Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૮૧
બની જાય છે. તેનો વિવેકી શ્રાવકો નિષેધ ન કરતાં વિશેષ પ્રકારે વાપરવા ભલામણ કરે, તે યોગ્ય જ છે. જિનેશ્વરપ્રભુની પૂજા : એ એક એવી વસ્તુ છે કે તેને માટે સમસ્ત વિશ્વ ન્યોચ્છાવર થાય તો પણ ઓછું છે. એટલે કાગળનો ટુકડો સંસ્કારથી લાખ રૂપિયાનો ચેક બની જાય છે. તેમ સંસ્કારથી પથ્થર પ્રતિમા રૂપે બની જિનેશ્વર બની જાય છે. અને તેમને ચડેલી વસ્તુઓ પણ પરમ કલ્યાણનું કારણ બની જાય છે. આ તત્ત્વ આધ્યાત્મિક અને માનસ શાસ્ત્રની સૂક્ષ્મતા સમજનાર બરાબર સમજી શકશે. છતાં એવી ચીજોની ઉત્પત્તિ, નિકાસ વગેરેમાં હિંસા ન થાય, હિંસા ન થતી હોય, હિંસા થવા ન પામે તેવો વિવેક તો શ્રાવકોએ રાખવાનો છે જ. આપણા ઉત્તેજનથી હિંસા વધવા ન પામે, વગેરે તરફ પણ ખાસ વિવેક રાખવાનો હોય છે. દુનિયામાં શું બને છે ? તેનો શ્રાવક મહાન દ્રષ્ટા હોય છે, અને તેની વિવેકશકિત સર્વત્ર પહોંચી વળતી હોય છે, હોવી જોઈએ; એટલે વિવેકથી બધું સુસ્થિત ચાલવાનો ખાસ સંભવ છે.
કર્માદાનના ધંધાનો શ્રાવકે મુખ્ય વૃત્તિથી ત્યાગ કરવો જોઈએ. અને તેથી ઉત્પન્ન થતી ચીજોનો સંપૂર્ણ વિવેકપૂર્વકનો ખાસ જરૂરી ઉપયોગ કરવો જોઈએ એટલે એટલું દોષપાત્ર નથી, પરંતુ ખાસ સંજોગોમાં ગુણપાત્ર બને છે. પવિત્રતા, અહિંસા-પરોપકાર એ આપણો આદર્શ તેની જાળવણી એ મુખ્ય વસ્તુ છે.
હાલમાં ઘણા ધંધાઓ કર્માદાનના નવા પણ નીકળ્યા છે. તેઓનો તો સીધી રીતે કર્માદાન હોવાથી ત્યાગ કરવો જોઈએ એ સ્પષ્ટ છે. પણ બેંકો, શેરો, વીમાઓ, એજન્સીઓ વગેરેમાં આડકતરા પણ કર્માદાનો અને મહાહિંસા છે. અથવા, આર્ય પ્રજાના ખાસ ધંધાઓ તોડતા હોવાથી મહાકર્માદાન રૂપ પણ પરંપરાએ થઈ જાય છે. એ રીતે પણ તે ત્યાજ્ય જણાય છે : પરંતુ નછૂટકે આજીવિકાનો બીજો ઉપાય ન હોય, તો જ તે તરફ દષ્ટિ પણ કરવી પડે, તો તે ક્ષેતવ્ય છે. આ ન્યાયે તેથી દૂર રહેવામાં પરિણામે અલ્પ હિંસા છે.
જૂના તથા નવા ધંધાઓનાં કર્માદાનો, અનંતર-પરંપરાની હિંસા, કોને ? કેટલું વજન આપવું, કેટલું ન આપવું ? વગેરે વિચારણીય તત્ત્વો વિસ્તારભયથી અત્રે છોડી દઈએ છીએ.
૮. અનર્થ દંડ વિરમણ વ્રત નામનું ત્રીજું ગુણવ્રત અને તેના અતિચારનું પ્રતિક્રમણ
અનર્થ દંડ વિરમણ વ્રતનું સ્વરૂપ : અર્થથી વિપરીત અનર્થ = અનર્થથી થતો દંડ = બાહ્ય કે આત્યંતર , દ્રવ્ય કે ભાવ , સાક્ષાત કે પરંપરાઓ , સ્વને કે પરને , ઈહલૌકિક કે પારલૌકિક , થતું નુકસાન. વ્રત લઈ તે નુકસાનથી બચવું, તે અનર્થ દંડ વિરમણ નામનું વ્રત કહેવાય છે આ વ્રત પણ ગુણવ્રત કહેવાય છે અને તે ત્રીજું ગુણવ્રત છે. પાંચ અણુવ્રત છે. પાંચ અણુવ્રત પાળવાથી જે આધ્યાત્મિક લાભ થાય છે, તેમાં આ ત્રણેય વ્રતો પાળવાથી વિશેષ લાભ ઉમેરાય છે. અણુવ્રતોને ગુણ કરે છે, માટે ગુણવ્રત કહેવાય છે. અથવા માણસના જીવનમાં પણ ગુણ ઉમેરે છે. શ્રાવકના ગૃહસ્થ જીવનમાં ગુણરૂપ થઈ પડે છે, માટે પણ ગુણવ્રતો કહેવામાં હરકત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org