Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
છેદ કરતો નથી. જ્ઞાન રહિત સમભાવ એક પ્રકારની જડતા ઉત્પન કરે છે અથવા અજ્ઞાનમૂલક હોવાથી બીજા દોષોને જન્મ આપે છે. બહેન અને પત્ની બંને મહિલા છે, બંને નારી છે પરંતુ તેનું સમાન મૂલ્યાંકન ન હોય. ત્યાં સમભાવનો અર્થ બંનેને ઊચિત ગુણાત્મક ન્યાય આપવાનો છે. એ જ. સાચો સમભાવ છે કે જે ન્યાયના ત્રાજ ઉપર સાચો ઊતરે. ખોટાનો પરિહાર અને સત્યનો આદર, એ સમભાવનું હાર્દ છે અર્થાત્ સમભાવનો સાર છે અસ્તુ. આટલું કહેવાથી સમજી શકાય છે કે વિષમભાવ શું છે ? સમભાવ શું છે ? ન્યાયોચિત સમભાવ કોને કહેવાય ? અને અજ્ઞાનમૂલક સમભાવ તે સમભાવનો આભાસ છે. નીતિકારોએ, અધ્યાત્મશાસ્ત્રોએ અને ધર્મશાસ્ત્રોએ સમભાવની આરાધના ઉપર ભિન્ન ભિન્ન રૂપે ઘણો પ્રકાશ નાંખ્યો છે. અહીં યોગીરાજ સદ્ગુરુના લક્ષણ તરીકે આત્મજ્ઞાન પછી સમદર્શિતાનો ઉલ્લેખ કરે છે. આપણે પૂર્વમાં આ શબ્દનો પચ્છેદ કર્યો છે. જેમાં સમ અને દર્શિતા એવા બે ભાવવિભકત કરી સમનો અર્થ સમભાવ અને દર્શિતાનો અર્થ દષ્ટા. દષ્ટાએ પોતાનો સ્વચ્છ નિર્ણય ન કર્યો હોય અને દષ્ટા કોણ છે તેનું સ્વરૂપ ન જાણ્યું હોય તો સમભાવ માત્ર એક વ્યવહાર બની જાય છે. આ શબ્દમાં સમભાવ કરતાં સમદર્શિતા શબ્દનું મહત્ત્વ વધારે છે. સમભાવ એ સામાન્ય કર્મ છે જ્યારે સમદર્શિતા તે એક મહાન દષ્ટાની અભિવ્યકિત છે. સમદર્શિતાનો આ ગુણ જ્યારે આત્મામાં સ્થાન પામે ત્યારે તે આત્મા સ્વતઃ સદ્ગુરુના ભાવોને પ્રાપ્ત કરી સ્વપરના કલ્યાણનું મહાન પાત્ર બને છે.
સમદર્શિતાની ઘણી ગંભીર વ્યાખ્યા કરી શકાય પરંતુ અહીં આટલો પ્રકાશ આપ્યા પછી સમદર્શિતાનું વધારે શ્રેષ્ઠ પરિણામ ત્રીજા લક્ષણ તરીકે સિઘ્ધિકાર પ્રગટ કરે છે. આ લક્ષણ એટલું બધું ઊંચું છે કે સામાન્ય જન અથવા જૈન તત્ત્વજ્ઞાનના પારિભાષિક શબ્દોનું અધ્યયન ન હોય તેવા વિદ્વાન વ્યકિત પણ આ લક્ષણનો ઊંડો ભાવ ગ્રહણ કરવા માટે કદાચ સમર્થ ન બને. આ વિશેષણ એટલું બધું મહત્ત્વપૂર્ણ છે કે જેમાં ભારતના ત્રણ યોગ–કર્મયોગ, ભકિતયોગ અને જ્ઞાનયોગ ત્રણે યોગની સાધના અને તેના સુપરિણામ અભિવ્યકત થાય છે. આપણે હવે આ ત્રીજા લક્ષણની પૃષ્ઠભૂમિને સ્પર્શ કરશું.
માનવ જીવનમાં જે દશ્ય કે અદશ્ય નાટક ચાલી રહ્યું છે તેના મૂળમાં કોણ છે ? તે નાટક શા માટે થાય છે ? તે બધા નાટકમાં પોતે નટ છે કે દષ્ટા છે અર્થાત્ નાટકનું પાત્ર છે કે પ્રેક્ષક છે તે સમજવું જરૂરી છે. સંસારનું તંત્ર કયા આધારે ચાલે છે ? તેનું તત્ત્વજ્ઞાન અલગ અલગ રૂપે નિરૂપિત થયું છે પરંતુ બધા મતોમાં એક સામાન્ય મત પણ જોવામાં આવે છે કે મનુષ્યની ઈચ્છાથી અલગ કોઈ બીજું તત્ત્વ પણ જીવનમાં સંકળાયેલું છે. આજનું વિજ્ઞાન ભૌતિકવાદી હોવા છતાં આ બાબતમાં જરા પણ પ્રકાશ આપી શકયું નથી. સામાન્ય કાર્ય કારણ સાંકળનો ઉલ્લેખ કર્યા પછી મોટી ઘટનાઓ, દુર્ઘટનાઓ કે સુઘટનાઓ એકાએક બનતી હોય છે, બગડતી હોય છે. તેના સચોટ કારણ વિજ્ઞાનની પાસે નથી અસ્તુ. વિજ્ઞાન છોડીને બધા મતોએ ચાહે ઈશ્વરવાદી હોય કે ઈશ્વર સિવાય બીજી રીતે તેમણે તત્ત્વોની સ્થાપના કરી હોય પરંતુ આ બધા મતો કર્મો, ભાગ્ય, તકદીર, હોનહાર, ભવિતવ્યતા, ઈત્યાદિ સિધ્ધાંતોનો વધતે ઓછે અંશે અવશ્ય સ્વીકાર કરે છે. માનવ જીવનની સાથે બીજું કોઈ તત્ત્વ જોડાયેલું છે તેની અભિવ્યકિત કરે છે. બીજા તત્ત્વ
૧૫૦