Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
હૃદયને કશું સ્પર્શતું નથી. કારણ કે એ માટે પણ પાત્રતા જોઈએ, ભાગ્ય જોઈએ. સરોવરમાં ગમે તેટલું પાણી નજર સામે જ દેખાય, પણ તમે તમારા મટકા પ્રમાણે જ લઈ શકો.
એક ભગવાનને 'તમે એવા પકડી લો કે જીવનની કોઈપણ ક્ષણે તમે ભૂલી શકો નહિ. ભગવાન પકડશો તો બધું જ પકડાઈ જશે. ભગવાન છુટી જશે તો બધું જ છુટી જશે.
‘પ્રભુ-પદ વળગ્યા તે રહ્યા તાજા;
અળગા અંગ ન સાજા રે.’’
* પ્રભુ-ભક્તિમાં રૂકાવટ કરનાર અહંકાર છે.
‘હું બીજાથી કંઈક વિશેષ છું. મારી અંદર બુદ્ધિ કૌશલ્ય છે કે પ્રવચન કૌશલ્ય છે.'' એવી અનેકાનેક ભ્રમણાઓમાં આપણે જીવીએ છીએ. સ્વનું તટસ્થ નિરીક્ષણ કરવામાં ન આવે ત્યાં સુધી આ સમજાશે નહિ. બીજાના દોષ દેખાશે, પણ પોતાના દોષ નહિ દેખાય.
આવી ભ્રમણાઓનો ભાંગીને ભૂક્કો ન થાય ત્યાં સુધી ભગવાન મળે એ વાતમાં કોઈ માલ નથી.
અહંકારનું વિલીનીકરણ જ સમર્પણની અનિવાર્ય પૂર્વ શરત છે. એ વિના ગમે તેટલા તમે બરાડા પાડો, તમારી ભક્તિ મંજુર નહિ બને. એ માત્ર અહંકારની કસરત બની રહેશે.
* પ્રભુ દૂધના પ્યાલા છે.
આપણે પાણીના પ્યાલા છીએ.
પાણીએ દૂધનો રંગ પામવો હોય તો તેનો સંગ કરવો પડે. જે ક્ષણે પાણી દૂધમાં મળે છે, એ જ ક્ષણે એ પાણી મટીને દૂધ બની જાય છે.
‘મારે કોઇનામાં નથી ભળવું. મારે તો અલગ જ રહેવું છે.' એમ માનીને પાણીનો ગ્લાસ જો દૂધના ગ્લાસમાં ભળવા તૈયાર જ ન થાય તો ?
આપણે આવા જ નથી ? ભગવાનને મળીએ છીએ ખરા,
૩૨૦ × કહ્યું, કલાપૂર્ણસૂરિએ