________________
આપણા ભાવપ્રાણોમાં આત્મભાવ છલકાવનારી ધર્મક્રિયાને આપણે મુક્તિપુરીમાં લઈ જનારી નિસરણીના પગથિયા કરતાં પણ જો ઓછા મૂલ્યવાળી સમજીએ તો તેનાં પગથિયાં ચઢવાની શક્તિ આપણે ભાગ્યે જ ખીલવી શકીએ. તેના પહેલા પગથિયે જ આપણે લાંબા કાળ સુધી ફર્યા કરીએ.
અહંભાવ દુર્ભાવ અને બહિર્ભાવના આપણા ઉપરના યુગયુગપ્રાચીન ચલણને સર્વથા નિષ્ક્રિય બનાવનારી ધર્મક્રિયા, આત્માના સર્વાત્મભાવ અને ૫૨માત્મભાવને પ્રગટ કરનારી અમૃતક્રિયા છે, તેની સાથે સ્થૂલ ક્રિયા સરખો વ્યવહાર કરવો તે ઉપકારી આત્માને ‘નવગજના નમસ્કાર' કરવા સરખું ગણાય.
અંતરના તારને સકળ લોકના હિતની ભાવના સાથે જોડનારી, શ્રીજિનાજ્ઞા મુજબની ધર્મક્રિયા આપણા આત્માના ભાવને અલ્પકાળમાં અધિક સક્રિય બનાવે છે. સહુ તે ભાવના આરાધક બનો.
પંચમંગળનું આરાધન
કફ દોષ કાયાની ક્રિયાની સાથે સંબંધ રાખે છે. પિત્ત-દોષ વચન ક્રિયાની સાથે અને વાતદોષ માનસિક ક્રિયાની સાથે સંબંધ ધરાવે છે. રાગ, દ્વેષ અને મોહ એ ત્રણ દોષો પણ મુખ્યત્વે મન, વચન અને કાયાની ક્રિયાની સાથે અનુક્રમે સંબંધ ધરાવે છે. રાગની અભિવ્યક્તિ મનમાં, દ્વેષની વચનમાં અને મોહની અભિવ્યક્તિ કાયા દ્વારા થાય છે.
મનમાં જ્ઞાન થવાથી, વચનમાં ભક્તિ જાગવાથી અને કાયામાં પ્રશસ્ત ક્રિયા થવાથી અનુક્રમે રાગ, દ્વેષ અને મોહ જાય છે. વાત, પિત્ત અને કફ શમે છે. પંચમંગલમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. મનની, વચનની અને કાયાની પ્રશસ્ત ક્રિયા છે. ત્રણે યોગોનો શુભ વ્યાપાર છે. તેથી પંચમંગળમાં આત્માને દૂષિત કરનાર રાગ, દ્વેષ અને મોહને તથા દેહને દૂષિત કરનાર વાત, પિત્ત અને કફને શમાવવાની તાકાત છે. રાગ એ જ્ઞાનની વિકૃતિ છે. દ્વેષ એ દર્શનની વિકૃતિ અને મોક્ષ એ ચારિત્ર ગુણની વિકૃતિ છે. ત્રણેનો પ્રકોપ ત્રિદોષરૂપ છે. તેને શમાવવાની શક્તિ પંચમંગળની આરાધનામાં છે.
૨૨૨ ૭ ધર્મ-ચિંતન