Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૦૦
પંચ પ્રતિમાણસૂત્રો
શિક્ષા-તાલીમ છે. અને તે સર્વે-સામાયિક ધર્મની-દેશ આરાધના છે. આ વ્રત મુખ્ય છતાં નવમું મૂકવાનું કારણ એ જણાય છે કે પ્રથમનાં વ્રતો સહજ રીતે આચારરૂપ બની શકે છે. પરંતુ બત્રીસ દોષ રહિત સામાયિકનો પ્રયોગ જરા કઠિન છે, માટે સંયમી જીવનની ભૂમિકા પછી તેમાં આ વ્રતાચરણરૂપ બીજ રોપવાની પૂર્વ-પુરુષોની-યોજના-યુકિત યુકત જણાય છે. અને સામાયિકમાં સ્થિર હોય, તે દેશાવકાશિક પૌષધ વગેરેમાં આગળ વધી શકે છે. અથવા શિક્ષાવ્રતોનો ક્રમ સર્વનો એકી સાથે રાખવાની દષ્ટિથી ત્યાં નવમા ક્રમાંકમાં મૂકવામાં આવેલું જણાય છે. અન્યથા ઉપકારી તીર્થંકર પરમાત્માના સત્કારરૂપ જેમ શ્રીજિન પૂજા દરેક જૈન બાળકે સામાન્ય રીતે-જૈન તરીકેની-વ્યવહાર સમ્યકત્વી તરીકેની- પણ નિશાની તરીકે-અવશ્ય કરવાની છે તે જ પ્રમાણે
તીર્થંકર પ્રભુના જીવનના અનુકરણરૂપ બે ઘડીનું જઘન્ય સામાયિક દરરોજના સામાન્ય કૃત્ય રૂપે અવશ્ય કરવાનું છે. આચાર રૂપે-ટેવ પાડવા રૂપે- પણ જૈન બાળકોએ સામાયિક કરવું જોઈએ અને કરે છે. તે ઉપરાંત, જે ધાર્મિક અનુષ્ઠાન કરે, તે તેની પુષ્ટિ રૂપે જેટલાં બની શકે તેટલાં કરવાં જ જોઈએ. પણ ઓછામાં ઓછું આટલું તો કરવું જ જોઈએ.
સામાન્ય રીતે ગૃહસ્થને સામાયિક છ કોટિનું થાય છે. એટલે મન, વચન, કાયાથી સાવદ્ય યોગ કરવો નહિ, તેમજ કરાવવો નહીં. પરંતુ સ્વયંભૂરમણ સમુદ્રના મત્સ્ય ભક્ષણની અનુમોદના વગેરે સ્થૂલ સાવઘયોગની અનુમોદનાના ત્યાગરૂપ પણ સામાયિકનો સંભવ હોવાથી આગમમાં ગૃહસ્થોને કવચિત્ નવોટિક સામાયિક પણ સંભવતું રહ્યું છે.
સામાયિકમાં છ આવશ્યકમયતા કેવી રીતે છે ? તે આગળ ઉપર બતાવેલ છે. તે સામાન્ય રીતે પૂર્વાચાર્યોએ નિયત કરેલી પરંપરા મુજબ બેઘડી-એક મુહૂર્ત સુધી કરવામાં આવે છે. ૧. સમભાવ, ૨. ચોવીસ તીર્થંકર પ્રભુની ભકિત-ગુણગાન, ૩. ગુરુની ભકિત-વંદન, વૈયાવૃત્ય-વિનય સેવા, ૪. યોગોનો મન-વચન-કાયાના સાવદ્ય યોગોનો ત્યાગ. ૫. છતાં ભૂલથી સેવાઈ ગયા હોય તો, તેની નિંદા, ગહ, પ્રતિક્રમણ, ૬. એ સર્વ આવશ્યકો માટેની એકાગ્રતારૂપ લીનતા, અડગતા, સ્થિર આસન વગેરે : એ સર્વ સામાયિકના વખતમાં તો અવશ્ય કરવાનાં કર્તવ્યો છે. એ બરાબર ન બની શકે, તો તે વખતમાં પઠન-પાઠન, ધર્મચર્ચા, ધર્મશ્રવણ વગેરે રૂપ સ્વાધ્યાય અને છેવટ નવકાર મંત્રનો જાપ વગેરેથી પણ સામાયિકની આરાધના કરી શકાય છે. એકંદર, જેમ બને તેમ સામાયિક લઈ બત્રીસ દોષોનો ત્યાગ કરવાથી પણ સામાયિકની સિદ્ધિ થઈ શકે છે, અને સામાયિક કરવાને લીધેલું વ્રત પાળી શકાય છે.
સામાયિક ઉપર આખા જૈન શાસ્ત્રનો આધાર છે. એટલે તેને માટે જેટલું લખીએ તેટલું ઓછું છે. અથવા ધર્મના જે કોઈ અંગ વિષે લખાય છે, તે સર્વ સામાયિક જ છે. જૈન શાસ્ત્રની જે વાત લખીએ, તે સર્વ સામાયિક વિષેની જ હોય છે. પરંતુ તે સર્વ, શાસ્ત્રોથી અને ગુરુ પાસેથી શીખવું. જૈન ધર્મનાં સર્વ અનુષ્ઠાનો જુદાં જુદાં પ્રકારના સામાયિક જ છે, તેથી સંખ્યાતીત પ્રકારના સામાયિકને યોગ્ય સંયમસ્થાનકો તે પણ સામાયિક છે. તે બધા પ્રકારનાં સામાયિકોનું જ્ઞાન અને અનુભવ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org