Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કષાયો નથી કરવા છતાં થઈ જાય છે.
કષાયો સામે લડવાની શક્તિ નથી. લડીએ છીએ ત્યારે કષાયો જીતી જાય છે. અમે હારી જઈએ છીએ. શું કરવું ? એમ તમે કહેતા હો તો હું કહીશ : પોતાની તાકાતથી કષાયો નહિ જીતાય. એ માટે ભગવાનનું શરણું સ્વીકારવું પડશે.
પ્રભુનું શરણું સ્વીકારીને લડનારો આજ સુદી કદી હાર્યો નથી. આપણે આપણી તાકાતથી લડવા જઈએ છીએ. ફલત : હારી જઈએ છીએ ને નિરાશ બની જઈએ છીએ. આપણી શક્તિ કેટલી ?
અનંત શક્તિનું શરણું સ્વીકારીએ તો કદી પરાજયનું મોટું જોવું ન પડે.
જો કે, પ્રભુનું શરણું સ્વીકારવાની ઈચ્છા થવા માટે પણ ચિત્તની નિર્મળતા જોઈએ. કર્મોનો જત્થો અમુક પ્રમાણમાં હળવો ન બને
ત્યાં સુધી પ્રભુ કદી યાદ આવતા નથી. એમનું શરણું સ્વીકારવાનું મન થતું નથી.
પ્રભુ યાદ આવે, પ્રભુનું શરણું લેવાનું મન થાય તો સમજ જો : ચિત્ત ચોક્ખું થયું છે. કર્મોના ગાઢ વાદળાઓમાં કાણું પડ્યું છે.
નિર્મળ ચિત્તમાં જ વિનય, વિદ્યા, વિવેક, વૈરાગ્ય, વિરતિ, વીતરાગતા અને વિમુક્તિ ક્રમશઃ મળે છે.
* તમારે ઘેર કોઈ મહેમાન આવે તો શું કરો ? આ પાલીતાણા છે. અહીં અન્ય સમુદાયના કે અન્ય ગચ્છના સાધુ-સાધ્વીજીઓ પણ આવે. એમને આવકારશે. આગળ બેસાડો. તમે તો રોજ સાંભળો જ છો. ક્યારેક બીજાને ચાન્સ આપજો. પાછળ બેસવાથી નહિ સંભળાય તો પણ તમે બીજાને સાંભળવાનો અવસર આપ્યો તેથી તમને લાભ જ છે. સાંભળી-સાંભળીને પણ આખરે કરવાનું શું છે ? આ જ તો કરવાનું છે.
* રત્ન અને રત્નની કાંતિ કદી અલગ ન હોઈ શકે. રત્ન ભલે ખાણમાં પડેલો હોય, એની ચમક જરાય ન દેખાતી હોય, કાચથી પણ ઓછી ચમક હોય, છતાં ઝવેરીની આંખ તો એમાં પણ ચમક જુએ જ છે.
૩૬૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ