Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રસ્તાવના
૨૯ વિષયમાં યથાર્થ હોવા છતાં પણ પૂર્ણ પ્રમાણ તો ત્યારે જ બને છે જયારે તે બન્ને સમન્વિત બને.
આ સમન્વયને દૃષ્ટાન્ત દ્વારા નીચે મુજબ સ્પષ્ટ કરી શકાય. કોઈ એક વૃક્ષનો જીવનવ્યાપાર મૂળથી માંડી ફળ સુધી કાળક્રમથી થનારી બીજ, મૂળ, અંકુર, થડ, શાખા-પ્રતિશાખા, પત્ર, પુષ્પ અને ફળ આદિ વિવિધ અવસ્થાઓમાં થઈને પ્રવાહિત થઈ પૂર્ણ થાય છે. જ્યારે આપણે અમુક વસ્તુને વૃક્ષ રૂપે સમજીએ છીએ ત્યારે ઉપર્યુક્ત બધી અવસ્થાઓમાં પ્રવાહિત થનારો સમગ્ર જીવનવ્યાપાર જ અખંડરૂપે મનમાં આવે છે; પરંતુ જ્યારે આપણે તે જીવનવ્યાપારનાં પરસ્પર ભિન્ન એવા ક્રમભાવી મૂલ, અંકુર, થડ આદિ એક એક અંશને ગ્રહણ કરીએ છીએ ત્યારે તે પરિમિત કાલથી લક્ષિત અંશો જ આપણા મનમાં આવે છે. આ રીતે આપણું મન ક્યારેક તો પૂરા જીવનવ્યાપારને અખંડ રૂપમાં સ્પર્શ કરે છે અને ક્યારેક તેને ખંડિત રૂપમાં એક એક અંશ દ્વારા ગ્રહણ કરે છે. પરીક્ષણ કરીને જોતાં સાફ જણાય છે કે ન તો અખંડ જીવનવ્યાપાર જ એકમાત્ર પૂર્ણ વસ્તુ છે યા કાલ્પનિક માત્ર છે કે ન તો ખંડિત અંશ જ પૂર્ણ વસ્તુ છે યા કાલ્પનિક્સ માત્ર. ભલે ને અખંડમાં બધા ખંડો અને બધા ખંડોમાં તે એક માત્ર અખંડ સમાઈ જતો હોય તો પણ વસ્તુનું પૂર્ણ સ્વરૂપ તો અખંડ અને ખંડ બન્નેમાં જ પર્યવસિત થતું હોવાના કારણે બન્ને પાસાંથી ગૃહીત થાય છે. જેવી રીતે બન્ને પાસાં પોતપોતાની કક્ષાએ યથાર્થ હોવા છતાં પણ પૂર્ણ ત્યારે બને છે જયારે તે બન્નેને સમન્વિત કરવામાં આવે, તેવી રીતે જ અનાદિ-અનન્ત કાલપ્રવાહરૂપ વૃક્ષનું ગ્રહણ નિત્યત્વનું વ્યંજક છે અને તેના ઘટક અંશોનું ગ્રહણ અનિત્યત્વનું દ્યોતક છે, ન તો આધારભૂત નિત્ય પ્રવાહ સિવાય અનિત્ય ઘટક સંભવે છે કે ન તો અનિત્ય ઘટકો સિવાય તેવો નિત્ય પ્રવાહ, તેમનો સમન્વય જ પૂર્ણ સત્ય છે. એટલે એકમાત્ર નિત્યત્વને યા એકમાત્ર અનિત્યત્વને વાસ્તવિક કહીને બીજા વિરોધી અંશને અવાસ્તવિક કહેવો એ જ નિત્યવાદ-અનિત્યવાદની ટક્કરનું બીજ છે જેને અનેકાન્તવાદી દૂર કરે છે.
અનેકાન્તદષ્ટિઅનિર્વચનીયત્વવાદ અને નિર્વચનીયત્વવાદની પારસ્પરિક ટક્કરને પણ મિટાવી દે છે. તે કહે છે કે વસ્તુનું તે જ રૂપ પ્રતિપાદ્ય થઈ શકે છે જે સંકેતનો વિષય બની શકે. સૂક્ષ્મતમ બુદ્ધિ દ્વારા કરાતો સંકેત પણ સ્થૂળ અંશને જ વિષય કરી શકે છે. વસ્તુની એવી અપરિમિત અવસ્થાઓ છે જેમને સંકેત દ્વારા શબ્દો વડે પ્રતિપાદિત કરવી અસંભવ છે. આ અર્થમાં અખંડ સત્યાનિરંશ ક્ષણ અનિર્વચનીયજ છે, જ્યારે મધ્યવર્તી સ્થૂલ અવસ્થાઓ નિર્વચનીય પણ બની શકે છે. તેથી સમગ્ર વિશ્વ અંગે કે તેના કોઈ એક તત્ત્વ અંગે અનિર્વચનીયત્વ અને નિર્વચનીયત્વના જે વિરોધી પ્રવાદો છે તે વસ્તુત: પોતપોતાની કક્ષામાં યથાર્થ હોવા છતાં પણ પૂરેપૂરા પ્રમાણ તો નથી જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org