________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૫૦
એકવાર સહજાનંદી શુદ્ધસ્વરૂપની લિજ્જત-મસ્તી અનુભવાયા પછી, ઉત્કૃષ્ટ કક્ષાના શુભભાવો પ્રગટ તોય સાધક એ પ્રતિ ઉદાસીન રહી શકે છે. શુભ અને અશુભ બંનેથી પાર એવા શુદ્ધભાવમાં જ એની પ્રીતિ જામેલી રહે છે.
વિતરાગતા વધારવી એજ અધ્યાત્મપંથનો પરમોત્કૃષ્ટ ઉદ્દેશ છે. જેમ જેમ કરીને રાગની રુચ્ચી ઘટે. તેમ તેમ પ્રવર્તવું એ જ મોક્ષમાર્ગનો મહાન ઉદ્દેશ છે. આ ઉદ્દેશ જ વિસરાય જાય અને ઉલ્ટાની રાગની રુચી વધવા લાગે તો તે નિતાંત ઉન્માર્ગ જ છે,
સમ્યગ્દષ્ટિ આત્માને રાગ રુચતો ન હોય... અલબત, રાગ હજુ હોય; પણ રાગની રુચિ તો હોય જ નહીં. વીતરાગતાની રુચિ જ એના હૃદયમાં ભારોભાર પડી હોય. વીતરાગ-પણ રુચે ને રાગ પણ રુચે – સ્વાથ્ય પણ રુચે ને બીમારી પણ રુચે – એવુ કદી ન બને.
ચારગતિમાંથી કોઈપણ ગતિ સાધે તો એ અધ્યાત્મ નથી. જ્ઞાની કહે છે. “જે કિરિયા કરી ચઉગતી સાથે, તે ન અધ્યાત્મ કહીએ રે.” અહો અધ્યાત્મ કોને કહેવાય એની પણ ગમ સ્પષ્ટ ન હોય તો એ સાધક મહાન આત્મોત્થાન સાધી શકે જ ક્યાંથી?
હો... અધ્યાત્મ એટલે તો આત્મરમણતાનો માર્ગ... કોઈ અનાત્મભાવોનો એમાં આદર કેમ હોય શકે ? અનાત્મભાવોની રુચિપ્રીતિ ગળતી જાય અને આત્મભાવની રૂચિ ગાઢ-પ્રગાઢ થતી જાય એ જ પ્રક્રિયા ખરા અર્થમાં અધ્યાત્મ છે.
આત્મા જ્ઞાનાનંદ-સ્વભાવી વસ્તુ છે. જ્ઞાન એ જ આનંદ છે. જ્ઞાન અર્થાત માત્ર જાણવું: રાગ-દ્વેષ કરવા નહી. જે રાગ-દ્વેષ થાય છે એ જ્ઞાનાનંદી સ્વભાવથી ભિન્ન છે. અર્થાત્ તે આત્માનો મૂળ સ્વભાવ નથી. – તે આત્માનો ધર્મ નથી.
કેવળ જ્ઞાતાભાવે ટકી રહેવું... રાગ-દ્વેષમાં તણાય ન જવું... એ જ સાધનાનો સાર છે. એ અર્થે અત્યન્ત ઉત્કટ એવી આત્મજાગૃતિની આવશ્યકતા છે. સતત અવિરત અધ્યાત્મચિંતન ચાલુ ને ચાલુ જ રહે તો એવી આત્મજાગૃતિ ઘડી શકાય છે.