________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
નથી, તથા પોતાની મોટાઈ રહે છે.
"પુત્રની પ્રશંસા ન જ કરે." એમ કહેવાનું કારણ એ છે કે, પહેલાં તો પુત્રની પ્રશંસા જ ન ક૨વી. કહ્યું છે કે “ગુરુની તેમના મુખ આગળ, મિત્રોની તથા બાંધવોની પછવાડે, દાસની તથા ચાકરની તેમનું કામ સારું નીવડે ત્યારે તથા સ્ત્રીઓની તેઓ મરી ગયા પછી સ્તુતિ કરવી. પણ પુત્રની તો બિલકુલ સ્તુતિ કરવી જ નહીં. એમ છતાં તે વગર ન ચાલે તો સ્તુતિ કરવી, પણ પ્રત્યક્ષ ન કરવી. કારણ કે, તેથી તેના ગુણ આગળ વધતા અટકે છે અને વૃથા અહંકાર વગેરે આવે છે.
૨૫૩
પિતાએ પુત્રને રાજસભા દેખાડવી તથા પરદેશના આચાર અને વ્યવહાર પણ પ્રકટપણે દેખાડવા, પિતાનું પુત્રના સંબંધમાં આ વગેરે ઉચિત આચરણ જાણવું. રાજસભા દેખાડવાનું કારણ એ છે કે - રાજસભાનો પરિચય ન હોય તો કોઈ વખતે દુર્દેવથી ઓચિંતું કાંઈ દુઃખ આવી પડે ત્યારે તે કાયર થાય, તથા પારકી લક્ષ્મી જોઈ અદેખાઈ કરનારા શત્રુઓ તેને નુકશાનમાં નાંખે. કેમકે-રાજદરબારમાં જવું, રાજાના માનીતા લોકો જોવા, તેથી કાંઈ અર્થ લાભ ન થાય તો પણ અનર્થનો નાશ તો થાય જ, માટે રાજસભાનો અવશ્ય પરિચય કરાવવો.
પરદેશના આચાર તથા વ્યવહાર દેખાડવાનું કારણ એ છે કે, પરદેશના આચાર વ્યવહારનું જ્ઞાન ન હોય અને કારણ પડેથી ત્યાં જવું પડે તો ત્યાંના લોકો એને પરદેશી જાણીને સહજ વારમાં વ્યસનના ખાડામાં નાંખી દે, માટે પરદેશના આચાર-વ્યવહાર દેખાડવા. પિતાની જેમ માતાએ પણ પુત્રના સંબંધમાં તથા પુત્રની વહુના સંબંધમાં સંભવ માફક ઉચિત આચરણ સાચવવું. માતાએ ઓરમાન પુત્રના સંબંધમાં વિશેષ ઉચિત આચરણ સાચવવું, કારણ કે, તે પ્રાયે સહજમાં પોતાને કાંઈ ઓછું પડયું એમ માનનારો હોય છે. આ વિષયમાં સાવકીમાએ આપેલી અડદની રાબડી ઓકનાર પુત્રનો દાખલો જાણવો.
સગાં સંબંધીઓનું ઉચિત
પિતાના, માતાના તથા સ્ત્રીના પક્ષના લોકો સ્વજન કહેવાય છે. તેમનાં સંબંધમાં પુરુષનું ઉચિત આચરણ આ રીતે છે. પોતાના ઘરમાં પુત્રજન્મ તથા વિવાહ-સગાઈ આદિ મંગળકાર્ય હોય ત્યારે તેમનો હંમેશાં આદરસત્કાર કરવો. તેમજ તેમને માથે કાંઈ નુકસાન આવી પડે તો પોતાની પાસે રાખવા. સ્વજનોને માથે કાંઈ સંકટ આવે, અથવા તેમને ત્યાં કાંઈ ઉત્સવ હોય તો પોતે પણ હંમેશાં ત્યાં જવું તથા તેઓ નિર્ધન અથવા રોગાતુર થાય તો તેમનો તે સંકટમાંથી ઉદ્ધાર કરવો.
કેમકે-રોગ, આપદા-દુકાળ તથા શત્રુનું સંકટ માથે આવે છતે તથા રાજદ્વારે અને સ્મશાને જવાને અવસરે જે સાથે રહે તે બાંધવ કહેવાય: સ્વજનનો ઉદ્ધાર કરવો તે ખરેખર જોતાં પોતાનો જ ઉદ્ધાર કરવા બરાબર છે, કેમકે રહૅટના ઘડા જેમ ભરાય છે અને ખાલી થાય છે તેમ માણસ પણ પૈસાદાર અને દરિદ્રી થાય છે. કોઈની રિદ્રી અથવા પૈસાવાળી અવસ્થા ચિરકાળ ટકતી નથી. માટે કદાચ દુર્દેવથી આપણે માથે માઠી અવસ્થા આવી પડે તો પૂર્વે આપણે જેના ઉપર ઉપકાર કર્યા હોય તેઓ જ આપણો આપદાથી ઉદ્ધાર કરે. માટે અવસર આવે સ્વજનોનો સંકટમાંથી ઉદ્ધાર કરવો જ.