતે સત્તામાંથી નાશ કરે છે. એટલે માયા અને લોભની જ કિટ્ટિઓ કરે છે. અને જો લોભના ઉદયે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય તો ક્રોધ, માન અને માયા એ ત્રણેનો પૂર્વોક્ત વિધિએ નાશ કરે છે, એટલે માત્ર લોભની જ ત્રણ કિટ્ટિ કરે છે.
આ ઉપરથી એમ સમજાય છે કે અવેદીના પ્રથમ સમયથી બે સમયન્યૂન બે આવલિકા કાળ સુધી જ પુરુષવેદની સત્તા હોય છે, ત્યારબાદ હોતી નથી. આનું કારણ એમ છે કે જે સમયે બાંધે છે તે સમયથી આરંભી બંધાવલિકા ગયા બાદ સંક્રમાવવાનો આરંભ કરે છે, સંક્રમાવલિકાના ચરમસમયે સંક્રમાવી ખલાસ કરે છે, એટલે ચરમસમયે સત્તામાં રહેતું નથી. જેમ કે—જે સમયે બંધવિચ્છેદ થાય છે તે સમયથી પહેલાં આઠમા સમયે બાંધ્યું તેની બંધાવલિકા ગયા બાદ સંક્રમની શરૂઆત કરે, સમયે સમયે સંક્રમાવતાં ચરમસમયે-બંધવિચ્છેદ સમયે સર્વથા નાશ કરે છે. એટલે બંધવચ્છેદ સમયે સમયન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું જ શેષ રહે છે. તેને ઉપરોક્ત ક્રમે સંક્રમાવતાં તેટલા જ કાળે સત્તામાંથી નાશ કરે છે.
બંધવિચ્છેદથી પૂર્વે આઠમા સમયે બંધાયેલા દળના સંક્રમની શરૂઆત ચોથા સમયથી થાય અવેદીના પૂર્વ સમયે સંક્રમાવી ખલાસ કરે એટલે તે સમયે આઠમા સમયનું બંધાયેલું ન હોય. એટલે બંધવિચ્છેદ સમયે સમયન્યૂન બે આવલિકાનું બંધાયેલું સત્તામાં હોય છે એમ કહેવામાં આવ્યું છે, (અહીં આવલિકાના ચાર સમય કલ્પ્યા છે) એ હિસાબે સાતમા સમયે બંધાયેલું બંધવિચ્છેદ પછીના પ્રથમ સમયે, છઠ્ઠા સમયે બંધાયેલું બીજા સમયે, પાંચમા સમયે બંધાયેલું ત્રીજા સમયે, ચોથા સમયે બંધાયેલું, ચોથા સમયે, ત્રીજા સમયે બંધાયેલું પાંચમા સમયે, બીજા સમયે બંધાયેલું છઠ્ઠા સમયે અને પહેલા એટલે કે બંધવિચ્છેદ સમયે બંધાયેલું સાતમા સમયે સત્તામાં હોતું નથી, એ ફલિત થાય છે.