________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३५७
છે કે જેથી એ ફળ તરીકે નજર સામે રમ્યા કરે ? વળી, બુદ્ધિની વૃત્તિઓ અતિવિશિષ્ટ છે કે આ શુદ્ધસ્વરૂપ? જો શુદ્ધસ્વરૂપ અતિવિશિષ્ટ હોય તો તો બુદ્ધિમાં પ્રતિબિંબિત થવાની સાથે એ જ છવાઈ જવું જોઈએ અને તેથી સરવાળે ભાસ શુદ્ધ ચૈતન્યનો જ થવો જોઈએ, બુદ્ધિની વૃત્તિઓનો નહીં. દર્પણ પર એક અત્યંત આછું ભૂરું કિરણ પડી રહ્યું છે ને બીજો અતિ તેજસ્વી લાલ પ્રકાશ પ્રતિબિંબિત થઈ રહ્યો છે, તો સરવાળે લાલ પ્રકાશ જ ભાસે એ નિઃશંક છે.
એટલે આત્માના શુદ્ધસ્વરૂપને કેવલજ્ઞાન-અનંતસુખ વગેરેમય માનવામાં આવે તો જ એ અતિવિશિષ્ટફળરૂપ બનવાથી નજર સામે રમ્યા કરે ને યોગાભ્યાસના ઉલ્લાસને વધાર્યા કરે. અને આમ કેવલજ્ઞાનાદિ જો
આત્મપરિણામરૂપ છે, તો ‘આ ઘડો છે’ વગેરે જ્ઞાનાદિ પરિણામોને પણ મૂળભૂત રીતે ચેતન એવા આત્માના જ માનવા યોગ્ય રહે છે, જડ એવી પ્રકૃતિના નહીં. એટલે સંસારીઅવસ્થામાં (જડ-ચેતનની સંમિશ્રણ અવસ્થામાં) સંવેદાતી જ્ઞાનાદિ સર્વે સંવેદનાઓ આત્માની જ છે. પ્રકૃતિની નહીં. વસ્તુતઃ બુદ્ધિ પણ આત્માનો જ પરિણામ છે, ને તેથી બુદ્ધિની વૃત્તિઓ પણ આત્મપરિણામ જ છે. આત્મા જ કર્તા છે, ભોક્તા છે, પુણ્યપાપનો જનક છે.. આત્મા જ યોગની સાધના કરે છે, ને આત્માનો જ મોક્ષ થાય છે.
પ્રકૃષ્ટમાં પ્રકૃષ્ટકક્ષાના મતિજ્ઞાનાદિ ચારે છાદ્મસ્થિક જ્ઞાનો ભેગા થાય, તો પણ કેવલજ્ઞાનનો અનંતમો ભાગ રહે છે. એટલે કે આ ચારે ભેગા થઈને પણ કેવલજ્ઞાનને પેદા કરી શકતા નથી. એનો જ અર્થ એ થાય છે કે કેવલજ્ઞાનને પેદા કરી શકે એવી કોઈ ચીજ આ વિશ્વમાં નથી. એ જ રીતે સંસારનું સર્વસુખ ભેગું ક૨વામાં આવે તો પણ મુક્તાત્માના સુખનો અનંતમો ભાગ જ રહે છે. એટલે કે સિદ્ધનું સુખ પણ પેદા કરી શકાય એવી ચીજ નથી. આ જ રીતે અનંતવીર્ય વગેરે માટે જાણવું. આમ આત્માનું શુદ્ધસ્વરૂપ એ પેદા થઈ શકે એવી વસ્તુ ન હોવાથી સંસારી અવસ્થામાં પણ એ વિદ્યમાન જ હોય છે. સિદ્ધાવસ્થામાં નવું ઉત્પન્ન થયું એવું હોતું નથી. વળી અનેકાંતવાદ તરફ દૃષ્ટિ નથી. એટલે પાતંજલ વિદ્વાનોએ આત્માને=પુરુષને સદાકાળ માટે શુદ્ધ-બુદ્ધનિર્લેપ-સ્થિરૈકસ્વભાવ માની લીધો... હવે, એ જો શુદ્ધ સ્વરૂપવાળો જ છે.. ને ‘શુદ્ધ સ્વરૂપની સાથે અશુદ્ધ સ્વરૂપ તો રહી જ ન શકે’ એવી એકાન્ત માન્યતા છે.. વળી અલ્પજ્ઞાન-સુખ-કામ-ક્રોધાદિ પણ અનુભવાય તો છે જ. એટલે એ અશુદ્ધ સ્વરૂપના આધાર તરીકે પુરુષભિન્ન કાંઈક માનવું પડે. તેથી એ આધાર તરીકે બુદ્ધિ માની... ને આખી પ્રક્રિયા આધારે દર્શાવી.
પણ આપણે તો અનેકાન્તવાદને વરેલા છીએ, કારણ કે વિશ્વની તમામ વસ્તુઓ એને વરેલી હોવાથી સર્વજ્ઞ પ્રભુએ એ ભાખેલો છે. એટલે ‘શુદ્ધ અને અશુદ્ધ બંને સ્વરૂપ એક સાથે રહી શકે છે' એમ કહીએ છીએ. સંસારીજીવમાં શુદ્ધ સ્વરૂપ યોગ્યતા રૂપે રહેલું છે.. ને અશુદ્ધ સ્વરૂપ અભિવ્યક્તિ રૂપે રહેલું છે, પણ છે બંને આત્માના સ્વરૂપો જ.
યોગની સાધના દ્વારા આત્મા પોતે જ સ્વરૂપમાંથી અશુદ્ધિને ઘટાડતો જાય છે, શુદ્ધિને વધારતો જાય છે.. ને છેવટે શુદ્ધ સ્વરૂપ પામી જાય છે જે એનો મોક્ષ થયો કહેવાય છે.
એટલે અનેકાન્તવાદમય જૈનશાસનની વાતો જ સર્વયુક્તિસંગત છે એ નિઃશંક પ્રતીત થાય છે.