Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૫૪
૧૮૩
નથી, જે જાગૃતાદિ અવસ્થામાં હંમેશા આ લક્ષણથી યુક્ત હોય છે તેને આત્મા કહે છે. જ્ઞાન એ જડ શરીરનો ધર્મ કે ગુણ નથી. શ્રીમદ્ લખે છે -
પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ, તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયકરહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિષે જ્ઞાયકપણું સંભવી શકે નહીં, એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ, તીર્થકરે જીવ કહ્યો છે.”
આત્મા જ્ઞાનસ્વરૂપ છે. આત્મામાં જ્ઞાનશક્તિ છે. અન્યથા તે પરને કઈ રીતે જાણી શકત? આત્મામાં જ્ઞાન છે, તેથી જ તે પરને જાણે છે. જ્ઞાનશક્તિ આત્મામાં સતત ઉપસ્થિત હોય છે. જ્ઞાન સદૈવ આત્માની સાથે જ રહે છે, તેથી આત્મા નિરંતર જાણ્યા જ કરે છે. આત્મા અવિચ્છિન્નપણે જાણે છે. આત્મામાં જ્ઞાનથી અતિરિક્ત કંઈ પણ અવિચ્છિન્ન નથી. આત્મામાં થતા ક્રોધાદિ કોઈ ભાવ અવિચ્છિન્ન નથી, માત્ર જ્ઞાન જ અવિચ્છિન્ન છે અને તેથી જ્ઞાન એ જ આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન કદી આત્માથી જુદું પડતું નથી, જુદું પાડી શકાતું નથી. જો જ્ઞાનને આત્મામાંથી કાઢી નાખવામાં આવે તો આત્મા જ ન રહે. આત્મા એ જ જ્ઞાન છે અને જ્ઞાન જ આત્માની સત્તા છે. આત્મા જ્ઞાનથી પૃથક્ નથી.
આત્મા સદા જ્ઞાનસ્વરૂપ જ છે અને આ જ્ઞાન તેનામાં સદા પ્રગટ હોય છે. આત્માનો ચૈતન્યસ્વભાવ સદા પ્રગટ હોય છે. આ જ આત્માના હોવાપણાની નિશાની છે. સર્વ અવસ્થાઓમાં વર્તતા છતાં તેનાથી જુદા રહી જાણ્યા કરવાનો જે સ્વભાવ છે, તે જ આત્માની નિશાની છે. ચૈતન્યપણું એ દેહ, ઇન્દ્રિય, પ્રાણથી ભિન્ન એવા આત્માનું એંધાણ છે.
જ્ઞાન એ આત્માનું પ્રગટ એંધાણ છે. આ નિશાની સદા વિદ્યમાન હોય છે. આ અચૂક એંધાણ કાયમ હાજર હોય છે. સદા જાણ્યા કરવાનો સ્વભાવ તે જ આત્માના હોવાપણાનો પુરાવો છે અને તે સદા તેમ વર્તે છે, અર્થાત્ ક્યારે પણ તે એંધાણનો ભંગ થતો નથી. ચૈતન્યચિહ્ન ક્યારે પણ નષ્ટ થતું નથી, ખંડિત થતું નથી, ઢંકાઈ જતું નથી, ખોવાઈ જતું નથી, પલટાઈ જતું નથી. તેથી જ સદાપ્રગટ એવા આ ચૈતન્ય એંધાણથી, અવિસંવાદી ચૈતન્યચિનથી આત્મા ઓળખાય છે, પ્રગટ અનુભવમાં આવે છે.
ચૈતન્ય એંધાણથી આત્મા સર્વ અવસ્થાઓથી પ્રત્યક્ષ જુદો જણાય છે. જો શરીર એ જ આત્મા હોત તો જડથી ભિન્ન એવો ચૈતન્યસ્વરૂપી આત્મા અલગ ક્યાંથી જણાત? ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૮ (પત્રાંક-૪૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org