________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૮૩ આસ્રવથી સંવર-નિર્જરા નથી. વળી કોઈ સંવર-નિર્જરાને પણ સ્વતંત્ર સિદ્ધ કરી દ્રવ્યના આશ્રયે તે પ્રગટે એમ સાપેક્ષ નિર્ણય કરે, પણ નિમિત્ત આવે તો પર્યાય પ્રગટે એમ માને, તો શું નિમિત્ત અવ્યવસ્થિત છે? અથવા પર્યાય અનિશ્ચિત છે? અમુક નિમિત્ત આવે તો અમુક પર્યાય પ્રગટે તો અનિશ્ચિતતા થઈ જાય. એમ થતાં બધી પર્યાયો અનિશ્ચિત થઈ જાય. મોક્ષ પૂર્ણ શુદ્ધ પર્યાય છે. પ્રથમ “છે” એમ નક્કી કરો. તે કોની છે. તે પછી નક્કી થાય છે સ્વતંત્ર અસ્તિ સિદ્ધ કર્યા વિના સાપેક્ષતા લાગુ પડતી નથી. મોક્ષ છે એમ નક્કી કર્યા પછી તે જીવની પૂર્ણ શુદ્ધ પર્યાય છે એમ સાપેક્ષતા લાગુ પડે છે. સંવર-નિર્જરા છે એમ નિરપેક્ષ નક્કી કર્યા પછી તે જીવની અધૂરી નિર્મળ પર્યાય છે એમ સાપેક્ષતા લાગુ પડે.
શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે વ્યય વ્યયથી છે, ઉત્પાદ ઉત્પાદથી છે, ધ્રુવ ધ્રુવથી છે-એમ ત્રણે અંશો નિરપેક્ષ છે. વ્યય ઉત્પાદથી નથી, ઉત્પાદ વ્યયથી નથી અને ધ્રૌવ્ય ઉત્પાદ-વ્યયથી નથી. ત્રણે અંશોસ છે. ત્રણે એકી સમયે છે. વ્યયમાં ઉત્પાદ-ધ્રુવનો અભાવ, ઉત્પાદમાં વ્યય-ધ્રુવનો અભાવ, ને ધ્રુવમાં ઉત્પાદ-વ્યયનો અભાવ છે. આમ ત્રણે અંશો સત્ સાબિત કરેલ છે. વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિનું પ્રકાશવું તે અનેકાંત છે. ઉત્પાદ ઉત્પાદથી છે, પણ વ્યયથી નથી, આસ્રવ આસ્રવથી છે પણ અજીવથી નથી. આસ્રવ વિશેષ છે, તે વિશેષથી છે ને જીવસામાન્યથી નથી. સંવર સંવરથી છે, સંવર જીવથી નથી. સંવરથી નિર્જરા નથી. મોક્ષ મોક્ષથી છે ને નિર્જરાથી નથી-એમ નવ તત્ત્વ પૃથક પૃથક સિદ્ધ થયા પછી સાપેક્ષતા લાગુ પડે છે.
સામાન્યથી વિશેષ માનો તો બન્નેની હાનિ થઈ જાય. સામાન્ય પણ છે ને વિશેષ પણ છે; છે એમાં કોની અપેક્ષા? બન્ને નિરપેક્ષ છે. એમાં કોઈની અપેક્ષા નથી. વળી ઉત્પાદ, વ્યય, ધ્રુવ-ત્રણ અંશો કોઈની અપેક્ષા રાખે તો ત્રણ રહેતા નથી. નવ પદાર્થમાં કોઈની અપેક્ષા રાખે તો નવ રહેતા નથી. છ દ્રવ્યમાં કોઈની અપેક્ષા રાખે તો છ રહેતા નથી. ઉત્પાદથી વ્યય માનો તો વ્યય સિદ્ધ થતો નથી. વ્યય ન હોય તો ઉત્પાદન થાય તેવું સાપેક્ષતાવાળું કથન પછી આવે છે. વિકારી પર્યાય હો કે અવિકારી પર્યાય હો દરેક પર્યાય નિરપેક્ષ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com