________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૮૫
મારા ખોળામાં બેઠી છતાં ધ્રુજનારી તું શેષનાગની કાંચળી જેવા સફેદ એવાં પોતાના પિચ્છના જોડાને કેમ ધ્રુજાવે છે?" એમ કહી દયાળુ રત્નસારકુમારે આકુળ-વ્યાકુળ થયેલી હંસીને સરોવરમાંથી નિર્મળ જળ અને સરસ કમળતંતુ મંગાવી આપીને સંતુષ્ટ કરી.
આ કોણ છે? કયાંથી આવી? કોનાથી ભય પામી? અને મનુષ્ય વાણીથી શી રીતે બોલે છે? એવો સંશય કુમાર વગેરે લોકોના મનમાં આવે છે. એટલામાં શત્રુના ક્રોડો સુભટોનાં ભયંકર વચન તેમને કાને પડયાં. તે એવી રીતે કે "કોણ રૈલોકયનો અંત કરનારા યમને કોપાવે? કોણ પોતાના જીવિતની દરકાર ન રાખતાં શેષનાગના મસ્તકે રહેલા મણિને સ્પર્શ કરે ? તથા કોણ પ્રલયકાળના અગ્નિની જવાળાઓમાં વગર વિચારે પ્રવેશ કરે ?" એવાં વચન સાંભળતાં જ ચતુર પોપટના મનમાં શંકા આવી, અને તે શીધ્ર મંદિરના દ્વારમાં આવી શું બનાવ બને છે, તે જોવા લાગ્યો.
એટલામાં ગંગા નદીના પૂરની માફક આકાશમાર્ગે આવતી વિદ્યાધર રાજાની ઘણી શૂરવીર સેના તેના જોવામાં આવી. તીર્થના પ્રભાવથી, કાંઈક દૈવિક પ્રભાવથી, ભાગ્યશાળી રત્નસારના આશ્ચર્યકારી ભાગ્યથી અથવા રત્નસારના પરિચયથી કોણ જાણે કયા કારણથી પોપટ શૂરવીર પુરુષોનું વ્રત પાળ વામાં અગ્રેસર થયો. તેણે ગંભીર અને ઉચ્ચ સ્વરથી શત્રુઓની સેનાને હોંકારો કરીને કહ્યું કે, "અરે વિદ્યાભર સુભટો! દુષ્ટ બુદ્ધિથી કયાં દોડો છો? દેવતાથી પણ ન જીતાય એવો કુમાર આગળ બેઠો છે તેને નથી જોતા? સુવર્ણ સરખી તેજસ્વી કાયાને ધારણ કરનાર એ કુમાર જેમ ગરૂડ ચારે તરફ દોડનારા સર્પનો મદ ઉતારે છે, તેમ મદોન્મત્ત એવો તમારો અહંકાર ક્ષણમાત્રમાં ઉતારશે. આ કુમારને જો ક્રોધ ચઢશે તો યુદ્ધની વાર્તા તો દૂર રહી ! પણ તમને નાસતાં પણ ભૂમિનો છેડો નહીં આવે." વિદ્યાધરના સુભટો વીરપુરુષ સરખો પોપટનો એવો હોંકારો સાંભળીને વિલખા થયા, આશ્ચર્ય પામ્યા, ડરી ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે –
એ કોઈ દેવતા અથવા ભવનપતિ પોપટના રૂપે બેઠો છે. એમન હોય તો એ આ રીતે વિદ્યાધરોને પણ હોંકારથી શી રીતે બોલાવે ? આગળ રહેલો કુમાર કેવો ભયંકર છે? કોણ જાણે આજ સુધી વિદ્યાધરોનાં ઘણાં સિંહનાદ પણ અમે સહન કર્યા છે, એમ છતાં આજ આ એક પોપટનો તુચ્છ હોંકારો અમારાથી કેમ સહન કરાતો નથી? વિદ્યાધરોને પણ ભય ઉત્પન્ન કરે એવો જેનો પોપટ પણ શૂરવીર છે, તો આગળ રહેલો કુમાર કોણ જાણે કેવો હશે? યુદ્ધ કરવામાં નિપુણ હોય તો પણ અજાણ્યાની સાથે કોણ યુદ્ધ કરે ! કોઈ તરવાનો અહંકાર રાખતો હોય તો પણ તે પાર વિનાના સમુદ્રને તરી શકે કે શું?"
બીક પામેલા, આકુળવ્યાકુળ થયેલા અને પરાક્રમથી ભ્રષ્ટ થયેલા સર્વે વિદ્યાધરના સુભટો પોપટનો હોંકારો સાંભળતાં જ ઉપર પ્રમાણે વિચારી શિયાળિયાની માફક એકદમ ભાગી ગયા ! જેમ બાળકો પિતા પાસે જઈને કહે, તેમ તે સુભટોએ પોતાના રાજા પાસે જઈ યથાર્થ વાત હતી તે કહી. ઠીક જ છે, પોતાના સ્વામી આગળ કાંઈ ગુપ્ત રખાય? સુભટોનું વચન સાંભળતાં જ વિદ્યાધર રાજાનાં નેત્ર રોષથી રક્તવર્ણ થયાં અને વીજળીની જેમ આમતેમ ચમકારો મારવા લાગ્યાં, અને તેનું મુખ લલાટ ઉપર ચઢાવેલ ભ્રમરથી ભયંકર દેખાવા લાગ્યું. પછી સિંહ સરખા બલિષ્ઠ અને કીર્તિમાન તે રાજાએ કહ્યું કે :