________________
૧૮૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
ગ્રન્થિ ભેદાયા પછીથી જ આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઇ શકે છે. આત્માના પોતાના રાગ અને દ્વેષના ગાઢ પરિણામ રૂપ ગ્રન્થિ ભેદાયા વિના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઇ શકતી નથી. રાગ અને દ્વેષના ગાઢ પરિણામો આત્માને પદાર્થના સાચા જ્ઞાનને પામવા દેતા નથી તથા જે કાંઇ સાચો ખ્યાલ આવ્યો હોય તેમાં સુનિશ્ચિત બનવામાં અંતરાય કરે છે. સમ્યગ્દર્શન ગુણ પ્રગટતાં, આત્માને હેયોપાદેયનો હેયોપાદેય તરીકેનો ખ્યાલ આવે છે અને એ ખ્યાલમાં તે સુનિશ્ચિત હોય છે. આથી જ, તત્ત્વના શ્રદ્વાનને જેમ સમ્યગ્દર્શન કહેવાય છે, કુદેવ-કુગુરૂ-કુધર્મના ત્યાગ પૂર્વકનો સુદેવ-સુગુરૂસુધર્મનો જે સ્વીકાર, એને પણ સમ્યગ્દર્શન કહેવાય છે. તત્ત્વના સ્વરૂપનો સાચો ખ્યાલ પામીને, તેમાં સુનિશ્ચિત બનવાની અત્માની જે લાયકાત, તે સમ્યગ્દર્શન ગુણની અપેક્ષા રાખે છે, આ સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિમાં પણ સાચા બહુમાનપૂર્વકની ધર્મક્રિયાઓ સુંદર ફાળો આપે છે. ધર્મક્રિયાઓમાં દેવ-ગુરૂ-ધર્મની જ ઉપાસના હોય છે. એ ઉપાસના, તેના ઉપાસકને દેવગુરૂ-ધર્મના સ્વરૂપનું જ્ઞાન મેળવવાને પ્રેરે છે. ધર્મક્રિયાઓને આચરનારની આંખ સામે મુખ્યત્વે દેવ, ગુરૂ અને ધર્મચારી આત્માઓ હોય છે. દેવની પૂજા કરતાં દેવના સ્વરૂપ વિષે, ગુરૂની સેવા કરતાં ગુરૂના સ્વરૂપ વિષે અને બીજી ધર્મક્રિયાઓ કરતાં ધર્મના સ્વરૂપ વિષે તેમજ એ બધામાં પોતાના સ્વરૂપ વિષે વિચારણા આદિ કરવાની પણ સુન્દર તક પ્રાપ્ત થાય છે. એ ક્રિયાઓ આત્માને પરભાવથી નિવૃત્ત થવામાં અને સ્વભાવમાં પ્રવૃત્ત થવામાં ખૂબ જ મદદગાર નિવડે છે : એટલે અધિગમ દ્વારા સમ્યગ્દર્શનને ઉપાર્જવાની કામનાવાળાઓએ પોતાના ચિત્તને ખાસ કરીને ધર્મક્રિયાઓમાં પરોવવું જોઇએ. અધિગમને માટેનો સારામાં સારો અવકાશ પણ ધર્મક્રિયાઓમાં લભ્ય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની ભક્તિ, ધર્મગુરૂઓની સેવા, ધર્મચારી આત્માઓનું દર્શન અને બીજી પણ ધર્મક્રિયાઓનું આચરણ-આત્માની રાગ અને દ્વેષના ગાઢ પરિણામો રૂપ ગ્રન્થિને ભેદવામાં અપૂર્વ કાંટેની સહાય કરી શકે છે. માત્ર આત્માનો હેતુ