________________
મહાસામ્રાજ્ય
(માત્ર પોતાના સુખની લાલસા વડે પકડાયેલાં પરિણામને પવિત્ર બનાવવાની, પરહિતપરાયણ બનાવવાની, ધર્મરંગરસિયાં બનાવવાની પવિત્ર વિચારધારા આ લેખમાં અખ્ખલિતપણે વહી રહી છે. તેની સાથેનું ભાવપૂર્વકનું જોડાણ સ્વ-પરહિતકર નીવડશે એવી ખાત્રી છે. સં.) મહાસામ્રાજ્ય
ત્રણ ભુવનમાં જો કોઈનું સામ્રાજ્ય હોય તો તે ધર્મમહાસત્તાનું છે. આ ધર્મમહાસત્તાના સંચાલક કહો, સમ્રાટ કહો કે ધર્મચક્રવર્તી કહો તે પરમ ઉપકારી શ્રી તીર્થકર ભગવંતો છે.
તેમની આજ્ઞાના પાલન નીચે આ સામ્રાજ્યની પ્રજારૂપ સર્વ જીવો સાથે મૈત્રી સાધવી એ જીવનું કર્તવ્ય થઈ પડે છે અને કોઈ પણ જીવ પ્રત્યે ક્રોધાદિ કે દ્વેષાદિ દુર્ભાવો કરવા એ ગુન્હો થઈ પડે છે.
મૈત્યાદિ કે ક્ષમાદિ ભાવો જીવે પોતાના કર્તવ્યરૂપે કરવાના છે. આ કર્તવ્યનો ભંગ કરનારને પોતાના કર્તવ્યનું ભાન કરાવવાનું કાર્ય કર્મસત્તા કરે છે.
કર્મસત્તાનું કાર્ય જીવોને ધર્મમહાસત્તાની આજ્ઞાને આધીન કરાવવા માટે છે. જ્યાં સુધી આપણે ધર્મમહાસત્તાની સન્મુખ થતા નથી, શ્રી તીર્થંકર દેવોની આજ્ઞાને અનુસરતા નથી, ત્યાં સુધી કર્મસત્તાના પ્રભાવ નીચે કચરાવાનું છે.
એક દૃષ્ટિએ એમ પણ કહી શકાય કે વિશુદ્ધીકરણની પ્રક્રિયા (Process of Sublimation) માં કર્મસત્તા સહાયક છે.
મિથ્યાત્વ અને અજ્ઞાનથી આપણે ધર્મમહાસત્તા પ્રત્યે અનાદિથી વિમુખ રહ્યા છીએ. આપણું હિત વિશ્વના હિત સાથે સંકળાયેલું છે એ વિચાર કદીય સ્પર્ધો નથી. સર્વ નિરપેક્ષ માત્ર પોતાના જ સુખનો સદાય વિચાર કર્યો છે.
પોતે બીજાઓને દુઃખ આપ્યું છે અને આપે છે, તે કયારેય યાદ કર્યું નથી. બીજાઓ પોતાને દુઃખ આપે છે, તેવું સદાય યાદ રાખ્યું છે. પોતાને સુખ આપનારાઓનું સ્મરણ કર્યું નથી. ઉપકારીઓ પ્રત્યે નમસ્કારભાવ આવ્યો નથી. નમસ્કારભાવ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ન્યાયમાર્ગ આવે નહિ.
૧oo, ધર્મ-ચિંતન