Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
સમાયેલા છે અને સમ્યજ્ઞાન થયા પછી પણ લોક વિષે અને લોકમાં રહેલા દ્રવ્યો વિશે વિશાળ વ્યાખ્યા અને તેનું ગણિત જોવામાં આવે છે. આ બધું જ્ઞાન હોવા છતાં આ જ્ઞાનની પર્યાય જ્યારે આત્મદ્રવ્ય ઉપર સ્થિત થાય છે અને નિશ્ચયરૂપ, ત્રિકાળવર્તી, અખંડ, અવિનાશી એવા શાશ્વત આત્મતત્ત્વને જ્યારે વાગોળે છે, ત્યારે એ અનુભવ અદ્ભૂત બની જાય છે, આનંદસ્વરૂપ બની જાય છે. તેમાં પરમરસનો જન્મ થાય છે. ત્યારે આ સભ્યશ્રુત તે પરમશ્રુત કહેવાય છે. પૂર્વમાં આપણે પરમશ્રુત શબ્દની ઘણીજ ઊંડી વ્યાખ્યા કરી ગયા છીએ, તેથી અહીં ટૂંકો ઉલ્લેખ કરી, ગુણાતીત, દુ:ખાતીત, સુખાતીત, રસાતીત, શબ્દાતીત એવા બધા વ્યવહાર ભાવોથી વિમુકત, નિશ્ચલ, નિરામય આત્મતત્ત્વનો, ચૈતન્યદ્રવ્યનો પર્યાયરૂપે ને દ્રવ્યરૂપે, નિત્યાનિત્યરૂપે અવલોકન થતાં જે નિરાલંબ શાંતિ ઉપજે છે, તે પરમશ્રુત ગણાય છે. વસ્તુતઃ પરમ શબ્દની વ્યાખ્યા પણ પરમ છે, શબ્દાતીત છે. છતાં પણ નિશ્ચયનયનું અવલંબન કરી મહાત્માઓએ જે નિર્દોષ શબ્દોનો ઉલ્લેખ કર્યો છે, એવા શબ્દોને આધારે અહીં જે કાંઈ ઈન્દ્રિયાતીત જ્ઞાનગમ્ય ભાવ છે, જે વ્યવહાર અભાવાત્મક છે અને નિશ્ચયથી તે સભાવાત્મક છે, તેને સ્પષ્ટ કરવાની ચેષ્ટા કરે તે બધું જ્ઞાન પરમશ્રુત કહેવાય છે.
-
વસ્તુતઃ પરમશ્રુતજ્ઞાન શબ્દોમાં ઉતરતું નથી. પરંતુ જેને પરમશ્રુત ઉદ્ભવ્યું છે, તેની વાણી અપૂર્વ બની જાય છે. એટલે ચોથું અને પાંચમું લક્ષણ સદ્ગુરુનું પરસ્પર કાર્ય - કારણ સંબંધ ધરાવે છે. કાવ્યદૃષ્ટિએ કવિતાના મેળ માટે અપૂર્વવાણી પ્રથમ મૂકયું છે અને પરમશ્રુત પછી મૂકયું છે. પરંતુ સૈદ્ધાન્તિક રીતે પરમશ્રુત એ ચોથું લક્ષણ છે અને અપૂર્વવાણી તે પાંચમુ લક્ષણ બને છે અને પરમશ્રુતના કારણે જ વાણી અપૂર્વ બને છે, તે સહેજે સમજાય તેવી વાત છે.
પરમશ્રુતનો અર્થ નિર્મળતાની ચરમસીમા જેવો છે. અર્થાત્ જેમ સાધારણ સ્વચ્છ પાણી પીવા જેવુ હોય છે અને તેને સ્વચ્છ કહેવાય છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે આ પાણીને વિશિષ્ટ રીતે સ્વચ્છ કરે, તો તેની અંદર એક પરિપૂર્ણ નિર્મળતા આવે છે. આજકાલ જેને આપણે ડિસ્ટીલ વોટર કહીએ છીયે. આ તો થઈ ભૌતિક સ્વચ્છતા. તે જ રીતે જ્ઞાનમાં પણ શુધ્ધિ હોવા છતાં તેમાં કેટલાક સૂક્ષ્મ અજ્ઞાનના દોષો અસ્તિત્ત્વ ધરાવે છે. સાધક જ્યારે સાધનાના ઊંચા શિખર ઉપર ચડે
અને આંતરિક તપ દ્વારા બીજા કેટલાક અજ્ઞાનના સૂક્ષ્મ દોષોને ભસ્મીભૂત કરે છે, ત્યારે આ જ્ઞાન પરમ શુધ્ધ બની પરમશ્રુત બની જાય છે. જ્ઞાનના વિષયમાં શ્રધ્ધા સાથે લક્ષ્યાર્થ, વ્યંગર્થ અથવા વ્યંજનાર્થ, ભાવાર્થ, પરમાર્થ એવા બધા ભાવો સમાયેલા છે. લક્ષ થયા પછી પણ જ્ઞાન પરમાર્થને સ્વચ્છ કરવા તત્પર હોતું નથી, અને જયાં સુધી પરમ અર્થ જેવી રીતે પ્રતિબિંબિત ન થાય, ત્યાં સુધી જ્ઞાન પરમાર્થગ્રાહક અર્થાત્ પરમશ્રુત બનતું નથી. શબ્દાર્થ એ શ્રુતજ્ઞાનનો સામાન્ય વિષય છે. લક્ષ્યાર્થ તે અન્યથા કથિત વિષય છે. જ્યારે વ્યંજનાર્થ તે અનુકત વિષય છે. જ્યારે ભાવાર્થ તે તાત્પર્ય સૂચક છે, અને પરમાર્થ એ જ્ઞાનના અંતિમ પરિણામને વ્યકત કરે છે. આ ઉપરથી સમજી શકાય છે કે કવિરાજે અહીં જે પરમશ્રુત શબ્દ મૂકયો છે તે કેટલો બધો સૂચક છે અને સાથે જ્ઞાનની નિર્મળતાનો કેટલો દ્યોતક છે.
આ તો થઈ જ્ઞાનની વાત પરંતુ પરમશ્રુતને આધારે પરમ વ્યવહાર, પરમ સાધના, પરમ સ્થિતિ અને પરમલક્ષ એ બધા ભાવો પણ ગ્રહણ કરવાના છે. અહીં પરમશ્રુત શબ્દ ફકત
૧૫૯