________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ શ્રી લક્ષ્મીપુંજ શેઠનો પ્રબંધ હસ્તિનાપુરમાં સુધર્મ નામનો અતિ નિર્ધન વણિક વસતો હતો. તેને ધન્યા નામની ભલી પત્ની હતી. તેઓ દુઃખમાં દિવસો વીતાવતા ને સારા દિવસોની આશા રાખતા. એકરાત્રિએ ધન્યાએ સ્વપ્રમાં પદ્મદ્રહમાં મોટાકમળ પર બિરાજમાન પ્રસન્નવદના લક્ષ્મીદેવીને જોયા. સવારના પહોરમાં ધન્યાએ સુધર્મને સ્વમ જણાવ્યું. તે ઘણો પ્રસન્ન થયો ને બોલ્યો – “ઘણું સારું સ્વમું મેં જોયું છે. હવે થોડા સમયમાં જ આપણું ભાગ્ય ઉઘડશે.” તે અવસરે કોઈ દેવ સ્વર્ગનું આયુષ્ય પૂર્ણ કરી ધન્યાના ગર્ભમાં ઉપન્યો. દેવભવના સાથી મિત્રદેવોએ તેના ઘરમાં સોનું આદિ લાવી મૂક્યું. પૂર્ણ સમયે તેનો જન્મ થયો. સુધર્મે સ્વજનોને આમંત્રી બાળકનું ગુણને અનુસાર લક્ષ્મીપુંજ નામ રાખ્યું. અજવાળીયા પખવાડીયાના ચાંદની જેમ બાળક વધવા લાગ્યો. યુવાન થતાં લક્ષ્મીપુંજ ધનાઢ્ય શેઠોની નમણી સોહામણી આઠ રમણીઓ પરણ્યો. ભોગોપભોગના સુખમાં લીન થયેલો તે સમય
ક્યાં જાય છે? તે પણ જાણી ન શકતો. મોંઘો સમય સાવ સસ્તા ભાવે જતો હતો. સમયની ગતિ ઘણી ઝડપી હોય છે. બધું જાણનાર માણસ આ વાત જાણી શકતો નથી, પરિણામે આખા સંસારનું કામ એ કરી શકે છે પણ તેઓનું જ કાર્ય રહી જાય છે. માટે જ સમજુ જીવો કલ્યાણમિત્રોની આવશ્યકતાને જાણે છે. એક-બીજાને સંભાળી લેવા, જાગ્રત કે પ્રબુદ્ધ કરવા ભવાંતરે પણ પ્રતિબોધ દેવાની ભલામણ કરે છે. વચનબદ્ધ થાય છે.
લક્ષ્મીપુજના શયનખંડમાં મળસ્કે એક દિવ્ય આકૃતિ પ્રગટી અને તેણે કહ્યું – “મિત્ર! તને તારા ગતભવની વાત કહું –
મણિપુર નગરમાં તું ગુણધર નામે સાર્થવાહ હતો. એકવાર મુનિજનનો સમાગમ થતાં ઉપદેશ સાંભળ્યો કે - “જીવને દ્રવ્યનું હરણ મરણ કરતા વધુ પીડા આપે છે. કલ્યાણકામી જીવોએ ચોરીના ત્યાગનો નિયમ અવશ્ય લેવો જોઈએ. લોકમાં પણ કહેવાય છે કે – “ખોટી સાક્ષી આપનાર, મિત્રોનો દ્રોહ કરનાર, કૃતઘ્ની અને ચોરી કરનારા આ ચારે કર્મચાંડાળ કહેવાય અને પાંચમો તો જાતિચાંડાળ કહેવાય છે. એક ચંડાળ પત્ની ધરતી પર પાણી છાંટતી હતી. તેને ભાનુએ પૂછ્યું - “માંસ-મદિરાનું સેવન કરનારી ઓ ચંડાળપત્ની ! તારા એક હાથમાં તો મનુષ્યની ખોપરી છે. અને જમણા હાથે વળી ધરતી પર છાંટા નાંખી સીંચે છે. તું શું કરવા માગે છે?' ઉત્તર આપતા તે બોલી :
“ભાઈ ! આ માર્ગ પર કદાચ કોઈ મિત્રદ્રોહી, ઉપકારીને ભૂલનાર-કૃતઘ્ની, ચોર કે વિશ્વાસઘાતક ચાલ્યો હોય (તેના પગથી પૃથ્વી ગંદી થઈ હોય) માટે આ છાંટા નાખું છું. ધરતી શુદ્ધ કરું છું.”