________________
અહંભાવ અને સર્વભાવ - અનાદિ ભવભ્રમણમાં અહંભાવ સેવ્યો છે. અહંભાવ એ મોહ છે અને સર્વભાવ * એ મોહનો ક્ષય છે.
અહંભાવ એટલે સર્વની ઉપેક્ષા કરીને કેવળ પોતાનો જ વિચાર કરવો, માત્ર પોતાનું જ અસ્તિત્વ અનુભવવું. બીજા જીવો પોતાની તુલ્ય છે છતાં માત્ર પોતાના જ સુખ-દુઃખનો વિચાર કરવો અને બીજાનો નહિ, આ ધર્મમહાસત્તાથી વિમુખતા છે.
સર્વભાવ એટલે સર્વ જીવો પ્રત્યે આત્મવતભાવ. સર્વ જીવો પોતાની તુલ્ય છે એવા આત્મસમદર્શિત્વપૂર્વક સર્વનું અસ્તિત્વ અનુભવવું. સર્વ સાપેક્ષ સ્વના વિચાર સાથે સર્વભાવનો સંબંધ છે. આ ધર્મમહાસત્તાની સન્મુખતા છે.
નમસ્કારભાવ આવ્યા પછી ન્યાયમાર્ગનું પાલન શક્ય બને છે અને ન્યાયમાર્ગ આવ્યા પછી કર્મસત્તા સહાયક બને છે અને શ્રી તીર્થકર ભગવંતોની આજ્ઞાનું પાલન કરવા માટેના સત્ત્વ અને સામગ્રી પ્રાપ્ત થાય છે.
આજ્ઞાપાલન માટેના સત્ત્વ અને સામગ્રી પ્રાપ્ત કરવા માટેનું સર્વથી પ્રથમ પગલું ધર્મમહાસત્તા પ્રત્યેની સન્મુખતાનું છે.
માત્ર પોતાના જ દુ:ખનો દ્વેષ દૂર કરી સર્વના સુખની ચિંતા અને સર્વના દુઃખનો દ્વેષ એ ધર્મમહાસત્તા પ્રત્યેની સન્મુખતા છે.
આપણે બીજાને સુખ આપીએ છીએ તેના કરતાં જેઓ આપણને સુખ આપે છે તેમનું પ્રમાણ વિશેષ છે. ધર્મમહાસત્તાની સમજણ પછી આ સત્યનું દર્શન સ્પષ્ટ થાય ' છે. એ સિવાય કૃતજ્ઞતા અને પરોપકાર, દયા અને ક્ષમા વગેરે ગુણો ખીલતા નથી.
કૃતજ્ઞતાથી બહિરાત્મભાવ ટળે છે.
પરોપકારથી અંતરાત્મભાવ પ્રગટે છે. વિશ્વપ્રેમનું અમૃત
કૃતજ્ઞતાથી પ્રભુ પ્રત્યે અને પરોપકારથી વિશ્વ પ્રત્યે પ્રેમ જાગે છે. વિશ્વપ્રેમ પ્રભુપ્રેમનું પ્રતીક છે અને પ્રભુપ્રેમ વિશ્વપ્રેમનું પ્રતીક છે. ધર્મમહાસત્તા પ્રત્યેની સન્મુખતાથી વિશ્વપ્રેમ પ્રગટે છે.
ધર્મમહાસત્તાના સમ્રાટ શ્રીતીર્થકર ભગવંતો જગતના સર્વ જીવોના હિતચિંતક હોવાથી પરમવિશ્વપ્રેમી છે.
ધર્મ-ચિંતન ૧૦૧