________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
ધર્મદત્તને જોતાંની સાથે જ સંતોષ પામી અને જેમ રોહિણી વસુદેવને વરી, તેમ તેણે ધર્મદત્તને વરમાળ । આરોપી. પૂર્વભવનો પ્રેમ અથવા દ્વેષ એ બંને પોતપોતાને ઉચિત એવાં કૃત્યોને વિષે જીવને પ્રેરણા કરે છે. બાકી ત્રણે દિશાઓના રાજાઓ ત્યાં આવ્યા હતા, તેમણે વિદ્યાધરની સહાયથી પોતાની ત્રણે પુત્રીઓને વિમાનમાં બેસાડી ત્યાં તેડાવી, અને ઘણા હર્ષથી તે જ સમયે ધર્મદત્તને આપી. પછી ધર્મદત્તે, વિદ્યાધરે કરેલા દિવ્ય ઉત્સવમાં તે ચારે કન્યાઓનું પાણિગ્રહણ કર્યું. તે પછી વિચિત્રગતિ વિદ્યાધર ધર્મદત્તને તથા સર્વ રાજાઓને વૈતાઢય પર્વતે લઈ ગયો. ત્યાં વિવિધ પ્રકારનાં ઉત્સવ કરી તેણે પોતાની પુત્રી અને રાજ્ય ધર્મદત્તને અર્પણ કર્યું.
૧૫૯
તે જ સમયે વિદ્યાધરે આપેલી એક હજાર વિદ્યાઓ ધર્મદત્તને સિદ્ધ થઈ. એ રીતે વિચિત્રગતિ પ્રમુખ વિદ્યાધરોની પાંચસો કન્યાઓનું વૈતાઢય પર્વત ઉપર પાણિ ગ્રહણ કરી ધર્મદત્ત અનુક્રમે પોતાને નગરે આવ્યો અને ત્યાં પણ રાજાઓની પાંચસો કન્યાઓ પરણ્યો. તે પછી રાજધર રાજાએ આશ્ચર્યકારી ઘણા ઉત્સવ કરીને જેમ વેલડી સારા ક્ષેત્રમાં વાવવી, તેમ પોતાની સમગ્ર રાજ્યસંપદા પોતાના સદ્ગુણી પુત્ર ધર્મદત્તને માથે વૃદ્ધિને અર્થે સોંપી; અને ચિત્રગતિએ સદ્ગુરુની પાસે પોતાની પટ્ટરાણી પ્રીતિમતીની સાથે દીક્ષા લીધી. પોતાનો સુપુત્ર રાજ્ય ચલાવવા યોગ્ય થયા પછી કોણ પોતાના આત્માનું હિત ન કરે ? વિચિત્રગતિએ પણ ધર્મદત્તને પૂછીને દીક્ષા લીધી. અનુક્રમે ચિત્રગતિ, વિચિત્રગતિ, રાજધર રાજા અને પ્રીતિમતી રાણી એ ચારે મોક્ષે ગયા.
ધર્મદત્તે રાજ્યની લગામ હાથમાં લીધી પછી હજારો રાજાઓને સહજમાં જીતી લીધા અને તે દસ હજાર રથ, દસ હજાર હાથી, એક લાખ ઘોડા અને એક ક્રોડ પાયદલ એટલા સૈન્યની સાહ્યબીવાળો થયો. ઘણા પ્રકારની વિદ્યાનો મદ ધરનાર હજારો વિદ્યાધરોના રાજાઓ ધર્મદત્તના તાબે થયા. એ રીતે
ઘણાકાળ સુધી ઈન્દ્રની જેમ તેણે ઘણું રાજ્ય ભોગવ્યું. સ્મરણ કરતાં જ આવનારો જે પૂર્વે પ્રસન્ન થયેલ દેવતા હતો, તેની સહાયથી ધર્મદત્તે પોતાના દેશને દેવકુરુ ક્ષેત્રની જેમ મારી, દુર્ભિક્ષ વગેરે જેમાં નામ પણ ન જણાય એવો કર્યો. પૂર્વે ભગવાનની સહસ્ત્રદળ કમળથી પૂજા કરી, તેથી એટલી સંપદા પામ્યો.’ પણ હવે તો યથાવિધિ ત્રિકાળ પૂજા કરવામાં તે ઘણો તત્પર હતો. "પોતાના ઉપર ઉપકાર કરનારનું પોષણ અવશ્ય કરવું જોઈએ.” એમ વિચારી તે ધર્મદત્તે નવા ચૈત્યમાં પ્રતિમા બેસાડી તથા તીર્થયાત્રા, સ્નાત્રમહોત્સવ આદિ શુભ કૃત્ય કરીને પોતાની ઉપર ઉપકાર કરનારી જિનભક્તિનું ઘણું જ પોષણ કર્યું. તે ધર્મદત્તના રાજ્યમાં અઢારે વર્ણ "જેવો રાજા તેવી પ્રજા.” એવી કહેવત પ્રમાણે ઘણાખરા જૈનધર્મી થયા.
તે જૈનધર્મથી જ આ ભવે તથા પરભવે ઉદય થાય છે. તે ધર્મદત્તે અવસર ઉપર પુત્રને રાજ્ય આપી પોતે રાણીઓની સાથે દીક્ષા લીધી, અને મનની એકાગ્રતાથી તથા અરિહંત ઉપર દૃઢ ભક્તિથી તીર્થંકર નામકર્મ બાંધ્યું, અહીં બે લાખ પૂર્વનું આયુષ્ય ભોગવીને સહસ્ત્રાર દેવલોકે દેવતા થયો તથા તે ચારે રાણીઓ જિનભક્તિથી ગણધર કર્મ બાંધીને તે જ દેવલોકે ગઈ પછી ધર્મદત્તનો જીવ ચારે રાણીઓના જીવની સાથે સ્વર્ગથી ચ્યવ્યો.