________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
જેની પાસે અનેક સમર્પિત જીવનસંગીનીઓ હતી એવા કેટલાય રાજા મહારાજા નિ:સંગ થઈ નિજાનંદની સાધના ખાતર અવધૂત બની ગયા – યોગી બની ગયા. તમામ પરરુચિને એમણે પરાક્રમપૂર્વક પરિહરી ને પરમપ્રયોજનની સાધનામાં જ પરમલીન થઈ ગયા...જ્યારે આપણે ?
અપ્સરા ચલાવવા આવે તો ય પરમપ્રયોજનમાં નિમગ્ન રહી શકે એવી ક્ષમતાવાળા સમર્થ જીવો મુક્તિમાર્ગ પૂર્ણતઃ સાધી શકે છે. – બાકી બહુભાગ તો તુચ્છ પ્રલોભનો મળતાં જ પ્રયોજનને ભૂલી વિમાર્ગે ચાલ્યા જાય છે અને અનંતદુર્લભ તક હારી જાય છે.
અનંતકાળથી, અધૂરી રહેતી ઉપાસના પૂર્ણ કરવાનો જેનો પ્રકૃષ્ટ મનોરથ છે એ શુદ્ર તમામ પ્રલોભનથી પરમ સાવધ રહે છે. મોહ ચાહે તેટલું લલચાવે તો પણ, પરમ પ્રયોજનસિદ્ધિ અર્થેની પોતાની સાધનાથી એ કેમેય ચલિત થતાં નથી.
અહાહા.. કેટલું અપાર કાર્ય કરવાનું બાકી છે ? જીવ પાસે મનના ફંદ પોષવા સમય જ ક્યાં છે ? અને મનની માંગ તો કદી પુરી ન પુરાય એવી છે. ચાહે તેટલા ભોગપભોગો આપો પણ મને ક્યાં તૃપ્ત થવાનું છે ? થવાનું છે તૃપ્ત કદી ય ? કદી નહીં.
ભોગો આપવાથી..આખે જ જવાથી, મનની તૃપ્તિ ક્યારેય થતી નથી. તત્ત્વચિંતન અને વૈરાગ્યબોધ ખીલવવો જોઈએ. વૈરાગ્યભાવો ખીલવે એવો સત્સંગ ખૂબ ખૂબ સેવવો જોઈએ. અંતર્મુખ અને પ્રશાંતચિત્તવાન બનાવે તેવું જ માત્ર વાંચન કરવું જોઈએ.
હે જીવ! કોઈપણ મિષે તારે ભોગપભોગ પરત્વેથી વૃત્તિને સમેટી લેવી ઘટે છે. જો આધ્યાત્મિક સુખની કામના હોય તો વિષયસુખોની કલ્પના મૂકી દેવા જેવી છે. સુખ અંદરમાંથી જ આવે છે અને ભ્રમ ઊપજે કે સુખ વિષયોમાં છે. એ ભ્રાંતિ ટાળવી ઘટે છે.
પવિત્ર સુખનો અક્ષયઝરો પોતામાં જ હોવા છતાં...સુખનો સોત ભીતરતળમાંથી જ આવતો હોવા છતાં, એને અવગણીને મોહમૂઢ જીવ બહારમાંથી સુખ ખોજવા ફાંફાં મારે છે. - આ જ મોટું મિથ્યાત્વ છે...જો સંશોધન કરે તો માલૂમ પડી આવે કે સુખ ભીતરમાંથી આવે છે.