Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* અર્ણિકાપુત્રાચાર્ય જેવા પુણ્યશાળી ચરમશરીરીને કેવી અવસ્થામાં કેવળજ્ઞાન મળ્યું ? ત્રિશૂળ પર વીંધાઈ જતી અવસ્થામાં ! આવા પુણ્યશાળીની આવી હાલત ? કર્મને કોઈની શરમ નથી.
કર્મનો આવો ઉદય આવશે ત્યારે આપણે સહન કરી શકીશું?
કેવળજ્ઞાનીને પણ કર્મ ન છોડે. કેવળી ભગવાન મહાવીર દેવ પર પણ તેજોવેશ્યાનો ઉપસર્ગ આવી શક્તો હોય તો આપણે કઈ વાડીના મૂળા ?
માટે જ કર્મના બંધન વખતે સાવધાન થવાનું છે :
બંધ સમય ચિત્ત ચેતીયે રે, ઉદયે શો સંતાપ ?” કર્મ-ઉદય વખતે આપણે પરાધીન છીએ, તીર્થંકર પણ પરાધીન છે. તે વખતે ગમે તેટલી ચીસાચીસ કરીએ, કાંઇ નહિ વળે, પણ કર્મ-બંધનમાં આપણે સ્વતંત્ર છીએ. કર્મ કેવા બાંધવા તે તમારા હાથમાં છે. કર્મ કેવા ભોગવવા તે તમારા હાથમાં નથી.
આ માનવ-જીવન કર્મને કાપવા માટે છે, વધારવા માટે નહિ.
* અનંતા માનવ-જીવન આપણા નકામા ગયા. કારણ કે માનવ જીવન મળ્યા પછી બોધિ મળી નથી. માટે જ ૧૨ ભાવનામાં બોધિ દુર્લભ નામની એક ભાવના મૂકવામાં આવી છે.
સાધુપણા પહેલા બોધિની વાત એટલા માટે મૂકી કે બોધિ સહિતનું સાધુપણું જ સફળ બની શકે. બોધિ વગરના સાધુપણાને શું કરવાનું ? એ તો અભવ્યને પણ મળી શકે.
* જે વસ્તુનો અનાદર કરશો તે વસ્તુ તમને બીજીવાર નહિ મળે. તપ-ગુણનો અનાદર કરશો તો તપ નહિ કરી શકો. જ્ઞાનનો અનાદર કરશો તો જ્ઞાન નહિ ભણી શકો. એમ બધા જ ગુણોનું સમજી લેવું.
ગુણો મળ્યા પછી પણ નમ્ર બનવાનું છે. જો નમ્ર ન બન્યા તો એ ગુણો પણ બીજીવાર નહિ મળવાના.
* અહંકાર ખૂબ જ ખતરનાક છે. અહંકાર સ્વ-ઉત્કર્ષ અને પર-અપકર્ષ બે ચીજ શીખવાડે છે.
૧૯૬ છે કહ્યું, કલાપૂર્ણસૂરિએ