________________
જીવનો, જીવ પ્રત્યેનો ભાવ ઢંકાયેલો રહે છે ત્યાં સુધી તેને ચારગતિમાં રઝળવું પડે જ છે.
તે ભાવને પ્રગટ કરવામાં પરહિતચિંતારૂપ મૈત્રીભાવના જે સહાય કરે છે તે અપેક્ષાએ જરૂર એમ કહી શકાય કે, પરહિતચિંતા વગરનું સ્વહિતચિંતન ભવવૃદ્ધિના કારણરૂપ બને.
સ્વહિતના નામે, આત્મભાવના કટ્ટરમાં કટ્ટર શત્રુ એવા સહકમળને આપણે આજ સુધી જે ભાવ આપ્યો છે તેમ જ શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞાની ઉપેક્ષા કરીને જગતના બધા જીવો સાથેના ભાવસંબંધને અવગણ્યો છે, તે સદંતર અવળી પ્રક્રિયાની પકડમાંથી છૂટવા માટે પરહિતપરાયણતાથી વધુ ચઢિયાતો બીજો કોઈ ઉપાય નથી. - અવળા માર્ગ ઉપર ચાલી-ચાલીને થાકી ગયેલો માણસ, જયારે સવળા માર્ગ ઉપર ચઢે છે ત્યારે શારીરિક શ્રમને ગણકાર્યા સિવાય તેનું મન અધિક પ્રસન્નતા દર્શાવે છે, તેનું અંતઃકરણ સ્વાભાવિક રીતે વધુ નિર્મળ બને છે. - સંપૂર્ણ કર્મમુક્તિ સિવાય સ્વાભાવિક સર્વજીવહિતવત્સલતા ન સંભવી શકે. એ જ એક એવી દશા છે, કે જયાં પહોંચ્યા પછી કશા પણ બાહ્ય યત્ન સિવાય, જીવના સર્વોચ્ચહિતનો ભાવ સ્વાભાવિકપણે પ્રગટ થતો રહે છે.
મને મોક્ષ વહાલો છે. એમ બોલનારા મહાપુણ્યશાળી આત્માને શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞા જેટલું જ જગતના જીવ માત્ર પ્રત્યે વહાલ હોય. તેમાં જેટલી ઉણપ હોય તેનું તેને અપાર દુઃખ હોય. “સ્વ”ની “સર્વ પ્રત્યેના ભાવની તે અપૂર્ણતાને ટાળવા માટે તે દિન-રાત જગતના બધા જીવોના હિતમાં નિમિત્તભૂત બનવા માટે ભાવના ભાવે. પ્રયત્ન કરે પરના હિતમાં નિમિત્તભૂત બનવાની એક એક પળને તે દેવદુર્લભ માનવના ભવનો ધન્ય અવસર સમજે. એવા અવસરને દીપાવનારા આત્માઓની તે ત્રિવિધ ખૂબ-ખૂબ અનુમોદના કરે.
પરાર્થપરાયણતા સિવાય જીવ પ્રત્યેનો જીવનો ભાવ, હૃદયપૂર્વકનો કદીએ ન બને.
હૃદયથી આપણે જેટલા આપણા સ્વાર્થની નજીક રહીએ છીએ તેટલા જ આપણે શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞાથી દૂર જઈએ છીએ. શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞા આપણા હૃદયના હૃદયરૂપ ન બને ત્યાં સુધી તેના ઘણા પ્રદેશો ઉપર મહામોહની હકુમત ચાલુ રહે છે. તેની હકુમતમાં રહેવાથી જીવને, જીવ સિવાયના બધા દ્રવ્યો તરફ ભાવ રહે છે. તે અશુભ ભાવમાંથી નવા-નવા ભવો ઘડાય છે.
આપણું હૃદય શ્રી તીર્થંકર પરમાત્માની પરમમંગલમય ભાવનાનું “મહાભવન' બને એટલે ત્રણ જગતના બધા જીવોને વધુમાં વધુ આત્મિક લાભના કારણરૂપ સ્થાનનો આપણો અધિકાર સ્વાભાવિકપણે આપણને મળી જાય.
૨૪ • ધર્મ-ચિંતન