________________
ઝળહળતાં નક્ષત્રો
તપ-પરંપરાના સમર્થ સંયમધરો
શ્રમણ જીવન એટલે તપોમય જીવન, બારેય પ્રકારનાં તપની છોળો શ્રમણધર્મમાં સહેજે ઊડતી હોય છે. આમ તો સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ વગેરે ઊંચા દરજ્જાનાં તપ છે, પણ વિશેષ કરીને ઉપવાસ-આયંબિલ આદિ માટે તપ શબ્દ વિશેષ રૂઢ થયેલો છે. ચતુર્વિધ સંઘમાં તપધર્મનો જયડંકો ખૂબ વાગી રહ્યો છે અને એમાંય સંયમીવર્ગ તો કમાલ કરી રહ્યો છે. વર્ધમાનતપની ૨૦૦ ઓળીને પણ વટાવી ગયેલા તપસ્વીઓ જૈન સંઘનું આભૂષણ છે. શ્રમણ-શ્રમણીવૃંદમાં તપધર્મનો મહિમા વિશેષરૂપે જોવા મળે છે. વરસીતપ, સિદ્ધિતપ, શ્રેણિતપ, ભદ્રતપ, મહાભદ્રતપ, ધર્મચક્રતપ, સમવસરણતપ, સિંહાસનતપ, માસક્ષમણતપ આદિ. આ તપસ્વી સંયમધરો સાચા અર્થમાં તપ-પ્રભાવક બની જૈન શાસનનો પ્રભાવ વધારી રહ્યા છે.
વયોવૃદ્ધ–જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ, પરમ શ્રદ્ધેય પૂ. આચાર્યપ્રવર શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજ
વિક્રમની વીસમી અને એકવીસમી સદીમાં જ્ઞાન અને ચારિત્રનું આરાધન કરનાર જે મુનિવરો અને આચાર્યદેવો થઈ ગયા, તેમાં સૌથી વયોવૃદ્ધ પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી
મહારાજ હતા.
મહારાજ
પૂજ્ય બાપજી પાંચ વીશી કરતાં લાંબા આયુષ્યને ધારણ કરનાર અને ચાર વીશી કરતાં વધારે સમય સુધીના દીક્ષાપર્યાયને ધારણ કરનાર આવા વયોવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ પૂર્વપુરુષોની હરોળમાં બેસી શકે એવા મહાપુરુષ હતા અને પૂજ્યશ્રીની ઉગ્ર અને દીર્ઘ અવિચ્છિન્ન તપસ્યાનો વિચાર કરતાં તો કદાચ એમ લાગે કે ૧૦૫ વર્ષની અતિ વૃદ્ધ વયે પણ જીવનની અંતિમ ઘડી સુધી પોતાની તપસ્યાને સાચવી રાખનાર ખરેખર અદ્વિતીય આચાર્ય હશે!
પૂ. આચાર્ય મહારાજનો જન્મ વિ. સં. ૧૯૧૧ના શ્રાવણ સુદ ૧૫-રક્ષાબંધનના પુનીત પર્વને દિવસે મોસાળ વળાદમાં થયો હતો. એમનું પોતાનું વતન અમદાવાદ– ખેતરપાળની પોળમાં હતું. હાલ પણ એમનાં કુટુંબીજનો ત્યાં જ
Jain Education International
૮૦૭
રહે છે. આ પોળ અમદાવાદની મધ્યમાં માણેકચોકની પાસે આવેલ છે. એમ કહેવાય છે કે આ પોળની નજીકમાંથી ભદ્રનો કિલ્લો અને એનો ટાવર તે કાળે જોઈ શકાતા હતા! એમના પિતાનું નામ મનસુખલાલ અને માતાનું નામ ઊજમબહેન હતું. બંને ધર્મપરાયણ અને પોતાનાં સંતાનોમાં ધર્મનાં સંસ્કારો પડે એવી લાગણી રાખનારાં હતાં. તેમને છ પુત્રો અને એક પુત્રી હતાં, તેમાં આચાર્યમહારાજ સૌથી નાના હતા. એમનું સંસારી નામ ચૂનીલાલ હતું. ચૂનીલાલ વ્યાવહારિક શિક્ષણ લઈ પિતા તથા ભાઈઓને ધંધામાં મદદ કરવા લાગ્યા.
માતપિતાની આજ્ઞાને વિનીત ચૂનીલાલે શિરોધાર્ય કરી અને અમદાવાદમાં જ આકાશેઠના કૂવાની પોળમાં રહેતા ખરીદિયા કુટુંબનાં ચંદનબહેન સાથે એમનાં લગ્ન થયાં. ચંદનબહેન ચૂનીલાલ કરતાં ફક્ત છ મહિના જ મોટાં હતાં અને ખૂબ જ ધર્મપ્રેમી હતાં. લગ્ન તો કર્યું, પણ અંતરનો વૈરાગ્ય દૂર ન થયો. બે-ત્રણ વર્ષ ગૃહસ્થજીવન ભોગવ્યું ન ભોગવ્યું અને વળી પાછી વૈરાગ્યની ભાવના તીવ્ર બની અને તેવીસ વર્ષની ભરયુવાન વયે ચૂનીલાલે અફર નિશ્ચય કરી લીધો કે હવે સંયમ લીધે જ છૂટકો. ફરી પાછો ઘરમાં સંસાર અને વૈરાગ્ય વચ્ચેનો ગજગ્રાહ શરૂ થયો.
કુટુંબના સજ્જડ વિરોધમાં કોણ સાધુ દીક્ષા આપવા તૈયાર થાય? એટલે પોતાની મેળે સાધુવેશ પહેરીને ઝાંપડાની પોળના ઉપાશ્રયમાં રહ્યા અને છેવટે જંગમ યુગપ્રધાન સમા તે સમયના મહાપ્રભાવક પરમ શ્રદ્ધેય શ્રી મણિવિજયજી દાદાએ એમને લવારની પોળમાં સંઘની ઉપસ્થિતિ વચ્ચે ભાગવતી દીક્ષા આપી. વિ. સં. ૧૯૩૪ના જેઠ વદ બીજને.
For Private & Personal Use Only
www.jainelibrary.org