________________
પૈસેટકે પૂરો સુખી ન હોય તે પણ ભાવ શ્રીમંત હોઈ શકે, પૈસેટકે સુખી હોય તે ભાઈ પણ ભાવથી દરિદ્ર હોઈ શકે.
આપણું પ્રધાન કર્તવ્ય જીવના હિતની દિશા કઈ છે અને તે દિશામાં તેની ગતિ શી રીતે થાય તે જોવા-વિચારવાનું રહે છે.
માત્ર ભાવ આપવાથી બીજાનું શું ભલું થવાનું ? ભાવ મુજબ શક્ય ક્રિયા વિના એકલો ભાવ કેવી રીતે ફળવાનો ? એકનું દ્રવ્ય તો બીજાને કામ આવે પણ એકલો ભાવ બીજાને શું ઉપયોગમાં આવવાનો ?
આવા-આવા તર્કો ભાવ આપવાની આડે અવશ્ય આવવાના, પરંતુ જેમને ભાવનો ખરો અર્થ હૃદયગત થાય છે, તેઓ સાચો તેને જ ભાવ કહે છે કે જેમાં શક્યનો અમલ અને પૂર્ણનો ભાવ હોય.
સર્વના હિતની ભાવનાપૂર્વકની શુભ પ્રવૃત્તિમાં જીવની જે ક્ષણો સાર્થક થાય છે, તેમાંથી જન્મતા પુણ્યના પ્રભાવે તે સિંધુપ્રમાણ સુખનો ભાગી બને છે અને અંતે શાશ્વત સુખનો અધિકારી બને છે.
વ્યાપકતમ સ્થિતિ
જ્ઞાન, ધ્યાન, ઉપાસના, કર્મ, યોગ એ બધાયને દેહ શરૂઆતમાં ઉપકારક થાય છે, પણ આગળ ઉપર આ બધી સાધનાનો પરિપાક વિશ્વવ્યાપી સાક્ષાત્કારમાં થાય છે. એટલે એ બધું યે આત્મમય દેખાવા માંડે છે.
આ અનુભૂતિ પછી દેહ પણ નિરૂપયોગી થવા માંડે છે.
બ્રહ્મ નિર્વાણ એટલે બ્રહ્મમાં મળી જવું, લીન થઈ જવું, બ્રહ્મ બીજે ક્યાંક છે અને તેમાં લીન થવાને ક્યાંય જવાનું છે એમ નથી.
મારી અને બ્રહ્મની વચ્ચે દેહાભિમાનનો પડદો આડો ઉભેલો બહારથી દેખાય છે. તે પડદાનું નાબૂદ થવું, તે જ બ્રહ્મમાં લીન થવાપણું છે.
બ્રહ્મ તો હું પહેલાનો છું, માત્ર દેહાભિધાનનો પડદો હટાવવાનો છે. તે હઠાવીને બ્રહ્મમાં લીન થવું, મળી જવું એ માનવજીવનનું સાફલ્ય છે.
સેવા, જ્ઞાન, ધ્યાન વગેરે સાધનો - બધું યે આ ઉદ્દેશથી કરવું એ ધર્મશાસ્ત્રોનું ફરમાન છે. ઉત્તરોત્તર વધારેને વધારે વ્યાપકતર થતા જવું એ સાધનાની દિશા છે. વ્યાપકતમ સ્થિતિ એ લક્ષ્ય છે.
ધર્મ-ચિંતન ૦ ૧૯૭