Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
તો સ્વયં આગળની ગાથાઓમાં કહેશે, પરંતુ આ ગાથામાં મેલુ કપડું ધોવાની વાત છે. એથી સામાન્ય બોધ પણ મળે છે કે મનુષ્ય આગ્રહ બુધ્ધિ ન રાખતા આગળના વિકાસ માટે અવકાશ રાખવો જોઈએ.
આપણે હવે ૨૮મી ગાથાનો સ્પર્શ કરીએ છીએ અને જે વસ્તુ આપણે ૨૭મી ગાથામાં કહેલી છે તેનું વધારે સ્પષ્ટ વિવરણ આપવા માટે આ ગાથાનું ઉચ્ચારણ થયેલું છે.
ઉપોદ્ઘાતઃ અહીં કવિરાજ સામાન્ય સાધકોને માર્ગદર્શન આપે છે. અથવા તેવા ગુરુઓ લૌકિક માનની અપેક્ષા રાખતા હોય છે, વાત ઉપર પ્રકાશ નાંખે છે. લૌકિક માન મેળવવા માટે કેવું પાખંડ રચાય છે ? ચિતવૃત્તિમાં જે દોષો પેદા થયા છે તે દોષોને ગુણાત્મક માન, લૌકિક માન મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આખી ગાથા ત્રણ વિભાગમાં વિભકત છે અને તેની ફળ શ્રુતિ લૌકિક માન મેળવતી તૃષ્ણા હોય તેમ જણાવી તેના કારણો બતાવ્યા છે.
(૧) મનુષ્યના મનમાં, ચિત્તમાં અને અંતઃકરણમાં વૃત્તિઓનું સ્થાન છે. વૃત્તિ એક પ્રકારના પ્રગટ થતાં પરિણામ છે, તેનું સ્વરૂપ સમજવું જરૂરી છે તે સ્વરૂપ સમજવા પ્રયાસ કર્યા નથી. (૨) સ્વરૂપ સમજયા વિના નાના પ્રકારના વ્રત અને તપોનું વિધાન કરી જીવ તેનું અનુસરણ કરે છે. (૩) આમ થવામાં પરમાર્થતત્ત્વનું ગ્રહણ ન કરવું તે મુખ્ય કારણ છે. જીવ પરમાર્થ પણ ગ્રહણ કરી શકતો નથી.
આ ત્રણે ખંડ પરસ્પર એકબીજાના પૂરક છે. અહીં આ બધા ખંડોનું સેવન કરવાની પાછળ લૌકિક માન મેળવવાની તૃષ્ણા હોય છે. તે તેની ફળશ્રુતિ છે. આખી ગાથા આધ્યાત્મિક તથા માનસિક વિકૃતિને સ્પર્શ કરે છે અને તેનાથી નીપજતી બાહ્ય વૃત્તિનો પણ ઉલ્લેખ કરે છે. હવે આપણે મૂળ ગાથાના આધાર આ ત્રણે ખંડ પર સૂક્ષ્મ ભાવે વિચાર કરશું.
ખરેખર આ તત્ત્વ વિચારણા અને ત્રિખંડી વિકૃતિ દૂર કરી યોગ્ય સ્વરૂપ ધારણા કરવી તે કેટલું બધુ મહત્ત્વપૂર્ણ છે તે સમજી શકાશે.
૨૯૧