Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આપણું સંસાર-પરિભ્રમણ આશાતનાથી થયું છે.
પાણી વગેરેની વિરાધના કરનારા અતિમુક્તક છૂટી શક્યા છે, પણ ભગવાનની અને ગુરુની આશાતના કરનારા ગોશાળા અને કૂલવાલક વગેરેનું છૂટવું મુશ્કેલ છે.
“તીરથની આશાતના નવિ કરીએ....” પૂજાની આ ઢાળમાં આશાતનાના ફળો વાંચ્યા છે ને ?
તીર્થ બે પ્રકારના છે. : સ્થાવર અને જંગમ. બન્નેની આશાતનાથી બચવાનું છે. આરાધના કરતા રહીએ, પણ આશાતનાય કરતા રહીએ તો આપણું ઠેકાણું ક્યારે પડવાનું ?
બીજા માને કે ન માને, બીજા આપણા હાથમાં નથી. જાત આપણા હાથમાં છે. એને સુધારી શકાય.
બીજાને મનાવવા આપણું પુણ્ય જોઈએ, તેનું પણ સુધરવાનું પુણ્ય જોઈએ. એ બધું આપણા હાથમાં નથી.
પૂ. રત્નાકરવિજયજી અમારા દીક્ષા-દાતા હતા. ફલોદીમાં ઓઘો અને વાસક્ષેપ એમને આપેલા. પૂ. રત્નાકરવિજયજી એવા ખપી હતા, એવા આરાધક હતા કે કદાચ એમની જોડ બીજે જોવા ન
મળે.
પૂ. રત્નાકરવિજયજીની એક વાત કહું ?
ક્યારેક એ કાઉસ્સગ્ન કરતા, ક્યારેક ભગવાનના ફોટા સમક્ષ ત્રાટક કરતા. એમ કરતાં ક્યારેક ઊંઘ આવી જાય તો જાતે જ પોતાને લાફો લગાવી દેતા : તને ઊંઘ આવે છે ? લે લેતો જા.
આવું તમે જાતે કરી શકશો ? બીજો તો કોણ તમને લાફો મારી શકે ? એ કામ તમે જ કરી શકો. તમે નહિ કરો તો બીજો કોઈ નહિ કરી શકે.
આ જીવનમાં આપણને સાધુપણું તો મળી ગયું છે, પણ બોધિ મળી છે ? દેહાધ્યાસ ટળ્યો છે ? આ બધા પ્રશ્નો જાતને પૂછી લેજો. પોતાની જાતને તમે પોતે જ સુધારી શકશો, બીજા કોઈની તાકાત નથી.
૧૯૮ કહ્યું, કલાપૂર્ણસૂરિએ