________________
ભગવંતોએ ફરમાવ્યું છે કે, “સર્વ જીવો માટે સંસાર દુઃખનો હેતુ છે, એ રીતે સંસારની દુઃખમય સ્થિતિનો વિચાર કરતો શ્રાવક “સર્વ જીવો મોક્ષ પ્રાપ્ત કરો” એવી ભાવના ભાવે.”
સંસારની ભીષણ યાતનાઓમાં રીબાતા પ્રાણીઓની અત્યંત દુ:ખદાયક સ્થિતિ જોઈ એનું હૈયું આ અસાર સંસાર ઉપરથી ઉઠી જાય એ નિર્વેદ છે અને આ નિર્વેદમાંથી સર્વને માટે મોક્ષનું સુખ પ્રાપ્ત થાઓ એવી ભાવના એ સંવેગ છે.
જ્યાં સર્વથી નિરપેક્ષપણે માત્ર પોતાના જ સુખનો વિચાર છે, ત્યાં નિર્વેદ નથી અને સંવેગ પણ નથી.
જ્યાં બીજાનું ગમે તે થાઓ પણ પોતાને સુખ મળોની ભાવના છે, પોતાની અનુકૂળતાઓની ઇચ્છા છે, ત્યાં અંતરાત્મભાવ નથી, માત્ર બહિરાત્મભાવ છે.
અને બહિરાત્મભાવના પાયા ઉપર મોક્ષમાં તો સંસાર જેવા અનંતા સુખો અને વિશેષ અનુકૂળતાઓ ભર્યા હશે, એવી લાલચે કેવળ પોતાને જ મોક્ષનું સુખ મળે તથા સંસાર પ્રત્યે મોહગર્ભિત વૈરાગ્યથી કેવળ પોતાનું ભવદુઃખ ટળે, એ માટે ફાંફાં મારવાં એ આર્તધ્યાન છે.
આપણે વિચારવું પડશે કે ભવદુઃખ ટાળવાની અને મોક્ષ સુખ પામવાની આપણી ભાવના પાછળ સર્વ નિરપેક્ષ પોતાનો સ્વાર્થ તો નથી ભર્યો ને?
આપણી ભાવનાઓનું સૂક્ષ્મ અન્વેષણ (Screening) કરવું પડશે. નહિ તો પોતાના હલકા સ્વાર્થરૂપી ટી.બી. અને કેન્સરના જંતુઓ ધર્મપ્રવૃત્તિના ઉજ્જવળ પ્રાણને હરી લેશે.
માત્ર સ્વાર્થના પાયા ઉપર કેવળ પોતાનું જ દુઃખ દૂર કરવાની ઇચ્છામાંથી થતી તપ, જપ કે સંયમની પ્રવૃત્તિ મોક્ષહેતુક ધર્મપ્રવૃત્તિ શી રીતે બની શકે ?
જેના કેન્દ્રમાં માત્ર અજ્ઞાન અને સ્વાર્થ ભર્યા છે, એવી કોઈ પણ પ્રવૃત્તિ બહિરાત્મભાવની પ્રવૃત્તિ છે.આવી પ્રવૃત્તિ મોક્ષસાધક શી રીતે બને ?
પરમ ઉપકારી શ્રીજિનેશ્વર ભગવંતોએ દર્શાવેલા માર્ગે જવાની જેમની સતત ખેવના છે, એવા આરાધકે પોતાની વૃત્તિ તથા પ્રવૃત્તિનું કેન્દ્ર ધર્મધ્યાનને બદલે આર્તધ્યાન ન બને એ સંભાળવું જોઈએ અને સર્વનિરપેક્ષ પોતાના જ સ્વાર્થનો ભાવ આરાધનામાં ન આવે તે માટે જાગ્રત રહેવું જોઈએ.
સ્વાર્થભાવને સ્થાને પરાર્થભાવ વડે, કૃતનતાને સ્થાને કૃતજ્ઞતા વડે તથા અહંકારભાવને સ્થાને નમસ્કારભાવ વડે જ્યારે હૈયું છલકાઈ રહે છે ત્યારે બહિરાત્મભાવ ઓગળે છે, ભય, દ્વેષ અને ખેદ દૂર થાય છે, ત્યારે આપણે ધર્મની સન્મુખ થઈએ છીએ, ધર્મમહાસત્તાની સન્મુખ બનીએ છીએ.
૯૬ - ધર્મ-ચિંતન