Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
મોહનીયની અજઘન્ય અનુભાગોદીરણા સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે પ્રમાણે—મોહનીયકર્મની જઘન્ય અનુભાગોદીરણા ક્ષપકશ્રેણિમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે વર્તમાન આત્માને સમયાધિક આવલિકા શેષ સ્થિતિ હોય ત્યારે થાય છે. અને તે એક સમય પર્યંત જ થતી હોવાથી સાદિ-સાંત છે. શેષ કાળ અજઘન્ય અનુભાગોદીરણા પ્રવર્તે છે તે ઉપશાંતમોહ ગુણસ્થાનકે થતી નથી, ત્યાંથી પડે ત્યારે થાય છે—માટે સાદિ, તે સ્થાન નહિ પ્રાપ્ત કરનારને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ છે.
૫૩૮
શેષ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયકર્મરૂપ ઘાતિકર્મની અજઘન્ય અનુભાગોદીરણા અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે—આ કર્મપ્રકૃતિઓની ક્ષીણમોહ ગુણસ્થાનકની સમયાધિક આવલિકાપ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે જઘન્ય અનુભાગોદીરણા થાય છે. અને તે એક સમય માત્ર થતી હોવાથી સાદિ-સાંત છે. તે સિવાય અન્ય સઘળી અજઘન્ય અનુભાગોદીરણા પ્રવર્તે છે. તે અનાદિ કાળથી પ્રવર્તતી હોવાથી અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ છે.
નામ-ગોત્રકર્મની અનુત્કૃષ્ટ અનુભાગોદીરણા અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ રીતે—આ બે કર્મની ઉત્કૃષ્ટ અનુભાગોદીરણા સયોગીકેવલ ગુણસ્થાનકે પ્રવર્તે છે. અને તે નિયત કાળ પર્યંત પ્રવર્તતી હોવાથી સાદિ-સાંત છે. તે સિવાયની અન્ય સઘળી અનુત્કૃષ્ટ છે. આ ગુણસ્થાનક પ્રાપ્ત થતાં પહેલાં અનાદિ કાળથી થતી હોવાથી અનુત્કૃષ્ટ ઉદીરણા અનાદિ છે. અભવ્યને અનંત, અને ભવ્ય જ્યારે ચૌદમું ગુણસ્થાનક પ્રાપ્ત કરશે ત્યારે અનુત્કૃષ્ટ
ઉદીરણાને અંત કરશે માટે તેઓ આશ્રયી સાંત છે.
જે જે કર્મ આશ્રયી જે જે વિકલ્પો કહ્યા તે સિવાયના અન્ય વિકલ્પો સાદિ અને સાંત એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે-ઘાતિકર્મની ઉત્કૃષ્ટ-અનુષ્કૃષ્ટ અનુભાગોદીરણા મિથ્યાત્વીને પર્યાય-વારાફરતી પ્રવર્તતી હોવાથી સાદિ-સાંત છે. ઉક્તકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ પહેલા ગુણઠાણે થાય છે, એટલે જ્યાં સુધી ઉત્કૃષ્ટ રસ સત્તામાં હોય ત્યાં સુધી તેની ઉત્કૃષ્ટ ઉદીરણા, ત્યારબાદ અનુત્કૃષ્ટ અનુભાગોદીરણા પ્રવર્તે છે. વળી જ્યારે ઉત્કૃષ્ટ રસનો બંધ થાય ત્યારે ઉત્કૃષ્ટ અનુભાગોદીરણા પ્રવર્તે છે. આ પ્રમાણે વારાફરતી થતી હોવાથી સાદિ-સાંત છે. અને જધન્ય ઉદીરણા આશ્રયી અજઘન્ય ઉદીરણા કહેવાના પ્રસંગે કહેલ છે.
નામ, ગોત્ર અને વેદનીયકર્મની જઘન્ય, અજઘન્ય અનુભાગોદીરણા મિથ્યાર્દષ્ટિને વારાફરતી થતી હોવાથી તે બંને સાદિ-સાંત છે. ઉક્તકર્મના જઘન્ય અનુભાગનો બંધ નિગોદીયા જીવોને થાય છે, માટે ઉપરોક્ત રીતે જઘન્ય, અજઘન્ય, સાદિ-સાંત છે. ઉત્કૃષ્ટ ઉદીરણા સંબંધે પહેલાં વિચાર કર્યો છે. આયુના જઘન્ય આદિ ચારે ભેદો તે અપ્રુવ હોવાથી સાદિ અને સાંત એમ બે પ્રકારે છે. કેમ કે પર્યંતાવલિકામાં કોઈપણ આયુની ઉદીરણા થતી નથી, પર્યંતાવલિકા શેષ ન રહે ત્યાં સુધી જ થાય છે. ૫૪-૫૫.
આ પ્રમાણે મૂળકર્મ સંબંધ સાદિ આદિ ભંગનો વિચાર કર્યો. હવે ઉત્તર પ્રકૃતિ સંબંધે વિચાર કરતાં આ ગાથા કહે છે.