Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
છે કોણ ? માત્ર આપણા ભાવો ? પણ આ શુભ ભાવો પણ ભગવાન જ આપે છે એ ક્યારેય સમજાયું ?
તમે ભગવાનની મુખ્યતા સ્વીકારો, તો જ ભગવાનમાં તમને સર્વસ્વ દેખાય ને તો જ તમે સાચા અર્થમાં સમર્પણ ભાવ પેદા કરી શકો.
નામ-સ્થાપના આદિ દ્વારા ભૂમિકા તૈયાર કરવાની છે. ભૂમિકા તૈયાર થયા પછી ભાવ ભગવાન મળશે. એમ જ માનો કે આપણને અહીં પરીક્ષા માટે મોકલવામાં આવ્યા છે : અહીં નામ-સ્થાપના આદિની કેવી આરાધના કરીએ છીએ? એ આરાધનાના પ્રભાવે જ આપણને ભાવ ભગવાનની પ્રાપ્તિ થશે.
નામ, મૂર્તિ વગેરે ભગવાનની બ્રાન્ચો છે, શાખાઓ છે. ભાવ ભગવાન મુખ્ય ઑફિસ છે. મુખ્ય ઑફિસમાં દાખલ થવું હોય તો બ્રાન્ચમાં અરજી કરવી પડે છે, એ ખ્યાલ છે ને ?
* નારક વેદનામાં સબડે છે. દેવો સુખમાં મસ્ત છે. તિર્યંચો પીડામાં કણસે છે. હવે માણસો જ એક માત્ર એવા છે, જે ધર્મ આરાધી શકે. આ જીવન આપણને મળ્યું છે એમાં પણ કેટલા વર્ષો ગયા ? હવે કેટલા રહ્યા ? મારું પોતાનું કહું તો ૭૬ વર્ષ ગયા. હવે કેટલા રહ્યા ? કાળરાજા ગમે ત્યારે ત્રાટકી શકે છે. માટે જ રોજ સંથારાપોરસી ભણાવવાની છે. સંથારા પોરસી એટલે મૃત્યુને સત્કારવાની તૈયારી. સાધુ ગમે ત્યારે મૃત્યુ માટે તૈયાર હોય. કાલ નહિ, આજે. આજે નહિ, અત્યારે પણ મૃત્યુ આવી જાય તો પણ સાધુ ડરે નહિ. ડરે તે સાધુ નહિ.
* ““હે આત્મન્ ! તારું સ્વરૂપ અવર્ણ, અગંધ, અરસ, અરૂપ, અસ્પર્શ છે.” આત્માનું આવું નેગેટીવ વર્ણન કેમ કર્યું ? કારણ કે અનાદિ કાળથી આપણને વર્ણાદિ સાથે એકતા લાગી છે. એમાં જ હુંપણું દેખાયું છે. આથી જ એ તું નથી, એમ કહ્યું. મકાનમાં તમે રહો છો, પણ તમે મકાન નથી. કપડામાં તમે રહ્યા છો, પણ તમે કપડા નથી. શરીરમાં તમે રહ્યા છો, પણ તમે શરીર નથી. આવી અનુભૂતિ પ્રતિપળ થવી જોઈએ. તો જ મૃત્યુથી ડર નહિ લાગે, મૃત્યુને જીતી શકાશે.
૨૮૦ કહ્યું કલાપૂર્ણસૂરિએ