________________
૨૮૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
સર્પની બે જિહ્વા માફક અથવા ક્રૂર ગ્રહનાં બે નેત્ર માફક જગતને કામવિકાર કરનારી તે કન્યાઓની આગળ પોતાનું મન વશ રાખવામાં કોઈનું ધૈર્ય ટકી ન રહ્યું. સુખમાં, દુઃખમાં, આનંદમાં અથવા વિષાદમાં એક બીજીથી જુદી ન પડનાર, સર્વકાર્યોમાં અને સર્વ વ્યાપારોમાં સાથે રહેતી, રૂપ તથા શીલ માંહોમાંહેથી સરખી એવી તે કન્યાઓની જન્મથી જ બંધાયેલી પરસ્પર પ્રીતિને જો કદાચ ઉપમા આપી શકાય તો બે આંખની જ આપી શકાય. કહ્યું છે કે –"સાથે જાગનારી, સાથે સૂઈ રહેનારી, સાથે હર્ષ પામનારી અને સાથે શોક કરનારી બે આંખોની જેમ જન્મથી માંડીને નિશળ પ્રેમને ધારણ કરનારાઓને ધન્ય છે."
કન્યાઓ યૌવનદશામાં આવી, ત્યારે કનકધ્વજ રાજા મનમાં વિચારવા લાગ્યો કે - "એમે એમના જેવો વર કોણ મળશે? રતિ તથા પ્રીતિનો જેમ એક કામદેવ વર છે, તેમ એ બન્નેનો એક જ વર શોધી કાઢવો જોઈએ. જો કદાચ એમને જુદા વર થશે, તો માંહોમોહે બન્નેનો વિરહ થવાથી મરણાંત કષ્ટ થશે. એમને આ જગતમાં ક્યો ભાગ્યશાળી તરૂણ વર ઉચિત છે? એક કલ્પલતાને ધારણ કરી શકે એવું એક પણ કલ્પવૃક્ષ નથી, તો બન્નેને ધારણ કરનારો કયાંથી મળી શકે? જગતમાં એમાંથી એકને પણ પરણવા જેવો વર નથી. હાય ! હાય! હે કનકધ્વજ ! તું એ કન્યાઓનો પિતા થઈને હવે શું કરીશ? યોગ્ય વરનો લાભ ન થવાથી આધાર વિનાની કલ્પલતા જેવી થયેલી આ કન્યાઓની શી ગતિ થશે?" એવી રીતે અતિશય ચિંતાના તાપથી તપી ગયેલો કનકધ્વજ રાજા મહિનાઓને વર્ષ માફક અને વર્ષોને યુગ માફક કાઢવા લાગ્યો.
શંકરની દષ્ટિ સામા પુરુષને જેમ દુઃખદાયક થાય છે, તેમ કન્યા કેટલીય સારી હોય, તો પણ તે પોતાના પિતાને દુઃખ આપનારી તો ખરી જ! કહ્યું છે કે પિતાને કન્યા ઉત્પન્ન થતાં જ કન્યા થઈ એવી મોટી ચિંતા મનમાં રહે છે. પછી હવે તે કોને આપવી? એવી ચિંતા મનમાં રહે છે. લગ્ન કર્યા પછી પણ ભર્તારને ઘેર સુખે રહેશે કે નહીં.” એવી ચિંતા રહે છે, માટે કન્યાના પિતા થવું એ ઘણું કષ્ટકારી છે, એમાં સંશય નથી. હવે કામદેવ રાજાનો મહિમા જગતમાં અતિશય પ્રસિદ્ધ કરવાને અર્થે પોતાની પરિપૂર્ણ ઋદ્ધિ સાથે લઈ વસંતઋતુ વનની અંદર ઊતરી. તે વસંતઋતુ જેનો અહંકાર સર્વત્ર પ્રસરી રહ્યો છે, એવા કામદેવ રાજાનો ત્રણ જગતને જિતવાથી ઉત્પન્ન થયેલો જશ મનોહર ત્રણ ગીતો વડે ગાતી જ ન હોય! એમ લાગતી હતી. ત્રણ ગીતોમાં મલયપર્વત ઉપરથી આવતા પવનનો સત્કાર શબ્દ એ પહેલું ગીત, ભ્રમરોના ઝંકાર શબ્દ એ બીજું ગીત અને કોકિલ પક્ષીઓના મધુર શબ્દ એ ત્રીજું ગીત જાણવું. - તે સમયે ક્રીડા કરવાના રસવડે ઘણી ઉત્સુક થયેલી તે બન્ને રાજકન્યાઓ મનનું આકર્ષણ થવાથી હર્ષ પામી વનમાં ગઈ. કોઈ હાથીના બચ્ચા ઉપર તો કોઈ ઘોડા ઉપર, કોઈ ખચ્ચર જાતિના ઘોડા ઉપર, તો કોઈ પાલખી અથવા રથ વગેરેમાં એવી રીતે જાતજાતનાં વાહનમાં બેસી ઘણો સખીઓનો પરિવાર તેમની સાથે નીકળ્યો. પાલખીમાં સુખે બેઠેલી સખીઓના પરિવારથી બન્ને રાજકન્યાઓ, વિમાનમાં બેઠેલી અને દેવીઓના પરિવારથી શોભતી એવી લક્ષ્મી અને સરસ્વતી માફક શોભવા લાગી. શોકનો સમૂળ નાશ કરનારાં ઘણાં અશોકવૃક્ષો જેમાં સર્વત્ર વ્યાપી રહ્યાં છે, એવા અશોકવન નામના ઉદ્યાનમાં તે રાજકન્યાઓ આવી પહોંચી.