________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Lacua
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર્વત દૂર હતો. સત્રિનો બીજો પ્રહર પૂરો થયો હતો.
મેં પર્વત તરફ ચાલવા માંડ્યું. મનમાં ગમગીની હતી. જીવન પ્રત્યે અતિ તિરસ્કાર હતો. પર્વતના શિખર પરથી પડતું મૂકીને, મરી જવાનો મારો પાકો નિર્ણય હતો. હું મારા જીવનમાં આ પહેલી જ વાર, આ રીતે રાત્રિના સમયે, એકલી અટૂલી જંગલમાં જઈ રહી હતી. રાત્રિનો સૂનકાર હતો. ઠંડો પવન શરૂ થયો હતો. દૂર પર્વત પર આછો અંધકાર છવાયેલો હતો. ઘડીમાં વહેળાના પટમાંથી અને ઘડીમાં ઝાડીઓની વચ્ચેથી હું અવિરત ચાલતી રહી.
ઠંડા વાયરાની પાછળ જ આકાશમાં વાદળો ઘેરાઈ આવ્યાં હતાં. આકાશમાંથી ઠંડી ફરફર વરસવી ચાલુ થઈ ગઈ હતી. હું ભીંજાવા માંડી. મારું શરીર ધ્રૂજવા લાગ્યું... ધીરે ધીરે વરસાદ વધવા લાગ્યો. બચવા માટે કોઈ જગ્યા મેં શોધવા માંડી, ત્યાં એક ઝળુંબતી ભેખડની નીચ ઊભા રહેવાની જગ્યા મળી. મેં વિચાર્યું: ‘વરસાદ બંધ રહે ત્યાં સુધી હું અહીં ઊભી રહીશ.' ભેખડના કારણે મને પવનના સુસવાટા નહોતાં લાગતાં. મારું મન યક્ષિણીના વિચારોમાં ચઢી ગયું. ‘મેં એનું શું બગાડ્યું હતું... કે એણે મને આવું કષ્ટ આપ્યું? મેં એનું કોઈ જ અહિત કર્યું નથી... પરંતુ મારાં જ પૂર્વજન્મોનાં પાપકર્મો ઉદયમાં આવ્યાં, એટલે યક્ષિણીને આવી બુદ્ધિ સૂઝી.’
વરસાદ ચાલુ હતો. મને ઠીક જગ્યા મળી ગઈ હતી. ઊભી ઊભી હું થાકી... મેં જમીન પર જોયું. જમીન પથરાળી હતી. એટલે હું નીચે બેસી ગઈ. મારા વિચારો આગળ ચાલ્યા: ‘આમાં, આ ઘટનામાં આર્યપુત્રનો કોઈ દોષ નથી, તેઓ તો એને જ રાણી સુસંગતા માની રહ્યા છે ને! એટલે મારા ઉપર તો એમનો પ્રેમ છે જ ... જ્યારે એમને ખબર પડશે કે આ સાચી રાણી નથી, યક્ષિણી છે... ત્યારે એ શું કરશે? યક્ષિણી તો અદશ્ય થઈને જતી રહેશે... અને હું એમને મળીશ નહીં... તેઓ અશાન્ત... વિહ્વળ અને સંતાપથી ઘેરાઈ જશે...' મારી આંખો ભરાઈ આવી... અને ક્યારે મારી આંખો ઘેરાણી... ને હું પડખે પડીને ઊંઘી ગઈ... ખબર જ ના પડી. જ્યારે હું જાગી ત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો, અને અરુણોદય પણ થઈ ગયો હતો. મેં પર્વત તરફ ચાલવા માંડવું.., જ્યારે હું પહાડી પાસે પહોંચી ત્યારે સૂરજનાં પ્રથમ કિરણો રેલાયાં હતાં.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૨૭